Gujarati News

Gujarati News

News of Tuesday, 16th November 2021

ભાજપ સ્નેહમિલનનો વિવાદ વકરશે ?

૨૦મીના ભાજપથી જનસંઘ સુધીના કાર્યકરોના સંમેલન ઉપર પ્રશ્નાર્થ સર્જાયો : ભારે ચર્ચા

રાજકોટઃ તા.૧૬, ૪ દિવસ પછી ભાજપના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ રાજકોટ ખાતે 'જનસંઘથી ભાજપ' ના કાર્યક્રમ સહિતના પ્રોગામમાં હાજરી આપવા આવી રહયા છે. તેઓ સાંજે ૫ાા વાગે જામનગરના અન્ય કાર્યક્રમમાં હાજરી આપવા જવાના છે.

દરમિયાન આ કાર્યક્રમે રાજકોટ શહેર ભાજપમાં મોટો કચવાટ - ધુંધવાટ સર્જયાનું જાણીતું છે. ૨૦મીનો કાર્યક્રમ શહેર ભાજપને ગમ્યો ન હોવાનું પણ બહાર આવ્યું છે. કારણ કે ગઇકાલે શહેર ભાજપ દ્વારા સ્નેહમીલન યોજાઇ ગયું છે. ગોવિંદભાઇ અને ભરતભાઇ દ્વારા ૨૦મીના કાર્યક્રમોની તૈયારી અને આમંત્રણો અપાઇ જતા વિવાદ મોટો થયો છે.

ભાજપ શહેરના પદાધીકારીઓ હાજર ન રહે તેવી વાત પણ કાને પહોંચાડાયાનું બહાર આવે છે.

ગઇકાલના ભાજપ સ્નેહમીલનમાં બોલાચાલી સહિતના વિવાદની ભારે ચર્ચા  છે. શહેર ભાજપના આ સંમેલનમાં આંતરીક વિવાદના તણખા ઝર્યાનું પણ જાણીતું બન્યું છે.

બ્રહ્મસમાજનો કાર્યક્રમ પણ ૨૦મીએ યોજાયો છે. તેમાં કમલેશભાઇનું નામ નથી તે બાબતે વિજયભાઇ સુધી ફરીયાદ થઇ હતી. દરમિયાન ગઇકાલના સ્નેહમીલનમાં કમલેશભાઇને નહિ બોલાવવા બાબતે વિજયભાઇએ ગોવિંદભાઇને બોલાવી કમલેશનું નામ કેમ નથી તે અંગે વાત કરી હોવાની પણ ચર્ચા છે. અને આ યોગ્ય નથી તેવી વાત થઇ હતી. જો કે ગોવિંદભાઇએ કહેલ કે આ બ્રહ્મસમાજનો કાર્યક્રમ છે. પક્ષનો નથી અને પ્રદેશમાં પુછીને આયોજન થયું છે. જો કે એક તબકકે વિજયભાઇએ એવુ પણ  કહ્યાની વાત છે કે આવો કાર્યક્રમ ન થવો જોઇએ અને થશે તો અમે આવીશું નહિ.

શ્રી વિજયભાઇ આ ગઇકાલના કાર્યક્રમમાં ગોવિંદભાઇ અને નાથાભાઇ સાથે નારાજ સુરમાં વાત કરી રહયા હતા તે જોઇ રામભાઇ ઉભા થયા અને પુછેલ કે શું વાત છે ? ત્યાં  હાજર રહેલાઓ કહે છે કે આ પછી વિજયભાઇએ તેમને બેસી જવા કહેલ.

રાજકોટનું આખુ મીડીયા આ બનાવ સમયે ત્યાં હાજર  હતુ. તેથી જેમણે જે જોયું, સમજાયું, જાણ્યું તે પ્રમાણે લખ્યાની  ચર્ચા પણ છે.

રામભાઇ આ પછી ગુસ્સામાં હોવાનું અને એવુ કહેલ કે ગુંડાગીરી નહિ ચાલવા દઉ. જો કે હાજર રહેલા કહે છે કે કશ્યપભાઇ શુકલ ત્યાં હાજર હતા તેમણે રામભાઇ, ગોવિંદભાઇને સમજાવી બેસાડી દિધાની અને વિજયભાઇ સામે આવો વર્તાવ ન કરો તેમ કહયાની પણ ચર્ચા છે.

આમ હવે ૨૦મી તારીખના જનસંઘથી ભાજપ સુધીના કાર્યક્રમ ઉપર ભારે ગરમાગરમી સર્જાયેલ છે અને કદાચ આ સંમેલન રદ થાય તો નવાઇ નહિ તેવી પણ ચર્ચા છે. શ્રી સી.આર.પાટીલ  રાજકોટ આવવા અને આ સંમેલન અંગે શું નિર્ણય લ્યે છે તે તરફ સહુની મીટ મંડાયેલ છે.

રસપ્રદ વાત એ છે કે પૂર્વ ગર્વનર, પૂર્વ નાણામંત્રી વજુભાઇ વાળા આ ૨૦મીના કાર્યક્રમમાં હાજર રહેવાના છે જયારે ગઇકાલના કાર્યક્રમમાં તેઓશ્રી અને રાજકોટના એકમાત્ર રાજયકક્ષાના મંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી ગઇકાલના કાર્યક્રમમાં વિવિધ કારણોસર હાજર રહયા ન હતા.

   ગઇકાલે યોજાયેલ ભાજપના આ સ્નેહમિલનમાં વિવિધ મોરચાના કાર્યકરો, મહિલા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.  પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજ્યના શિક્ષણમંત્રી જીતુભાઈ  વાઘાણી, રાજ્યસભાના સાંસદ રામભાઈ  મોકરિયા, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, કશ્યપભાઈ  શુકલ, જીતુભાઈ  મહેતા, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ  મિરાણી, ધનસુખભાઈ  ભંડેરી, મેયર ડો.પ્રદીપ ડવ, પૂર્વ મેયર જૈમનભાઇ ઉપાધ્યાય, પ્રશાંત કોરાટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કેટલાક આગેવાનો ખુદ માસ્ક વિનાના જોવા મળતા તેની પણ ખુબ આલોચના થઇ છે.

(2:30 pm IST)