Gujarati News

Gujarati News

News of Monday, 16th September 2019

જમ્મુ કાશ્મીર : શ્રીનગરમાં બે ડઝન આતંકવાદી સક્રિય

દુકાનદારો અને વેપારીઓને ખુલ્લી ધમકી મળી : સુરક્ષા દળોની ચિંતામાં વધારો : ખુલ્લીરીતે ત્રાસવાદીઓ ફરી રહ્યા હોવાના અહેવાલને પોલીસ વડાનો અંતે રદિયો

નવીદિલ્હી,તા.૧૬ : શ્રીનગર અને તેની આસપાસના ક્ષેત્રમાં આશરે બે ડઝન જેટલા આતંકવાદીઓ હજુ પણ સક્રિય થયેલા છે. કેટલાક વિસ્તારોમાં આ ત્રાસવાદીઓ દુકાનદારોને ખુલ્લીરીતે ધમકી આપી રહ્યા છે. આને લઇને સુરક્ષા દળોમાં ખુબ ચિંતા જોવા મળી રહી છે. અધિકારીઓના કહેવા મુજબ સુરક્ષા દળો દરેકરીતે સાવચેતી રાખી રહ્યા છે. આતંકવાદી સ્થિતિનો લાભ કોઇપણરીતે લઇ ન શકે તે માટેના પ્રયાસો થઇ રહ્યા છે. પહેલા પણ આતંકવાદ વિરોધી ગતિવિધિઓમાં યુવાનોનો ઉપયોગ કરવામાં આવી ચુક્યો છે. જમ્મુ કાશ્મીરને ખાસ રાજ્યનો દરજ્જો પરત ખેંચી લેવામાં આવ્યા બાદ આને બે કેન્દ્ર શાસિત પ્રદેશમાં પાંચમી ઓગસ્ટના દિવસે વિભાજિત કરવાની જાહેરાત કરવામાં વ્યા બાદ સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા પ્રતિબંધોને દૂર કરવામાં આવ્યા પછી કેટલીક ઘટનાઓ બની રહી છે. અધિકારીઓએ કહ્યું છે કે, પ્રતિબંધો ધીમે ધીમે દૂર કરવામાં આવી રહ્યા છે પરંતુ કાશ્મીર ખીણમાં સ્થિતિ સામાન્યથી હાલમાં દૂર દેખાઈ રહી છે.

          ખાસ કરીને આતંકવાદીઓની ઉપસ્થિતિને ધ્યાનમાં લઇને કેટલીક ઘટનાઓ બની રહી છે. અધિકારીઓના કહેવા મુજબ શ્રીનગરના બહારના વિસ્તારમાં અનેક સ્થળો ઉપર ત્રાસવાદીઓને ખુલ્લીરીતે ફરતા જોઈ શકાય છે. દુકાનદારોને દુકાનો ખોલવા અને તેમના આદેશ નહીં માનવાની સ્થિતિમાં ધમકી આપવામાં આવી રહી છે. આ સંદર્ભમાં પ્રતિક્રિયા આપતા જમ્મુ કાશ્મીર પોલીસના પ્રમુખ દિલબાગસિંહે આતંકવાદીઓની ઉપસ્થિતિની સંભાવનાને નકારી નથી પરંતુ કહ્યું છે કે, ત્રાસવાદીઓ ખુલ્લીરીતે ફરી રહ્યા છે તે પ્રકારના અહેવાલ પાયાવગરના છે. રાજ્યની સાથે સાથે કેન્દ્રના અનેક અધિકારીઓ સાથે વાતચીત કરવામાં આવ્યા બાદ અંદાજ છે કે, ગ્રામીણ ક્ષેત્રોમાં તેમની અવરજવર જોવા મળી છે. અધઇકારીઓએ નામ જાહેર નહીં કરવાની શરતે કહ્યું છે કે, ત્રાસવાદીઓ ભય ફેલાવવાના પ્રયાસ કરી રહ્યા છે.

(7:45 pm IST)