Gujarati News

Gujarati News

News of Friday, 16th August 2019

કાશ્મીર : પાકિસ્તાન મોટા ત્રાસવાદી હુમલા કરાવી શકે

ખીણમાં સુરક્ષા જવાનો હાઈએલર્ટ ઉપર : કાશ્મીરમાં સ્થિતિ બગાડવા માટે પાકના ટુકડા ઉપર ઉછરી રહેલા ત્રાસવાદી જૂથો મોટા સ્તરે ગરબડ ફેલાવે તેવી શંકા

નવી દિલ્હી, તા. ૧૬  : જમ્મુ કાશ્મીરને લઇ ભારત સરકારના નિર્ણયથી ઉશ્કેરાયેલા પાકિસ્તાન પોતાની નાપાક હરકતોને અંજામ આપવાના ચક્કરમાં છે. રાજ્યમાં સેના, એરફોર્સ સહિત તમામ સુરક્ષા દળોને હાઈએલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. અધિકારિક સૂત્રો અનુસાર પાકિસ્તાન સમર્થિત આતંકવાદી જુથો ખીણમાં હુમલો કરવાના પ્રયત્ન કરી શકે છે. ખીણમાં ઝડપથી સુધારતી પરિસ્થિતિથી પાકિસ્તાનની પરેશાની વધતી જાય છે અને તે આતંકવાદીઓને ઘુસણખોરી કરાવવા માટે સતત ફાયરિંગ કરી રહ્યું છે.

જો કે, તેમનો આ દાંવપેચ ઉલ્ટો પડી રહ્યો છે, સરહદ પર સતર્ક ભારતીય જવાનો અનેક ઘુસણખોરો અને પાકિસ્તાની સૈનિકોને મોતને ઘાટ ઉતારી ચુકી છે. જમ્મુ કાશ્મીરમાંથી કલમ ૩૭૦ દૂર કરવા અને રાજ્યની ફેરરચના બાદ પાકિસ્તાન ભારે પરેશાન છે. ગુપ્તચર સુત્રો અનસુાર પાકિસ્તાન એક બાજુ આ મુદ્દાને યુએનમાં લઇ ગયું છે તો બીજી બાજુ કાશ્મીરમાં હુમલા અને અરાજકતા ફેલાવવાના પ્રયત્નો કરી રહ્યું છે. રાજ્યમાં તૈનાત જવાનો સંપૂર્ણપણે એલર્ટ પર રહેવા માટે કહેવામાં આવ્યું છે.  સૂત્રો અનુસાર જમ્મુ-કાશ્મીર અને ખાસ કરીને ઘાટીમાં સ્થિતિ બગાડવા માટે પાકિસ્તાન અને તેના ટુકડા પર ઉછરી રહેલા આતંકવાદી જૂથો મોટા સ્તરે ગરબડ ફેલાવે તેવી આશંકા છે.

આથી તમામ સુરક્ષા દળોને એલર્ટ રહેવા જણાવાયું છે. જમ્મુ-કાશ્મીરના તંત્રને હવે આશા છે ટૂંક સમયમાં જ ઘાટીમાં સ્થિતિ સામાન્ય થઈ જશે. શુક્રવાર રાતથી રાજ્યમાંથી તબક્કાવાર જુદા-જુદા પ્રતિબંધો ઉઠાવાની શરૂઆત કરવામાં આવશે. રાજ્યના મુખ્ય સચિવ બી.વી.આર. સુબ્રમણ્યમે શુક્રવારે મીડિયાને જણાવ્યું કે, કાશ્મીરની ઘાટીમાં એક અઠવાડિયા પછી શાળાઓ શરૂ થઈ જશે, જ્યારે તમામ સરકારી ઓફિસોમાં શુક્રવારથી કામકાજ શરૂ થઈ ચુક્યું છે.

(7:42 pm IST)