Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

કાલ કે કપાલ પર લિખતા મિટાતા હું....

ભારત રત્ન વાજપેયી ૩ વાર દેશના વડાપ્રધાન તરીકે રહ્યા

ભાજપના સ્થાપક લીડરો પૈકીના એક વાજપેયી ૧૦ વાર લોકસામાં અને બે વખત રાજ્યસભા માટે ચૂંટાઈ આવ્યા

નવીદિલ્હી, તા. ૧૬ : પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીને આજે એમ્સમાં બે મહિના સુધી સારવાર હેઠળ રહ્યા બાદ અવસાન થયું હતું. વાજપેેયીના અવસાનના સમાચારની સાથે જ દેશભરમાં આઘાતનું મોજુ ફરી વળ્યું હતું. લોકો શોકમાં ડુબી ગયા હતા. વાજપેયી ભાજપના સ્થાપકોમાં સામેલ રહ્યા હતા. ૧૯૯૬થી ૧૯૯૯ના વચ્ચે ત્રણ વખત વડાપ્રધાન થયા હતા. પ્રથમ વખત ૧૯૯૬માં વડાપ્રધાન બન્યા હતા ત્યારે તેમની સરકાર ૧૩ દિવસ ચાલી હતી. ૧૯૯૮માં બીજી વખત વડાપ્રધાન બન્યા હતા. ત્યારે તેમની સરકાર ૧૩ મહિના સુધી ચાલી હતી. ૧૯૯૯માં વાજપેયી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા હતા અને પાંચ વર્ષ સુધી તેમની સરકાર ચાલી હતી. પાંચ વર્ષની અવધિપૂર્ણ કરનાર વાજપેયી પ્રથમ બિનકોંગ્રેસી વડાપ્રધાન બન્યા હતા. ૧૦ વખત લોકસભા માટે અને બે વખત રાજ્યસભા માટે વાજપેયી ચૂંટાઈ આવ્યા હતા. તેમના જન્મદિવસને એટલે કે ૨૫મી ડિસેમ્બરને દર વર્ષે ગુડ ગવર્નન્સ  ડે તરીકે મનાવવામાં આવે છે. અટલ બિહારી વાજપેયીની લોકપ્રિયતા એટલી હતી કે, તેમની પાર્ટી જ નહીં બલ્કે વિપક્ષના નેતાઓ પણ તલ્લીન થઇને તેમની વાત સાંભળતા હતા અને તેમનું સન્માન કરતા હતા. ક્યારેક પોતાની કવિતાઓ અને ભાષણોથી લોકોને મંત્રમુગ્ધ કરનાર વાજપેયી આરોગ્યના પરિણામ સ્વરુપે છેલ્લા ઘણા સમયથી જાહેર જીવનથી દૂર થઇ ગયા હતા. ૨૦૦૫માં સક્રિય રાજનીતિમાંથી સન્યાસ લઇ ચુક્યા હતા. ત્યારબાદથી વાજપેયી મોટાભાગે ઘરે જ રહેતા હતા. વાજપેયીને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૨૦૧૫માં તત્કાલિન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતે તેમના આવાસ ઉપર પહોંચ્યા હતા અને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. વાજપેયી ભાજપના સૌથી સર્વોચ્ચ નેતા પૈકી હતા. વાજપેયીએ પરમાણુ પરીક્ષણ કરીને ભારતને પરમાણુ સક્ષમ દેશ બનાવવામાં ભૂમિકા ભજવી હતી. ૧૯મી માર્ચ ૧૯૯૮થી ૨૨મી મે ૨૦૦૪ સુધી તેઓ વડાપ્રધાન તરીકે રહ્યા હતા. આ પહેલા ૧૬મી મે ૧૯૯૬થી પહેલી જૂન ૧૯૯૬ સુધી વડાપ્રધાન રહ્યા હતા. વાજપેયી જુદી જુદી સરકારોમાં અગાઉ પ્રધાન તરીકે પણ રહ્યા હતા. ૨૬મી માર્ચ ૧૯૭૭થી ૨૮મી જુલાઈ ૧૯૭૯ના ગાળામાં તેઓ વિદેશમંત્રી રહ્યા હતા. ૨૫મી ડિસેમ્બર ૧૯૨૪ના દિવસે વાજપેયીનો ગ્વાલિયરમાં જન્મ થયો હતો. ત્યારબાદ વાજપેયીએ દેવકોલેજ કાનપુરમાં શિક્ષણ મેળવ્યું હતું. એક લેખક, રાજકારણી અને કવિ તરીકે વાજપેયીએ અદ્ભૂત ક્ષમતા ધરાવતા હતા. ૨૦૧૫માં ભારત રત્નથી તેમને સન્માનિત કરાયા હતા. ૧૯૯૨માં પદ્મવિભૂષણથી તેમને સન્માનિત કરાયા હતા. વાજપેયી ઓગસ્ટ ૧૯૪૨માં પ્રથમ વખત રાજકારણમાં સક્રિયરીતે દેખાયા હતા. સંઘમાં જુદી જુદી રીતે પણ વાજપેયી પોતાના સમયગાળામાં સક્રિય રહ્યા હતા. દિનદયાળ ઉપાધ્યાયના અવસાન બાદ જનસંઘની લીડરશીપની જવાબદારી યુવા વાજપેયીના ખભા ઉપર આવી પડી હતી. ૧૯૬૮માં તેઓ જનસંઘના રાષ્ટ્રીય પ્રમુખ બન્યા હતા. ૧૯૭૫થી ૧૯૭૭ સુધી ઇમરજન્સીના ગાળા દરમિયાન અનેક વખત ધરપકડ કરાઈ હતી. ૧૯૭૭માં જનતાની જીત થયા બાદ તેઓ મોરારજી કેબિનેટમાં વિદેશ મંત્રી બન્યા હતા. એજ વર્ષે વાજપેયી સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં હિન્દીમાં ભાષણ આપીને અભૂતપૂર્વ લોકપ્રિયતા હાસલ કરી હતી. વાજપેયીએ જનસંઘમાં સક્રિય રહ્યા બાદ એલકે અડવાણી અને અન્યો સાથે ભાજપની રચના કરી હતી. ૧૯૮૦માં ભાજપની રચના કરવા આ લોકો સક્રિય થયા હતા.

વાજપેયી પ્રોફાઈલ......

નામ         :       અટલ બિહારી વાજપેયી

જન્મ તારીખ :       ૨૫મી ડિસેમ્બર ૧૯૨૪

મૃત્યુ તારીખ  :       ૧૬મી ઓગસ્ટ ૨૦૧૮

જન્મ સ્થળ   :       ગ્વાલિયર, મધ્યપ્રદેશ

મૃત્યુ સ્થળ    :       નવી દિલ્હી, એમ્સ

રાજકીય પાર્ટી       :   ભાજપ

અન્ય પાર્ટી   :       જનસંઘ

શિક્ષણ        :       ડીએવી કોલેજ કાનપુર

પ્રોફેશન      :       લેખક, રાજકારણી, કવિ, પત્રકાર

સિદ્ધિ         :       ભારત રત્ન ૨૦૧૫,

                      પદ્મવિભૂષણ ૧૯૯૨

વડાપ્રધાન   :       માર્ચ ૧૯૯૮-મે ૨૦૦૫

                      મે ૧૯૯૬-જૂન ૧૯૯૬

નાગરિકતા   :       ભારતીય

(7:47 pm IST)