Gujarati News

Gujarati News

News of Thursday, 16th August 2018

મ.પ્રદેશ : ઝરણામાં આવ્‍યું પૂર, ૧૨ તણાયા : ૩૦ હજુ પણ ફસાયેલા

સ્‍વતંત્રતા દિવસે મોટી દુર્ઘટના : પિકનિક મનાવવા આવેલા લોકો પૂરમાં તણાયા : ૮ લોકોનું રેસ્‍કયુ કરાયું

ભોપાલ તા. ૧૬ : સ્‍વતંત્રતા દિવસના અવસરે ઉજવણી કરવા દરમિયાન એક મોટી દુર્ઘટનામાં ૧૨ લોકો પાણીમાં તણાઈ ગયા. ઘટના ગ્‍વાલિયર પાસે શિવપુરીના સુલ્‍તાનગઢમાં બની જયાં કેટલાક લોકો પિકનિક મનાવવા ગયા પરંતુ અચાનક પાણીનું સ્‍તર વધવાના કારણે લગભગ ૩૦-૪૦ લોકો ફસાઈ ગયા હતા.

જાણકારી અનુસાર સ્‍વતંત્રતા દિવસના અસવરે ગ્‍વાલિયર-શિવપુરી બોર્ડર પાસે સુલ્‍તાનગઢમાં મોટી સંખ્‍યામાં લોકો ઝરણાંમાં પિકનિક મનાવવા આવ્‍યા હતા. સાંજે ૪ વાગ્‍યા આસપાસ ઝરણાંમાં પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો. આ દરમિયાન ત્‍યાં લગભગ ૨૦ લોકો નાહી રહ્યા હતા. ખતરાને સમજીને કેટલાક લોકો બહાર નીકળી ગયા જયારે ૧૨ લોકો પાણીના પ્રવાહમાં તણાઈ ગયા અને ૩૦થી ૪૦ લોકો પથ્‍થરો પર ફસાઈ ગયા. તો આ ઘટનામાં કેટલાક લોકોના ગાયબ થવાની પણ ખબર છે.

શિવપુરી જિલ્લાના કલેક્‍ટર શિલ્‍પા ગુપ્તાએ જણાવ્‍યું કે ઝરણાંમાં પાણીના ભારે પ્રવાહ વચ્‍ચે પથ્‍થરની શીલાઓ પર ફસાયેલા લોકોમાંથી અત્‍યાર સુધીમાં ૮ લોકોને હેલિકોપ્‍ટરની મદદથી સુરક્ષિત બહાર કઢાયા છે. ગ્રામ પંચાયત મોહનાના સરપંચએ ઘટનાની સૂચના મળતા તાત્‍કાલિક પોતાના કેટલાક ગોતાખોરોને બોલાવ્‍યા અને ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો. ઝરણાંના પ્રવાહમાં બે પથ્‍થરો પર લોકો ફસાયેલા છે. ઘટનાસ્‍થળ પર સતત વરસાદ થઈ રહ્યો છે, આથી ઝરણાંમાં સતત પાણીનું સ્‍તર વધી રહ્યું છે.

મધ્‍ય પ્રદેશના મુખ્‍યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટના પર શોક પ્રગટ કરતા કહ્યું કે ફસાયેલા લોકોને બચાવવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યું, હું સતત બચાવ દળના સંપર્કમાં છું. કેન્‍દ્રીય મંત્રી અને ક્ષેત્રીય સાંસદ નરેન્‍દ્ર સિંહ તોમરે પણ ઘટનાસ્‍થળ પર પહોંચી ચૂક્‍યા છે.

 

(11:53 am IST)