Gujarati News

Gujarati News

News of Monday, 15th July 2019

બિહારમાં વરસાદી આફતઃભયંકર પૂર પ્રકોપ 24 લોકોના મોત : 25 લાખ લોકો અસરગ્રસ્ત

રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની 26 ટીમો તૈનાત

 

બિહારમાં ભારે વરસાદ વચ્ચે  નેપાળ પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ આફત બન્યો છે નેપાળમાંથી બિહારમાં પ્રવેશતી કોશી નદી પણ ભયજનક સપાટીએ વહી રહી છે. ત્યારે વરસાદના પગલે 144 લાગુ કરી દેવામાં આવી હતી. સાથે જિલ્લાની તમામ સરકારી અને ખાનગી શાળામાં રજા જાહેર કરી દેવામાં આવી હતી. સાથે બિહારમાં હાઇએલર્ટ પણ જાહેર કરાયું હતું. તો બિહારમાં પુરના કારણે અનેક લોકોના જીવ પણ ગયા છે.

બિહારના 12 જિલ્લાઓમાં આવેલ પુરના કારણે અત્યાર સુધીમાં 24 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે 25 લાખ 66 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત થયા છે. આપત્તિ સંચાલન વિભાગના જણાવ્યા અનુસાર, બિહારના 12 જિલ્લા જેમાં શિવહર, સીતામઢી, મુઝફ્ફરનગર, પૂર્વી ચંપારણ, મધુબની, દરભંગા, સહરસા, સુપૌલ, કિશનગંજ, અરરિયા, પૂર્ણિયા અને કટિહારમાં 24 લોકોના મોત થવાની સાથે 25 લાખ 66 હજારથી વધુની સંખ્યાને અસર પહોંચી છે.

બિહારમાં પુરથી મરનારા 24 લોકોમાં સીતામઢીમાં 10, અરરિયામાં 9, કિશનગંજમાં 4 અને શિવહરના એક વ્યક્તિ સામેલ છે. બિહારમાં પુરથી પ્રભાવિત 12 જિલ્લાઓમાં કુલ 196 રાહત શિબિર ચલાવવામાં આવી રહી છે જ્યાં 1,06,953 લોકોએ આશરો લીધો છે. તેમના ભોજનની વ્યવસ્થા માટે 644 સામૂહિક રસોડું ચલાવવામાં આવી રહ્યું છે.

પુરથી પ્રભાવિત વિસ્તારમાં રાહત અને બચાવ કામગીરી માટે એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 26 ટીમો તૈનાત કરવામાં આવી છે. 125 મોટરબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. મુખ્યમંત્રી નીતીશકુમારે સોમવારે અરરિયા જિલ્લાના ફારબિસગંજ, સિકટી, પલાસી અને જોકિહાટ, કિશનગંજ જિલ્લાના ઠાકુરગંજ, કોચાધામન અને ટેઢાગાછ, કટિહાર જિલ્લાના બલરામપુરના પુર અસરગ્રસ્ત વિસ્તારોમાં વિસ્તૃત હવાઇ સર્વેક્ષણ કરીને સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

હવાઇ સર્વેક્ષણ બાદ મુખ્યમંત્રીએ પૂર્ણિયા જિલ્લાના ચૂનાપુર એરપોર્ટ પર પૂર્ણિયા, અરરિયા, કટિહાર અને કિશનગંજ જિલ્લાના જિલ્લાધિકારીઓ સાથે બેઠક કરીને પૂર અને બચાવ-રાહત કામગીરીની સ્થિતિની વિસ્તૃત સમીક્ષા કરી હતી.

(1:06 am IST)