Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

મહિલા અનામત મુદ્દે મોદીને હવે રાહુલે લખેલો ખાસ પત્ર

મહિલા અનામત બિલ મુદ્દે ટેકો આપવાની ખાતરી : કેન્દ્ર સરકારના ત્રિપલ તલાક બિલના જવાબમાં કોંગીએ રણનીતિ હેઠળ મહિલા અનામત બિલનો મુદ્દો ફરી ઉઠાવ્યો

નવી દિલ્હી,તા. ૧૬ : કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને સંસદના મોનસૂન સત્રમાં મહિલા અનામત બિલ લાવવા માટે માંગ કરી છે. રાહુલે પોતાના પત્રમાં કહ્યું છે કે કોંગ્રેસ પાર્ટી સંસદમાં આ બિલનું સમર્થન કરશે. રાહુલના આ પત્રને ભાજપના ત્રિપલ તલાક બિલના જવાબમાં જોવામાં આવે છે. હકીકતમાં ભાજપ પણ ત્રિપલ તલાક પર આ સત્રમાં જ બિલ લાવવા માટે ઈચ્છુક છે. જેથી વિપક્ષી પાર્ટીઓનો સહકાર માંગવામાં આવી રહ્યો છે. સંસદનું મોનસૂન સત્ર ૧૮મી જુલાઈથી શરૂ થશે અને ૧૦મી ઓગસ્ટ સુધી ચાલનાર છે. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે સંસદ અને વિધાનસભામાં મહિલાઓને ૩૩ ટકા અનામત મળે તેવી અમારી ઈચ્છા છે. યુપીએના અધ્યક્ષ સોનિયા ગાંધીએ પણ થોડાક સમય પહેલા કેન્દ્ર સરકારને પત્ર લખીને આ અંગે વાત કરી હતી. મહિલા અનામત બિલ છેલ્લા ઘણા સમયથી અટવાયેલું છે. ૧૯૯૬માં તત્કાલિન વડાપ્રધાન એચડી દેવગૌડાની અવધિમાં આ બિલને સંસદમાં રજુ કરવામાં આવ્યું હતું. ૨૦૧૦માં રાજ્યસભામાં પાસ થયા બાદ આ બિલ લોકસભામાં પાસ થઈ શક્યું ન હતું. વર્ષ ૧૯૯૩માં બંધારણમાં ૭૩ અને ૭૪માં સુધારા મારફતે પંચાયત અને નગર નિગમની ચૂંટણીમાં એક તૃતિયાંશ સીટોને સીટોને મહિલાઓ માટે રાખવાની વાત કરવામાં આવી હતી. મહિલા અનામતને મંજુરી આપવા માટે બંધારણમાં સુધારાની જરૂર છે. જુદા જુદા રાજકીય પક્ષો મહિલા અનામતમાં જુદા જુદા સમુદાયની મહિલાઓ માટે અનામતની માંગ કરી રહ્યા છે. ગયા વર્ષે નવરાત્રિ પહેલા કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મહિલા સશક્તિકરણની વાત કરીને વડાપ્રધાન સમક્ષ લોકસભામાં મહિલા અનામત બિલને વહેલીતકે પાસ કરાવવા માટે અપીલ કરી હતી. સોનિયા ગાંધીએ લખ્યું હતું કે લોકસભામાં ભાજપની પાસે બહુમતી છે. આવી સ્થિતિમાં વહેલીતકે મહિલા અનામત બિલને પાસ કરવાના પ્રયાસ કરવા જોઈએ. આ બિલ માર્ચ ૨૦૧૦માં રાજ્યસભામાં પાસ થઈ ચુક્યું છે. હવે લોકસભાની મંજુરી મેળવવાની જરૂર છે. જેથી લોકસભામાં આને રજુ કરવા માટે રજુઆત કરવામાં આવી ચુકી છે. સોનિયા ગાંધીએ કહ્યું હતું કે રાજીવ ગાંધીએ પણ બંધારણીય સુધારા મારફતે મહિલા અનામત માટે પ્રથમ વખત જોગવાઈ કરી હતી. બીજી બાજુ મોદી સરકાર ત્રિપલ તલાક સહિત અનેક અટવાયેલા બિલને પસાર કરવા માટે ઉત્સુક છે. આના માટે વિરોધ પક્ષોના સમર્થનની માંગ કરવામાં આવી ચુકી છે. ત્રિપલ તલાક, પછાત વર્ગ પંચને બંધારણીય દરજ્જા, બળાત્કારના અપરાધીઓને કઠોર સજા સહિત અનેક મહત્વપૂર્ણ બિલને પસાર કરવા માટે સહકારની માંગ કરવામાં આવી રહી છે.

(7:11 pm IST)