Gujarati News

Gujarati News

News of Monday, 16th July 2018

બેઠકોની વહેંચણી મુદ્દે એક મહિનામાં નિર્ણય થઈ જશે

ફોર્મ્યુલા તૈયાર કરવાની તૈયારી શરૂ થઈ ચુકી છે : ચારથી પાંચ સપ્તાહમાં જ ચિત્ર બિલકુલ સ્પષ્ટ : નીતિશ

પટણા,તા. ૧૬ : બિહારમાં વર્ષ ૨૦૧૯માં લોકસભા ચૂંટણીમાં બેઠકોની વહેંચણીને લઈને સત્તારૂઢ જેડીયુ અને ભાજપ વચ્ચે ખેંચતાણ યથાવત રીતે જારી રહી છે. આ ગાળા દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી નીતિશ કુમારે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા ચારથી પાંચ સપ્તાહની અંદર કાઢી લેવાનો સંકેત આપ્યો છે. નીતિશકુમારે આજે કહ્યું હતું કે રાજ્યમાં ભાજપ સહિત એનડીએના ઘટક પક્ષોની વચ્ચે બેઠકોની વહેંચણીની ફોર્મ્યુલા ચારથી પાંચ સપ્તાહમાં તૈયાર કરી લેવામાં આવશે. ભાજપ પ્રમુખ અમિત શાહે ૧૨મી જુલાઈના દિવસે નીતિશકુમાર સાથે બેઠક યોજી હતી. આ સંદર્ભમાં પૂછવામાં આવતા નીતિશકુમારે કહ્યું હતું કે અનેક મુદ્દાઓ ઉપર વિસ્તારપૂર્વક ચર્ચા થઈ હતી. આ ગાળા દરમિયાન બિહાર સાથે જોડાયેલા મુદ્દાઓ ઉપર પણ ચર્ચા થઈ હતી. નીતિશે કહ્યું હતું કે જ્યાં સુધી લોકસભા ચૂંટણીને લઈને પ્રશ્ન છે તે સંદર્ભમાં ટૂંક સમયમાં જ પ્રસ્તાવ રજુ કરી દેવામાં આવશે. પ્રસ્તાવ એક મહિનાની અંદર જ તૈયાર કરી લેવામાં આવશે. બિહારમાં એનડીએમાં સામેલ પક્ષોમાં જેડીયુ અને ભાજપ ઉપરાંત કેન્દ્રિય મંત્રી રામવિલાસ પાસવાનની પાર્ટી એલજેપી અને ઉપેન્દ્ર કુશવાહની પાર્ટી આરએલએસપી પણ છે. બિહારમાં કુલ લોકસભાની ૪૦ સીટો છે. વર્ષ ૨૦૧૪માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ, એલજેપી અને આરએલએસપી એકસાથે હતા. જેમાં ભાજપને ૨૨ સીટો પર અને એલજેપીને છ સીટો પર જીત મળી હતી. આરએલએસપીને ત્રણ સીટો મળી હતી. છેલ્લી લોકસભાની ચૂંટણીમાં જેડીયુને માત્ર બે સીટો મળી હતી. આ ચૂંટણીમાં કારમી હાર મળ્યા બાદ જેડીયુ મહાગઠબંધનમાં સામેલ થઈને આરજેડી અને કોંગ્રેસ સાથે થઈ જતા મહાગઠબંધનની રચના કરવામાં આવી હતી. ૨૦૧૫માં મહાગઠબંધનની રચના કરાયા બાદ ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભારે સફળતા મળી હતી. જેડીયુ અધ્યક્ષ નીતિશકુમારે આજે ફરી એકવાર બિહાર માટે ખાસ રાજ્યના દરજ્જાની માંગ કરી હતી.

(7:08 pm IST)