નવી દિલ્હી: મીડિયા સામે ક્યારે, ક્યાં અને કેવી રીતે બોલવું એ બાબતે ભાજપાના નેતાઓ અને પ્રવક્તાઓ માટે ગાઇડલાઇન જાહેર કરાઈ છે ભાજપના ટ્રેનિંગ સેલે મીડિયા અને સોશયલ મીડિયા પ્રયોગ માટે જરૂરી ગાઈડલાઈન બહાર પાડી છે. ગાઈડલાઈન મુજબ કયા સમયે પ્રેસ કોન્ફરન્સ કરવી, મીડિયા સામે કઈ રીતે વાત કરવી,પ્રવક્તા ટીવી ડિબેટ માટે જાય તો તેમણે કઈ રીતે તૈયાર થવાનું અને મીડિયા સાથે ઓફ ધ રેકોર્ડ કંઈ ન બોલવાની સલાહ, આપવા સાથે પાર્ટી પ્રવક્તાઓએ કેવા કપડાં પહેરવા વગેરે જેવી બાબતો જણાવાઈ છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, 2015માં ભાજપે તેના રાજકીય કાર્યકરો માટે એક ટ્રેનિગ પ્રોગ્રામ શરૂ કર્યો હતો. જેને તે દુનિયાનો સૌથી મોટો ટ્રેનિગ પ્રોગ્રામ જણાવે છે. દીનદયાલ ઉપાધ્યાય પ્રશિક્ષણ મહાભિયાન નામના આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં દેશભરના ભાજપના લાખો કાર્યકરોને ટ્રેનિંગ આપવામાં આવી હતી. ‘મીડિયા: અપ્રોચ એન્ડ સ્ટ્રેટેજી’ એ મીડિયાને કઈ રીતે હેન્ડલ કરવું તેની ‘ક્વીક ગાઈટબુક’ છે. નેતાઓને કહેવામાં આવ્યું છે કે, તેઓ સંપાદકો અને પત્રકારો સાથે વીકએન્ડની ઉજવણી કરે અને તેમને પોતાના અંગત નંબરો પણ આપે અને તેમને કોફી કે લંચ માટે લઈ જાય તેમજ તેમને આભાર સંદેશ પણ મોકલે કે જેથી તેમની સાથે સારા સંબંધો ઊભા થઈ શકે.
અવારનવાર મીડિયા સાથે વાતચીત દરમિયાન ભાજપ નેતા કંઈને કંઈ એવું બોલી દે છે, જેનાથી પાર્ટીની છબિ ખરાબ થાય છે. આ બધી વાતોને ધ્યાનમાં રાખીને જ ભાજપના ટ્રેનિંગ સેલે ‘મીડિયા અપ્રોચ એન્ડ સ્ટ્રેટેજી’ નામથી એક બુકલેટ બહાર પાડી છે આ બુકલેટ મુજબ, પાર્ટી પ્રવક્તા ચાલશે તો 2019ની લોકસભા ચૂંટણીમાં પાર્ટી માટે ઘણું મોટું પરિવર્તન આવી શકે છે. ગાઈડબુકમાં ખાસ કરીને ટેલિવિઝન મીડિયા પર ફોકસ કરવામાં આવ્યું છે. પાર્ટીનું માનવું છે કે, જો ગાઈડલાઈન યોગ્ય રીતે ફોલો કરવામાં આવી તો નેતાઓ અને પ્રવક્તાઓની ભાષા શૈલીમાં ફેરફાર આવશે અને મીડિયા સાથે સારા સંબંધો બની શકશે.
બુકલેટમાં કહેવાયું છે કે, ટેલીવિઝન અને ન્યૂઝ પેપરો કોઈ ખાસ દિવસે ઈન્ટરવ્યુ આપવાનું કહેવામાં આવે તો નેતાઓ અને પ્રવક્તાઓએ ઈનકાર કરવો નહીં. ઈન્ટરવ્યુ દરમિયાન ભૂલથી પણ નો કોમેન્ટ્સ જેવા શબ્દોનો ઉપયોગ ન કરવો. જો પત્રકાર કોઈ એવો સવાલ કરે છે, જેનાથી તમને ગુસ્સો આવી જાય છે તો પોતાની જાતને શાંત રાખવી અને વિનમ્રતાની સાથે સવાલોનો જવાબ આપવો. બુકલેટમાં એ પણ સ્પષ્ટ કરાયું છે કે, માત્ર એક કે બે મોટા નેતા જ ડાયસ પર રહેશે અને ભાજપનો લોગો પ્રમુખતાથી નજર આવવો જોઈએ.
ગાઈડલાઈનમાં કહેવાયું છે કે, ‘KISS (કિપ ઈટ શોર્ટ એન્ડ સિમ્પલ)નો નિયમ યાદ રાખવો. ત્રણ કે પાંચ મિનિટ્સમાં ત્રણ કે પાંચ મહત્વના મુદ્દા પર વાત કરવી. નેતાઓએ મુદ્દા પર સ્પષ્ટ રહેવું જોઈએ. ન્યૂઝબાઈટ 10થી 40 સેકન્ડની જ હોવી જોઈએ.’
વધારે લોકો સુધી વાત પહોંચી શકે તેવો સમય ચર્ચા માટે પસંદ કરવો. બુકલેટમાં કહેવાયું છે કે, ‘સામાન્ય રીતે, સવારે 9.30થી બપોરે 2 કલાક સુધીના બિઝનેસ કલાકો પસંદ કરવા જોઈએ કેમકે તેનાથી પત્રકારોને તેમની સ્ટોરીઓ લખવાનો અને ફાઈલ કરવાનો પૂરતો સમય મળી રહે છે. વીકએન્ડ કરતા સોમવાર અને શુક્રવાર વધારે મુશ્કેલીભર્યા હોય છે, પણ જો સંપાદક કોઈ ચોક્કસ દિવસે બોલવાનું કહે તો ગભરાવવું નહીં.’
બુકલેટમાં પ્રેસ રિલીઝ કઈ રીતે તૈયાર કરવી તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. તેમાં કહેવાયું છે કે, ‘સારી હેડલાઈન, પહેલા ફકરામાં જ મહત્વનો મુદ્દો આવી જવા જોઈએ, તેમાં આંકડાકીય માહિતી પણ હોવી જોઈએ, વ્યાકરણની ભૂલો ન હોય તે ધ્યાન રાખવું, મુદ્દાને લગતા ક્વોટ્સ, તમારા સંપર્કની વિગતો અને આ બધું એક કે બે પેજમાં આવરી લેવું.’
તેમાં કહેવાયું છે કે, ‘જ્યારે પાર્ટી કોઈ ન્યૂઝ બ્રેક કરવા ઈચ્છતી હોય કે કોઈ મહત્વના મુદ્દા પર મીડિયામાં ઉત્સુકતા હોય ત્યારે જ પ્રેસ કોન્ફરન્સ કરવી. તેમાં સમય પણ મહત્વનો છે. વધારે કવરેજ મેળવવા પ્રેસ કોન્ફરન્સ સવારે 11થી બપોરે 1 વાગ્યા વચ્ચે જ કરવી.’ સાથે જ લોકેશન, માઈક અને પ્રેસ કોન્ફરન્સ અને ડિબેટ્સમાં કેવા કપડાં પહેરવા તે અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે.
સાથે જ બુકલેટમાં ભાજપના સભ્યોને સોશયલ મીડિયાથી ચેતતા રહેવાની સલાહ પણ આપવામાં આવી છે. તેમાં કહેવાયું છે કે, સોશયલ મીડિયા પર પોસ્ટ કરતી વખતે સાવચેતી રાખવી. સાથે જ તેમાં નેતાઓ અને કાર્યકરોને સલાહ આપવામાં આવી છે કે, કોઈ ‘ભક્ત’ જેવા શબ્દોનો ઉપયોગ કરે તો પોતાની જાતને સંભાળવી અને ટ્રોલ થવાથી બચવું. ઉલ્લેખનીય છે કે, 2014ની લોકસભા ચૂંટણીમાં સોશયલ મીડિયાએ ભારતના યુવાનોને ભાજપ તરફ આકર્ષિત કરવામાં ઘણો ભાગ ભજવ્યો હતો.