Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

અભિનેતા ઈમરાન ખાનની પણ છૂટાછેડાની જાહેરાતની શક્યતા

આમિરના પદચિહ્નો પર ચાલતો ભાણિયો : લાઈમલાઈટથી દૂર રહેનાર ઈમરાન ખાન એક વાર ફરીથી પત્ની અવંતિકા સાથેના છૂટાછેડાને લઈને ચર્ચામાં

મુંબઈ, તા.૧૬ : બોલિવુડ એક્ટર અને આમિરખાનના ભાણિયા ઈમરાનખાને તેમની પત્નિ અવંતિકા મલિકને છૂટાછેડા આપવાનો નિર્ણય કરી લીધો છે. બંનેએ હજી સુધી કોર્ટમાં તે અંગેની અરજી આપી નથી.

લાંબા સમયથી લાઈમલાઈટથી દૂર રહેનાર ઈમરાન ખાન એક વાર ફરીથી ચર્ચામાં આવી ગયા છે. ઈમરાન ખાને તેમના અંગત જીવનના કારણે ચર્ચામાં આવ્યા છે તેમણે તેમની પત્નિ અવંતિકા મલિકથી અલગ થવાનો નિર્ણય લીધો છે. છેલ્લા કેટલાક સમયથી બંને વચ્ચે અણબનાવ હોવાના સમાચાર આવ્યા હતા, પરંતુ હવે પુષ્ટિ થઈ ગઈ છે કે બંને વચ્ચે ખરેખર સમસ્યા છે અને ઈમરાન ખાન ગમે ત્યારે લોકો આગળ આ અંગેની જાહેરાત કરી શકે છે.

ઈમરાન ખાન અને અવંતિકા મલિક હવે સત્તાવાર રીતે અલગ થઈ રહ્યા છે પરંતુ બંનેએ હજી સુધી કોર્ટમાં છુટાછેડાની અરજી આપી નથી. અવંતિકાએ પોતાના તરફથી આ સંબંધને બચાવવાના ઘણા પ્રયાસો કર્યા હતા કેમ કે તે કોઈ પણ કારણોસર તેમના સંબંધોને સંપુર્ણ રીતે સમાપ્ત થવા દેવા માંગતી નહોતી, પરંતુ તેના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા. કોમન મિત્રો અને પરિવારે પણ બંને વચ્ચે સમાધાન લાવવાના તમામ પ્રયત્નો કર્યા પરંતુ તેઓ પણ નિષ્ફળ ગયા.

વર્ષ ૨૦૧૧માં ઈમરાન ખાને તેની ખાસ મિત્ર અવંતિકા મલિક સાથે લગ્ન કર્યા હતા. તેમજ બંનેની એક દીકરી પણ છે. લગ્ન અને દીકરી બાદ પણ બંનેનુ જીવન સુંદર રીતે પસાર થઈ રહ્યું હતું પરંતુ ૨૦૧૯થી બંને વચ્ચે ખટાસ ઉભી થઈ હતી જેના પછી બંને અલગ રહેવા લાગ્યા હતા.

(8:02 pm IST)