Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

મુંબઈ ઈન્ડીયન્સને મોટો ઝટકો :સૂર્યકુમાર યાદવ ઈજાના લીધે IPLમાંથી બહાર : આકાશ માધવાલનો થયો સમાવેશ

સૂર્યકુમાર યાદવે આઈપીએલમાં 8 મેચમાં 43ની એવરેજથી 303 રન બનાવ્યા:3 અડધી સદી ફટકારી :સ્ટ્રાઈક રેટ 146 હતો: સૂર્યકુમારનું આવતા મહિને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં રમવું શંકાસ્પદ

મુંબઈ : સૂર્યકુમાર યાદવ ઈજાના કારણે IPLમાંથી બહાર થઈ ગયો છે. IPL 2022માં 5 વખતની ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સનું પ્રદર્શન સારું રહ્યું નથી. ટીમ 12માંથી 9 મેચ હારીને પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે. સૂર્યકુમાર યાદવ ડાબા હાથના સ્નાયુમાં ઈજાને કારણે બહાર થઈ ગયો છે. ઈજાના કારણે તે T20 લીગની શરૂઆતની મેચ પણ રમી શક્યો નહોતો. તેના સ્થાને ઉત્તરાખંડના ડાબા હાથના ફાસ્ટ બોલર આકાશ માધવાલનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ રીતે સૂર્યકુમારનું આવતા મહિને દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 શ્રેણીમાં રમવું શંકાસ્પદ છે.

IPLની વર્તમાન સિઝનમાં સૂર્યકુમાર યાદવે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે 8 મેચમાં 43ની એવરેજથી 303 રન બનાવ્યા હતા. 3 અડધી સદી ફટકારી હતી. તેનો સ્ટ્રાઈક રેટ 146 હતો. ટીમ માટે સૌથી વધુ રન બનાવવાના મામલે તે ત્રીજા નંબર પર હતો. તિલક વર્માએ સૌથી વધુ 368 રન બનાવ્યા છે. ઈશાન કિશને પણ 327 રન બનાવ્યા છે. જોકે બંનેએ સૂર્યકુમાર કરતાં 4-4 વધુ મેચ રમી છે. જોકે, 28 વર્ષીય આકાશ પાસે વધુ અનુભવ નથી. તેણે 15 T20I માં 27ની એવરેજથી 15 વિકેટ લીધી છે. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 16 રનમાં 3 વિકેટ છે. ઈકોનોમી 7.55ની છે. હવે તે IPLમાં પોતાની ઓળખ બનાવવા માંગશે. તેણે ફર્સ્ટ ક્લાસની 6 મેચમાં 8 વિકેટ અને લિસ્ટ-Aની 11 મેચમાં 14 વિકેટ ઝડપી છે. ટીમ તેને બાકીની 2 મેચમાં તક આપી શકે છે. તેને 20 લાખ રૂપિયામાં સામેલ કરવામાં આવ્યો છે.

IPL ઈતિહાસમાં રોહિત શર્માની આગેવાની હેઠળની મુંબઈ ઈન્ડિયન્સનું આ સૌથી ખરાબ પ્રદર્શન છે. ટીમ પ્રથમ આઠ મેચ હારી ગઈ હતી. ગત સિઝનમાં પણ ટીમ પ્લેઓફમાં જગ્યા બનાવી શકી ન હતી. રોહિત બેટથી શાનદાર પ્રદર્શન કરી શક્યો નથી. તે અત્યાર સુધી એક પણ અડધી સદી ફટકારી શક્યો નથી.

(7:59 pm IST)