Gujarati News

Gujarati News

News of Monday, 16th May 2022

ચારધામ : યાત્રાળુઓ પાસેથી વસૂલાઇ રહી છે વધુ કિંમત ? પાણીની બોટલ ૧૦૦ રૂપિયા : ૫૦૦ રૂપિયાના રૂમની ૫ થી ૧૦ હજાર વસુલાય છે

અત્‍યારે ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા માટે શ્રધ્‍ધાળુઓ દેશ-વિદેશમાંથી આવી રહ્યા છે : યાત્રા દરમિયાન માર્ગમાં આવતી હોટેલ, રેસ્‍ટોરન્‍ટ અને દુકાનોમાં શ્રધ્‍ધાળુઓ પાસેથી ચીજવસ્‍તુઓની વધુ કિંમત વસૂલવામાં આવી રહી છે

દહેરાદૂન તા. ૧૬ : અત્‍યારે ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા માટે શ્રદ્ધાળુઓ દેશ-વિદેશમાંથી આવી રહ્યા છે. ત્‍યારે યાત્રા દરમિયાન ભોજન, પાણીની બોટલ અને રૂમ સહિતની કિંમત વધી હોવાના સમાચાર મળતાં જ પ્રશાસન એક્‍શનમાં આવ્‍યું છે. રાજયના મુખ્‍ય સચિવે જણાવ્‍યું કે ચારધામ આવતા યાત્રીઓ પાસેથી વધુ કિંમત વસૂલનારની ધરપકડ કરવી જોઈએ. કારણકે, એ પ્રકારે ફરિયાદ આવી છે કે યાત્રા દરમિયાન માર્ગમાં આવતી હોટેલ, રેસ્‍ટોરન્‍ટ અને દુકાનોમાં શ્રદ્ધાળુઓ પાસેથી ચીજવસ્‍તુઓની વધુ કિંમત વસૂલવામાં આવી રહી છે. ૫૦૦ રૂપિયાના રૂમની ૫થી ૧૦ હજાર સુધીની કિંમત વસૂલવામાં આવી રહી છે. જયારે ૨૦ રૂપિયાની પાણીની બોટલની ૧૦૦ રૂપિયા કિંમત વસૂલવામાં આવી રહી છે.

ચારધામ યાત્રા માટે આ વર્ષે ભારે ભીડ જામી છે. શુક્રવાર સાંજ સુધીમાં ૧૨.૩૪ લાખ શ્રદ્ધાળુઓ ચારધામ દર્શન માટેનું રજિસ્‍ટ્રેશન કરાવી ચૂક્‍યા છે. શ્રી હેમકુંડ સાહિબ માટે ૧૩,૮૮૮ શ્રદ્ધાળુઓએ રજિસ્‍ટ્રેશન કરાવ્‍યું છે. વધી રહેલી ભીડને જોતાં દર્શન કરનાર શ્રદ્ધાળુઓની સંખ્‍યા સીમિત કરવામાં આવી છે. જે મુજબ કેદારનાથમાં ૧૩ હજાર, બદ્રીનાથમાં ૧૬ હજાર, ગંગોત્રીમાં ૮ હજાર અને યમુનોત્રીમાં ૫ હજાર શ્રદ્ધાળુઓ પ્રતિ દિવસ દર્શન કરી શકે છે. પરંતુ, ત્‍યારબાદ મુખ્‍યમંત્રીનું એવું પણ નિવેદન આવ્‍યું છે કે ચારધામમાં યાત્રીઓ માટેની કોઈ સંખ્‍યા નક્કી કરવામાં આવી નથી.

યાત્રાળુઓ માટે રાજય સરકારે સુવિધાનું વિશેષ ધ્‍યાન રાખ્‍યું છે. જેમાં મોબાઈલ ટોયલેટની વ્‍યવસ્‍થા પણ સામેલ છે. યાત્રાના માર્ગ પર ત્રણ તબક્કામાં સફાઈ વ્‍યવસ્‍થા શરૂ કરવામાં આવી છે, ખાસ કરીને રાતના સમયે કચરો ઉઠાવવાનું કામ થઈ રહ્યું છે, જેથી બીજા દિવસે યાત્રાળુઓને સ્‍વચ્‍છ રસ્‍તા જોવા મળે. આ સિવાય જંતુનાશક દવાઓનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. યાત્રાળુઓની સુવિધા માટે પહેલીવાર રાજય સરકારે હોટેલ, રેસ્‍ટોરન્‍ટ વગેરેમાં બિલમાં સર્વિસ ચાર્જ ન લેવા માટે કહ્યું છે.

યાત્રાળુઓને સારી મેડિકલ સુવિધા મળે તે માટે સરકાર તૈયાર છે. ભાડામાં જે વધારો કરવામાં આવ્‍યો છે, તે બાબતે સરકાર સંવેદનશીલ છે અને વચ્‍ચેનો માર્ગ કાઢવામાં આવશે. ટ્રિપ કાર્ડમાં કેટલીક તકલીફ પડી રહી છે, પરંતુ તે માટે અધિકારીઓને વ્‍યવસ્‍થા કરવાનું કહેવામાં આવ્‍યું છે. આ સિવાય ટ્રાન્‍સપોર્ટ સેવા પર પણ ધ્‍યાન રાખવામાં આવી રહ્યું છે. રોડવેઝની આવક વધારવા માટે સરકાર કામ કરી રહી છે.

(10:48 am IST)