Gujarati News

Gujarati News

News of Sunday, 16th May 2021

તૌકતે’ વાવાઝોડાનો કહેર : કર્ણાટકમાં 4 લોકોના મોત : ગૃહમંત્રી અમિતભાઇ શાહે બેઠક બોલાવી

કર્ણાટકમાં છેલ્લા 24 કલાકમાં 6 જિલ્લા, 3 કાંઠા વિસ્તારના જિલ્લામાં ભારથી અતિભારે વરસાદ

બેંગલુરૂ: ચક્રવાતી વાવાઝોડું “તૌકતે” હવે ભીષણ તોફાનમાં બદલાઈ ચૂક્યું છે. ભારતીય હવામાન વિભાગ (IMD)એ કહ્યું કે, આ વાવાઝોડું 17મીં મેના સાંજે ગુજરાતના કાંઠે પહોંચશે અને 18મીં મેના રોજ સવારે પોરબંદર અને મહુવાની વચ્ચેથી પસાર થવાની સંભાવના છે.

“તૌકતે”ના કહેરના લઈને કર્ણાટક ડિઝાસ્ટર મેનેજમેન્ટે રવિવારે જણાવ્યું કે, છેલ્લા 24 કલાકમાં 6 જિલ્લા, 3 કાંઠા વિસ્તારના જિલ્લામાં ભારથી અતિભારે વરસાદ પડ્યો છે. જેમાં અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે, જ્યારે 73 ગામને અસર થઈ છે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ  શાહે “તૌકતે”ને પગલે ઉભી થયેલી સ્થિતિનો સામનો કરવા માટે રવિવારે સબંધિત રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશો, કેન્દ્રીય મંત્રાલયો, સબંધિત એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા માટે મહારાષ્ટ્ર, ગુજરાતના મુખ્યમંત્રીઓ, દમણ અને દીવ અને દાદરાનગર હવેલીના પ્રશાસકો સાથે બેઠક કરી છે

અગાઉ BMC મુંબઈથી તાઉ-તેના પસાર થવાની હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને 580 દર્દીઓને કોવિડ કેર સેન્ટરમાં શિફ્ટ કરી દીધા છે.

IMDએ શનિવારે કહ્યું હતું કે, “તૌકતે” વધારે શક્તિશાળી બન્યું છે અને તે ગુજરાતના કાંઠા અને કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ-દીવ અને દાદરાનગર હવેલી કાંઠા તરફ આગળ વધી રહ્યું છે.

આ વાવાઝોડું રવિવારે મુંબઈથી થોડા અંતરે થઈને પસાર થવાની આશંકા છે. જેના કારણે વધારે નુક્સાન તો નહીં થાય, પરંતુ મુંબઈ, ઠાણે અને પાલઘરમાં તોફાની પવન સાથે ધોધમાર વરસાદ વરસી શકે છે.

“તૌકતે”ને ધ્યાનમાં રાખીને રાહત અને બચાવ કાર્ય માટે NDRFએ શનિવારે પોતાની ટીમોની સંખ્યા 53થી વધારીને 100 કરી દીધી છે. આ ટીમો કેરળ, કર્ણાટક, તમિલનાડુ, ગોવા, ગુજરાત અને મહારાષ્ટ્રના કાંઠા વિસ્તારમાં તૈનાત કરવામાં આવી છે.

(6:43 pm IST)