Gujarati News

Gujarati News

News of Wednesday, 15th May 2019

મમતા બેનર્જીની ગર્જના :વિદ્યાસાગરની પ્રતિમા તૂટતાં ભાજપને ખુલ્લી ધમકી :કહ્યું "તમારા નસીબ સારા છે, હજુ હું શાંત બેઠી છું

વિદ્યાસાગર જેમણે લોકોને શિક્ષણ આપ્યું છે. ભાજપના આ કાર્યથી અમે શરમ અનુભવી રહ્યા છીએ

કોલકાતા :પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ભાજપ અધ્યક્ષ અમિતભાઇ શાહની રેલીમાં થયેલી હિંસા બાદ વિદ્યાસાગરની પ્રતિમા તોડાયાની ઘટનાથી ભાજપને ખુલ્લેઆમ ધમકી આપતા કહ્યું કે, "તમારા નસીબ સારા છે, હજુ હું શાંત બેઠી છું." મમતાએ જણાવ્યું છે કે, "દિલ્હીના ગુંડા, શું તમે જાણો છો કે વિદ્યાસાગર કોણ છે? જેમણે લોકોને શિક્ષણ આપ્યું છે. ભાજપના આ કાર્યથી અમે શરમ અનુભવી રહ્યા છીએ"

 

 કોલકાતામાં અમિતાભઈ શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા અંગે ભાજપ અને ટીએમસી એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે મમતા દીદીએ વધુમાં જણાવ્યું કે, "હું તમને એક સમાચાર આપવા માગું છું કે તમે લોકો ઠંડા મગજ સાથે આ બાબત પર ચિંતન કરજો. જો કોઈ ખરાબ કામ કરે તો અમાર પણ એવું જ કરવાનું હોય એ જરૂરી નથી. આવું શોભા દેતું નથી."

  મમતા બેનરજીએ જણાવ્યું કે, "અમિતભાઈ  શાહ એક રેલી કરવા માટે ઉત્તર કોલકાતામાં રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડથી લોકોને લઈને આવ્યા હતા. સ્થાનિક ચેનલે બતાવી છે. નેશનલ ચેનલે દેખાડ્યું નથી. જેવી રેલી પુરી થઈ, ભાજપના ગુંડાઓએ હાથમાં દંડા અને આગ લઈને વિદ્યાસાગર કોલેજમાં આગ લગાવી દીધી અને વિદ્યાસાગરની પ્રતિમા તોડી નાખી છે."

  દીદીએ વધુમાં જણાવ્યું કે, "કોલકાતામાં આટલી મોટી ઘટના ક્યારેય થઈ નથી. નકસલવાદના સમયે પણ નહીં. અમે છોડીશું નહીં, ભાજપ પાસેથી ઈંચ-ઈંચનો જવાબ લઈશું. દિલ્હીના ગુંડા, શું તમે જાણો છો કે વિદ્યાસાગર કોણ છે? જેમણે લોકોને શિક્ષણ આપ્યું છે. ભાજપના આ કાર્યથી અમે શરમ અનુભવી રહ્યા છીએ." 

 

  મમતા બેનરજીએ ગુસ્સો ઠાલવતા કહ્યું કે, "આખરે પોલીસે તેમને રેલી કરવાની મંજુરી જ શા માટે આપી? જે લોકો રેલી કરવાના નામે બહારથી ગુંડા લઈને આવે છે, તોફાન કરે છે, તેમના માફ કરવામાં નહીં આવે. બંગાળમાં આવું ક્યારેય થયું નથી. કોલેજ અને યુનિવર્સિટીના પ્રિન્સિપાલને આધિકારીક ફરિયાદ કરવા જણાવાયું છે."

  મમતાએ પોતાનો આક્રોશ ઠાલવતા જણાવ્યું કે, "દિલ્હીના ગુંડા, ફાસિસ્ટ નેતા, અમારા બંગાળની સાંસ્કૃતિક ધરોહરને તમે હાથ લગાવશો તો મારાથી ખરાબ બીજું કોઈ નહીં હોય. અમારા નેતાઓને હાથ લગાવનારાને છોડીશું નહીં. તમે આજે વિદ્યાસાગરને હાથ લગાવીને શું કર્યું છે તેની તમને ખબર નથી? તમારે આનો જવાબ આપવો પડશે. શાંતિ-શાંતિ કરીને મેં ઘણી રાહ જોઈ લીધી છે."

(11:56 pm IST)