Gujarati News

Gujarati News

News of Wednesday, 16th May 2018

સરકારના રોજગારીના આંકડાની ખુલી પોલ: એસબીઆઈમાં 2000 પ્રોબેશનરી ઓફિસરોની જગ્યા માટે 9,75 લાખ અરજી

અરજીઓમાંથી 70 ટકા અરજીઓ એન્જિનિયરો અને પોસ્ટ-ગ્રેજ્યુએટ્સની છે.

નવી દિલ્હી:દેશમાં બેરોજગારી મોં ફાડીને ઉભી છે રોજગારી મુદ્દે સરકારી દાવા ખોખલા સાબિત થયા છે વિપક્ષ મોદી સરકાર પર રોજગારી આપવાનું વચન ન પાળવાનો આરોપ લાગી રહ્યો છે. જયારે  સરકાર દેશમાં નોકરીઓ વધી હોવાના જાતજાતના પ્રકારના આંકડા બતાવે છે ત્યારે દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક એસબીઆઈ તરફથી બહાર આવેલા એક આંકડાએ સરકારના રોજગારીને લગતા દાવાઓની પોલ ખોલી નાંખી છે.

  એસબીઆઈએ પ્રોબેશનલ ઓફિસર માટે અરજીઓ મંગાવી હતી. 2000 પ્રોબેશનરી ઓફિસરો (PO)ની જગ્યા માટે એસબીઆઈને 9.75 લાખ અરજીઓ મળી છે. જેનો અર્થ એ થયો કે એક જગ્યા માટે લગભગ 500 અરજી આવી છે. અરજીઓનો આ આંકડો જોઈ બેંક પણ ચોંકી ગઈ છે. એટલું જ નહીં, એસબીઆઈ ક્લેરિકલ લેવલના 8,300 કર્મચારીઓની ભરતી કરવા જઈ રહ્યું છે, જેના માટે 16.6 લાખ અરજીઓ આવી છે.

   એસબીઆઈના ડેપ્યુટી એમડી પ્રશાંત કુમારે જણાવ્યું કે, પ્રોબેશનરી ઓફિસર માટે યોગ્યતાનું ધોરણ નીચું (ગ્રેજ્યુએશન) રાખવામાં આવ્યું છે, એટલે ઉમેદવારે લેખિત પરીક્ષા પાસ કરવાની રહેશે. એ પછી ઈન્ટરવ્યુ અને ગ્રૂપ ડિસ્કશનની તબક્કો પસાર કરવાનો રહેશે. તેમણે જણાવ્યું કે, ક્લેરિકલ પદ માટે આવેલી અરજીઓમાંથી 70 ટકા અરજીઓ એન્જિનિયરો અને પોસ્ટ-ગ્રેજ્યુએટ્સની છે.

    તેમણે કહ્યું કે, ‘સારા ટેલેન્ટની ભરતી કરવી એક પડકાર રહ્યો છે. ભૂતકાળમાં સારા અને હોંશિયાર ઉમેદવારો વહીવટી સેવા અને બેંકમાંથી કોઈ એકની પસંદગી કરતા હતા. વર્તમાનમાં ગ્રેજ્યુએટ્સને પ્રાઈવેટ સેક્ટરમાં સારી તક દેખાય છે. એટલે સારા ઉમેદવારોને શોધવા એસબીઆઈએ ટોપ ઈન્સ્ટિટ્યૂટ્સની મુલાકાત લેવાનું શરૂ કર્યું છે અને પે સ્કેલને બદલે કોસ્ટ ટુ કંપની પર ફોકસ કરવામાં આવે છે.’

સાથે જ બેંકે ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર (ડીએમડી) સુધીના પદ માટે સેકન્ડ કેડરને તૈયાર કરવા દરેક પદ દીઠ 4 ઉમેદવારોને તૈયાર કરવાનો પ્લાન અમલમાં મૂક્યો છે. બેંકે આવા 70 લીડર્સને અલગ તારવ્યા છે, જેમને જે-તે લેવલના અધિકારીની સાથે કામ કરવાની તક આપવામાં આવશે, જેથી તેઓ પોતાના નવા રોલને યોગ્ય રીતે સમજી શકે.

બેંકમાં ડીએમડીની 15 જગ્યાઓ છે. જેમાં લાઈફ એન્ડ જનરલ ઈન્સ્યોરન્સ, ક્રેડિડ કાર્ડ સબસીડરીઝ ચીફ એક્ઝિક્યુટિવ્ઝનો સમાવેશ થતો નથી. ડીમડીથી ઉપરના મેનેજિંગ ડિરેક્ટર્સ અને ચેરમેન પદની ભરતી સરકાર દ્વારા કરવામાં આવે છે.

(1:01 am IST)