Gujarati News

Gujarati News

News of Friday, 16th April 2021

દિલ્હી કોમી તોફાનો મામલે ઉમર ખાલિદના જામીન મંજુર : મુક્ત થયા પછી આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા દિલ્હી અદાલતે સૂચના આપી

ન્યુદિલ્હી : દિલ્હીમાં  થયેલા કોમી તોફાનો મામલે ધરપકડ કરાયેલા આરોપી ઉમર ખાલિદને દિલ્હી અદાલતે  જામીન આપ્યા છે. તથા મુક્ત થયા પછી  આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવા સૂચના આપી છે.

કોર્ટે એવો પણ અભિપ્રાય આપ્યો હતો  કે સામાન્ય માહિતીના આધારે આ પ્રકારનું ચાર્જશીટ આપવાની જરૂર નહોતી . આ મામલે તપાસ પૂર્ણ થઈ ગઈ છે અને ચાર્જશીટ પણ દાખલ કરી દેવામાં  આવ્યું છે. આ મામલે સુનાવણીમાં લાંબો સમય લાગશે.

અરજદાર 01.10.2020 થી આ મામલે ન્યાયિક કસ્ટડીમાં છે. અરજદારને લાંબા સમય માટે  જેલમાં અટકાયત કરી શકાતી નથી, કારણ કે તોફાની ટોળામાં ભાગ લેનાર અન્ય વ્યક્તિઓની ઓળખ કરી તેમને આ મામલામાં ધરપકડ કરવાની રહેશે.તેવું નામદાર  કોર્ટે જણાવ્યું હતું.

જામીનની અન્ય શરતોમાં,  કોર્ટના એડિશનલ સેશન્સ જજ વિનોદ યાદવે ઉમર ખાલિદને મુક્ત કર્યા બાદ તેમના ફોન પર આરોગ્ય સેતુ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

જામીનની અન્ય શરતો એ છે કે ખાલિદ કોઈ પુરાવા સાથે ચેડા કરશે નહીં અથવા કોઈ પણ સાક્ષીને કોઈ પણ રીતે પ્રભાવિત કરશે નહીં અને તે સ્થાનમાં શાંતિ અને સુમેળ જાળવશે. ખાલિદને સુનાવણીની દરેક તારીખે કોર્ટમાં હાજર રહેવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને જેલમાંથી છૂટ્યા બાદ એસ.એચ.ઓ. પી.એસ. ખજુરી ખાસને તેનો મોબાઈલ નંબર પણ આપવો જરૂરી છે.

ખાલિદને એક જામીન સાથે રૂ. વીસ હજારની  રકમના  વ્યક્તિગત બોન્ડ રજૂ કરવા પર જામીન મળ્યા હતા.
 
ઉલ્લેખનીય છે કે હાલની એફઆઈઆર 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ ચાંદ બાગ પુલિયા નજીક મુખ્ય કારવાલ નગર રોડ પર ફાટી નીકળેલી હિંસાના સંદર્ભમાં નોંધવામાં આવી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(12:00 am IST)