Gujarati News

Gujarati News

News of Tuesday, 16th April 2019

હવે કેજરીવાલનો સત્ય સામે સામનો થઇ રહ્યો છેઃ બળવાખોર નેતા કપિલ મિશ્રાનો કટાક્ષ

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP)ના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પાર્ટીના બળવાખોર નેતા કપિલ મિશ્રાએ રવિવારે નિશાન સાધ્યું હતું. કપિલ મિશ્રાએ એક વીડિયો ટ્વિટ કરીને અરવિંદ કેજરીવાલ પર કટાક્ષ કરતા કહ્યું કે હવે કેજરીવાલનો સત્ય સામે સામનો થઈ રહ્યો છે. હવે જનતા કેજરીવાલના મોઢા પર ખુલીને સત્ય બોલી રહી છે. આ વખતે મત પીએમ મોદીને આપશે.

હકીકતમાં કપિલ મિશ્રાએ જે વીડિયો શેર કર્યો છે તેમાં અરવિંદ કેજરીવાલ પ્લેનમાં બેઠેલા જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેમની પાસેની સીટ પર બેઠેલી એક વ્યક્તિ કેજરીવાલને કહી રહી છે કે લોકસભામાં આ વખતે કમળ ખિલશે. જ્યારે કેજરીવાલની સાથે બેઠેલ વ્યક્તિ કહે છે કે દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક જુઓ. જેના પર વ્યક્તિ કહે છે કે દિલ્હીમાં મોહલ્લા ક્લિનિક દેખાય છે તો ખરા પરંતુ બધા બંધ પડ્યા છે. કોઈ વર્કિંગ કંડિશનમાં નથી. હું મુખ્યમંત્રી કેજરીવાલને સાચુ કહી રહ્યો છું કે કોઈ પણ મોહલ્લા ક્લિનિક ચાલુ હાલતમાં નથી.

જેના પર કેજરીવાલની સાથે બેઠેલી વ્યક્તિ કહે છે કે બધાના પોત પોતાના ઓપિનિયન હોય છે. તમારો પણ ઓપિનિયન છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે અરવિંદ કેજરીવાલ તે વ્યક્તિના સવાલનો કોઈ જવાબ આપતા નથી.

(8:49 am IST)