Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

યુપીઃ ગઠબંધનને ફટકોઃ માયાવતીએ અખિલેશ યાદવથી વિરુદ્ઘ ઉમેદવાર જાહેર કર્યા

અખિલેશ જોનપુરથી પોતાના ભાઇને ટિકિટ આપવા ઇચ્છતા હતા જયાં માયાવતીએ ઉમેદવાર જાહેર કરી દેતા વિવાદ

લખનૌ, તા.૧૫: લોકસભા ચૂંટણી માટે ગઢબંધનથી જોડાયેલ બસપા અને સપા એમ બંને પાર્ટીઓ ચૂંટણી નજીક આવતા જ પોતાના ઇરાદાઓ સ્પષ્ટ કરી રહી છે, તાજેતરમાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અને પોતાના સહયોગી અખિલેશ યાદવને ફટકો આપતા બસપા પ્રમુખ માયાવતીએ ઉમેદવારી જાહેર કરતા તરફેણમાં રણનીતિ ઘડી છે. 

 માયાવતીના આ પગલાથી અખિલેશ યાદવ સામે સમસ્યા આવી શકે છે. અખિલેશ યાદવ જોનપુરથી તેમના ભાઇ તથા મૈનપુરીથી સાંસદ તેજ પ્રતાપ સિંહ યાદવને ઉમેદવાર જાહેર કરવા ઇચ્છતા હતા. જયારે માયાવતીએ અખિલેશ યાદવથી ઉપરવટ થઇને જોનપુરથી પોતાના ઉમેદવાર શ્યામ સિંહ યાદવને જાહેર કરી દીધા છે.

માયાવતીએ લોકસભા ચૂંટણી માટે રવિવારે ૧૬ ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. જેમાં સૌથી મોટો ફટકો તેમના સહયોગી અખિલેશ યાદવને આપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટી પોતાના ઉમેદવારને ઉતારવા માંગતી હતી, પરંતુ બસપાએ ત્યાં પોતાના ઉમેદવારને જાહેર કરી દીધો હતો. માયાવતીના આ પગલાને સપા-બસપા ગઠબંધન વચ્ચે મતભેદો હોવાના સંકેત આપી રહ્યું છે. કારણ કે, અખિલેશ યાદવ સાથે કોઇ પણ મંત્રણા કર્યા વગર માયાવતીએ એકતરફી નિર્ણય લીધો હતો. 

રવિવારે બસપા દ્વારા જે યાદી બહાર પાડવામાં આવી છે તેમાં ગેંગસ્ટર મુખ્તાર અન્સારીના ભાઇ અફઝલ અન્સારીનું નામ પણ સામેલ છે, ઉલ્લેખનીય છે સપા પ્રમુખ અખિલેશ યાદવે અન્સારી બંધુઓને પાર્ટીમાં લેવા માટે ઇન્કાર કર્યો હતો કારણ કે તેઓ માફિયાને ચૂંટણી ટિકિટ આપવાના પક્ષમાં ન હતા.

(11:55 am IST)