Gujarati News

Gujarati News

News of Saturday, 16th March 2019

ન્યૂઝીલેન્ડ દુનિયાનો બીજો સૌથી શાંત દેશ પણ અહીં દર ચોથી વ્યકિત પાસે બંદૂક

હાલ ત્યાં ૧૬ વર્ષથી વધુ વયની કોઈ પણ વ્યકિત પોતાની પાસે બંદૂક રાખવાનું લાઈસન્સ આસાનીથી મેળવી શકે છે અને આ માટેના નિયમ પણ બહુ સરળ છે

વેલિંગ્ટન, તા.૧૬: ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટચર્ચ શહેરની અલ-નૂર અને લિનવૂડ મસ્જિદમાં શુક્રવારે ગોળીબારી થઈ હતી. આ હુમલામાં ૪૯ લોકોનાં મોત થયાં છે. ર૯ વર્ષમાં ન્યૂઝીલેન્ડમાં આ પહેલી વખત માસ શૂટિંગની ચોંકાવનારી ઘટના બની છે.

ગ્લોબલ પીસ ઈન્ડેકસ મુજબ ન્યૂઝીલેન્ડ વિશ્વનો બીજો સૌથી શાંત દેશ છે. ન્યૂઝીલેન્ડ વર્ષ ર૦૧૭ અને ર૦૧૮માં આ યાદીમાં બીજા નંબરે રહ્યું છે. આ અગાઉ પણ તે હંમેશાં ટોપ-૪માં રહ્યું છે. ર૦૦૭થી ર૦૧૬ વચ્ચે ન્યૂઝીલેન્ડમાં હત્યાઓના કેસ ડબલ ફિગરમાં પણ નહોતા નોંધાયા. ર૦૧૭માં ન્યૂઝીલેન્ડમાં હત્યાના ૩પ કેસ સામે આવ્યા હતા.

નવેમ્બર, ૧૯૯૦માં ન્યૂઝીલેન્ડના ડ્યૂનડીન શહેરની અરામોઆના ટાઉનશિપમાં આ પ્રકારની જ ફાયરિંગની ઘટના બની હતી, જેમાં ૧૩ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ હુમલો ડેવિડ ગ્રે નામની વ્યકિતએ કર્યો હતો, જેને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. હુમલાનાં બે વર્ષ બાદ ૧૯૯રમાં ન્યૂઝીલેન્ડમાં બંદૂક રાખવાના નિયમો કડક બનાવવામાં આવ્યા હતા. આમ છતાં પણ ન્યૂઝીલેન્ડમાં ગન કલ્ચર સતત વધતું જાય છે અને છેલ્લાં થોડાં વર્ષમાં તે ચિંતાજનક બન્યું છે.

ન્યૂઝીલેન્ડમાં અમેરિકાની જેમ જ ગન કલ્ચર સતત વધતું જાય છે. સ્મોલ આર્મ સર્વે અનુસાર ન્યૂઝીલેન્ડમાં ૧ર લાખ લોકો પાસે ગન છે, જયારે ર૦૧૭ સુધીમાં ત્યાંની વસ્તી ૪૭.૯ લાખ હતી. એટલે કે ન્યૂઝીલેન્ડમાં દર ચોથી વ્યકિત પાસે પોતાની ગન છે. હાલ ત્યાં ૧૬ વર્ષથી વધુ વયની કોઈ પણ વ્યકિત પોતાની પાસે બંદૂક રાખવાનું લાઈસન્સ આસાનીથી મેળવી શકે છે અને આ માટેના નિયમ પણ બહુ સરળ છે.

કમાન્ડોને બાદ કરીએ તો ન્યૂઝીલેન્ડના મોટા ભાગના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પોતાની સાથે હથિયાર રાખતા નથી. ર૦૧૭માં ન્યૂઝીલેન્ડમાં પોલીસકર્મીઓ પર એક સર્વે કરવામાં આવ્યો હતો ત્યારે ૬૬ ટકા પોલીસકર્મીઓએ જણાવ્યું હતું કે વધતા ગન કલ્ચરના કારણે તેમને પણ હથિયાર રાખવાની મંજૂરી મળવી જોઈએ. વર્ષ ર૦૦૮માં આ પ્રકારના જ એક સર્વેમાં ફકત ૪૮ ટકા પોલીસકર્મીઓએ સાથે હથિયાર રાખવાની તરફેણ કરી હતી. ત્યાંની પોલીસ માને છે કે હથિયાર જોઈને આરોપી ડરી જાય છે અથવા ઉશ્કેરાઈ જાય છે અને આ બંને સંજોગોમાં કોઈ નિર્દોષ વ્યકિતને નુકસાન પહોંચતું હોય છે.

(3:28 pm IST)