Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

રાજકોટ-સૌરાષ્ટ્રની PNBમાંથી થાપણો ટપોટપ ઉપડવા લાગી

રૂ.૧૧,પ૦૦ કરોડનું કૌભાંડ બહાર આવતા બેંકના ખાતેદારોમાં ચિંતાના ઘોડાપુરઃ રાજકોટની ૭ સહિત સૌરાષ્ટ્રની આ બેંકની તમામ (બાવન) પર શાખામાંથી કરોડો રૂપિયા ઉપાડી લેતા થાપણદારો : જો કે સરકારી બેંક હોવાથી નાણા ડુબવાનો ભય નહી હોવા છતાં થાપણદારોના શ્વાસ અધ્ધરઃ થાપણો ઉપડતા બેંક તથા કર્મચારીઓ ઉંધા માથે

રાજકોટ તા.૧૬ : દેશની બીજા નંબરની ટોચની બેંક એવી પંજાબ નેશનલ બેંકમાં તાજેતરમાં રૂ.૧૧,પ૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ આ બેંકના થાપણદારોમાં ચિંતાના ઘોડાપુર ઉમટી પડયા છે અને પરિણામ સ્વરૂપ આ બેંકમાં રહેલી પોતાની થાપણો ટપોટપ ઉપાડવા લાગ્યા હોવાનું જાણવા મળે છે. આ અંગે બેંકના વર્તુળોએ જણાવ્યુ હતુ કે, રાજકોટની પંજાબ નેશનલ બેંકની ૭ સહિત સૌરાષ્ટ્રમાં આવેલી કુલ પર (બાવન) બ્રાન્ચોમાંથી છેલ્લા બે દિવસમાં કરોડો રૂપિયાની થાપણો ઉપાડી લેવામાં આવી છે. જો કે વર્તુળોએ દાવો કર્યો છે કે આ બેંક સરકારી બેંક હોવાથી બંધ થવાની નથી માત્ર ડરના માર્યા થાપણદારો પોતાની થાપણો ઉપાડી રહ્યા છે.

આ અંગે બેન્કીંગ વર્તુળોએ આજે બપોરે અકિલા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે, તાજેતરમાં મુંબઇ સ્થિત આ બેંકની શાખામાં ૧૧,પ૦૦ કરોડનું કૌભાંડ બહાર આવ્યા બાદ અને તે પછી તેની સંભવિત અસરની ટીવી ચેનલો અને અખબારોમાં આવેલી વિગતો બાદ આ બેંકના ખાતેદારો-થાપણદારોમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યુ હતુ અને તેની સીધી અસર બેંકની રાજકોટ-સૌરાષ્ટ્રની શાખાઓ ઉપર પડી હતી. આ બેંકની રાજકોટમાં જયુબેલી ચોક, આર.કે.નગર, શિવનગર, કાલાવાડ રોડ, મોટા મવા સર્કલ, રૈયા રોડ વગેરેએ શાખાઓ આવેલી છે જયાં છેલ્લા બે દિવસમાં કરોડો રૂપિયાની થાપણો થાપણદારોએ કટકે-કટકે ઉપાડી લીધી છે. કોઇએ ર લાખ, કોઇએ પ લાખ કે કોઇએ ૧૦ લાખની થાપણો આ બેંકમાંથી ઉપાડી લીધી છે. આવી જ સ્થિતિ આ બેંકની સૌરાષ્ટ્રમાં આવેલી તમામ પર શાખાઓ જોવામાં મળી છે.

સુત્રોએ જણાવ્યુ છે કે કયાંક-કયાંક આ બેંક બંધ થવાની છે એવી અફવા ફેલાઇ હતી અને તેના કારણે પણ ગભરાટ ફેલાયો હતો. જો કે આ બેંક સરકારી હોવાથી તે બંધ થઇ શકે નહી. લોકોના નાણા પણ સલામત છે. થાપણદારોએ કે ખાતેદારોએ કોઇ ડર રાખવાની જરૂર નથી. જો કે જે રીતે બે દિવસમાં બેંકમાંથી જે થાપણો ઉપડી છે તે ચિંતાની બાબત ગણી શકાય. એક સામટી થાપણો ઉપડવા લાગતા આ બેંકના કર્મચારીઓ અને અધિકારીઓમાં પણ દોડધામ થઇ ગઇ હતી.

માત્ર રાજકોટ અને સૌરાષ્ટ્ર જ નહી પરંતુ ગુજરાતભરમાં જેમ કે ધંધુકા, સુરત, કીમ સહિતના શહેરોમાં પણ આ બેંકમાં નાણા ઉપાડવા ધસી ગયા હોવાનુ જાણવા મળે છે. કૌભાંડ બાદ પોતાના રૂપિયા ડુબી જશે એવી ચિંતાના કારણે લોકો રૂપિયા ઉપાડવા ધસી ગયા હોવાનુ જાણવા મળે છે. કીમમાં તો લોકોએ બેંક ઉપર હલ્લો મચાવ્યો હોવાનું પણ જાણવા મળે છે.

(8:01 pm IST)