Gujarati News

Gujarati News

News of Friday, 16th February 2018

ન્યાયપાલિકા એકલા હાથે ભ્રષ્ટાચાર નાબુદ કરી ન શકેઃ હાઇકોર્ટ

દેશમાં દરેક સ્તરે વ્યાપેલા ભ્રષ્ટાચાર અંગે ચિંતા અને નારાજગી વ્યકત કરતી ગુજરાત હાઇકોર્ટઃ રાજકારણીઓ અને લોકોએ પણ સુધરવુ પડશેઃ ભ્રષ્ટચારને હવે કયાં સુધી સહન કરશું ? ન્યાયધીશની ટિપ્પણી

અમદાવાદ તા.૧૬ : સમાજમાં દરેક સ્તરે વ્યાપેલા ભ્રષ્ટાચારના ભોરીંગ સામે ગુજરાત હાઇકોર્ટે અત્યંત નારાજગી વ્યકત કરી છે અને જણાવ્યુ છે કે જયુડીશ્યરી (ન્યાય પાલિકા) એકલા હાથે ભ્રષ્ટાચારને નિયંત્રણમાં લઇ ન શકે. આ માટે ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને લોકોએ પણ સુધરવુ પડશે.

ભ્રષ્ટાચાર સર્વત્ર ખદબદી રહ્યો છે એ અંગે નારાજગી વ્યકત કરતા હાઇકોર્ટે એવો સવાલ ઉઠાવ્યો હતો કે આપણે કયાં સુધી ભ્રષ્ટાચારને સહન કરતા રહેશુ ? આ માટે કોને દોષ આપશુ ? સ્વતંત્રત થયા પછી પણ ભ્રષ્ટાચાર ઉપર નિયંત્રણ આવી શકયુ નથી જે ચિંતાની બાબત છે.

એક ઓફિસર સામે ભ્રષ્ટાચારના આરોપોના મામલામાં સરકારને તપાસ કરવાનુ જણાવતા જસ્ટીસ જે.બી. પારડીવાલાએ જણાવ્યુ હતુ કે, રાજકીય પાંખ અથવા તો રાજય સરકાર પોતાના હાથ ખંખેરી રહેલ છે અને એવુ કહે છે કે તમે દોષિત છો કારણ કે ભારતમાં દરેક જગ્યાએ ભ્રષ્ટાચાર ચાલે છે આવુ માનવામાં આવે છે જેને કોઇ બદલી શકતુ નથી. ભ્રષ્ટાચાર ઉપલા લેવલેથી શરૂ થાય છે અને આખરે પબ્લીક યુટીલીટી સર્વિસમાં કામ કરતા નાના માણસ પાસે આવીને અટકી જાય છે.

સુરત જિલ્લા રજીસ્ટ્રાર દ્વારા ભ્રષ્ટાચારના આરોપો અંગેના એક કેસમાં હાઇકોર્ટે પોતાની નારાજગી વ્યકત કરી હતી અને તપાસના આદેશો આપ્યા હતા. ન્યાયધીશે આ મામલામાં વધુમાં જણાવ્યુ હતુ કે, હું એવુ માનુ છું કે, લોકોએ જેમના ઉપર ભરોસો મુકયો છે તેઓ જ યોગ્ય રીતે ગર્વનન્સ કરતા નથી, તેઓ પોતાની ફરજ અને જવાબદારી અદા કરતા નથી. જેના કારણે ભ્રષ્ટાચાર ફુલે છે.

કોર્ટે વધુમાં જણાવ્યુ હતુ કે, ભ્રષ્ટાચાર મામલે એકલુ ન્યાયપાલિકા કશુ કરી ન શકે. ભ્રષ્ટાચારનો જવાબ ન્યાયપાલિકા નથી. છેલ્લા બે દાયકાથી ભારતમાં ઉચ્ચ ન્યાયપાલિકાની ભુમિકામાં ધરખમ ફેરફારો થયા છે. લોકોને જેના પર છેલ્લી આશા છે તે ઉચ્ચ ન્યાયપાલિકાએ લોકોની આશા-આકાંક્ષાઓ પુરી કરવા પ્રયાસ કર્યો છે કારણ કે સરકારી ક્ષેત્રે નિષ્ફળતા સામે આવી છે. જો કે માત્ર ન્યાયપાલિકા જ પરિવર્તન લાવી ન શકે એટલે કે ભ્રષ્ટાચાર સમાપ્ત કરાવી ન શકે. આ માટે રાજયની રાજકીય પાંખ અને અમલદારશાહીએ પણ પોતાનુ માનસ બદલવુ પડશે. લોકોએ પણ બદલવુ પડશે. જયાં સુધી લોકો જ નહી બદલાય ત્યાં સુધી પરિવર્તન નહી આવે.

ભારતમાં વ્યાપેલા ભ્રષ્ટાચારના વર્તમાન સ્વરૂપ અંગે છણાવટ કરતા ન્યાયધીશે સરકારી કર્મચારીઓ દ્વારા આચરાતા ભ્રષ્ટાચાર અંગે કૌટીલ્યના અર્થશાસ્ત્રનો દાખલો પણ આપ્યો હતો. (૩-૪)

(10:56 am IST)