Gujarati News

Gujarati News

News of Wednesday, 16th January 2019

CBI નવા ડિરેક્ટરની નિમણૂંક માટે ૨૪મીએ મહત્વપૂર્ણ બેઠક

પારસ્પરિક વાતચીત બાદ ૨૪મીની તારીખ નક્કી કરવામાં આવી : લોકસભામાં કોંગ્રેસના નેતા ખડગે અને અન્યો તેમજ ચીફ જસ્ટિસ કમિટિના સભ્ય : કમિટિનું નેતૃત્વ મોદી કરી રહ્યા છે : બેઠક પર તમામની નજર રહેશે

નવી દિલ્હી,તા. ૧૬ : સીબીઆઈના નવા ડિરેક્ટર તરીકે અન્યની નિમણૂંક કરવા ૨૪મી જાન્યુઆરીના દિવસે ઉચ્ચસ્તરીય પસંદગી સમિતિની બેઠક મળનાર છે જેમાં તમામ પાસા ઉપર વિચારણા કરવામાં આવ્યા બાદ નિર્ણય લેવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પેનલ ૨૪મી જાન્યુઆરીના દિવસે મળનાર છે. નવા સીબીઆઈ ડિરેક્ટરની પસંદગીને લઇને અટકળોનો દોર ચાલી રહ્યો છે. મોદી આ કમિટિનું નેતૃત્વ કરી રહ્યા છે જેમાં ભારતના ચીફ જસ્ટિસ અને લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે અને અન્ય સભ્યો પણ રહેલા છે. સુત્રોએ કહ્યું છે કે, સરકારે ૨૪મી જાન્યુઆરીના દિવસે હવે મિટિંગ બોલાવી છે. અગાઉ ૨૧મી જાન્યુઆરીના દિવસે આ મિટિંગ મળનાર હતી પરંતુ લોકસભામાં કોંગ્રેસના નેતા ખડગે દ્વારા ૨૪મી અથવા તો ૨૫મી જાન્યુઆરીના દિવસે આ બેઠક બોલાવવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. પારસ્પરિક ચર્ચા કરવામાં આવ્યા બાદ સરકારે હવે ૨૪મી જાન્યુઆરીની તારીખ નક્કી કરી દીધી છે. નવા સીબીઆઈ ડિરેક્ટરની પસંદગી માટેની તારીખ નક્કી થઇ ચુકી છે. ત્યારબાદ આ સંદર્ભમાં અંતિમ નિર્ણય લેવાશે. આલોક વર્માને દૂર કરવામાં આવ્યા બાદ આ જગ્યા ખાલી થયેલી છે. સીબીઆઈના નવા ડિરેક્ટર કોણ બનશે તેને લઇને હજુ સુધી કોઇ નામ જાહેર કરવામાં આવ્યું નથી. આલોક વર્માને દૂર કરવામાં આવ્યા બાદ અને તેમને ડિરેક્ટર જનરલ ફાયર સર્વિસ તરીકે નિમવામાં આવ્યા બાદ હોદ્દો સંભાળવનો વર્માએ ઇન્કાર કર્યો હતો. આઈપીએસ ઓફિસર નાગેશ્વર રાવ સીબીઆઈના વચગાળાના ડિરેક્ટર બન્યા હતા. કોંગ્રેસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપર સીબીઆઈ વડાને લઇને પ્રહારો કર્યા હતા. સીબીઆઈના રેગ્યુલર ડિરેક્ટરની નિણમૂંક ન કરવાને લઇને મોદી ઉપર હાલમાં પ્રહાર થઇ રહ્યા છે. વડાપ્રધાનના નેતૃત્વમાં પેનલની બેઠક ઉપર હવે તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. આલોક વર્મા અને રાકેશ અસ્થાના વચ્ચે જોરદાર ખેંચતાણ શરૂ થયા બાદ આક્ષેપ પ્રતિઆક્ષેપોનો દોર શરૂ થયો હતો. બંનેએ એકબીજા સામે ગંભીર આક્ષેપો કર્યા હતા પરંતુ આના કારણે સીબીઆઈની પ્રતિષ્ઠાને મરણતોળ ફટકો પડ્યો હતો. આખરે કાર્યવાહી કરીને સરકારે આલોક વર્માને દૂર કર્યા હતા. અસ્થાનાને પણ નિષ્ક્રિય કરવામાં આવ્યા હતા.

(7:42 pm IST)