Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અભિનેત્રી દીપિકા-સારા-શ્રદ્ધા કપૂરના મોબાઇલ-લેપટોપને ગાંધીનગર લવાયા : FSL કરશે તપાસ

મહારાષ્ટ્ર એનસીબીએ બૉલીવુડ સ્ટાર્સના 85 ગેઝેટ્સ મોકલ્યા : 30 મોબાઇલ ફોન્સનો ડેટા કાઢ્યા : ડેટામાં ડિલીટ કરાયેલ વોઇસ ક્લિપ્સ, વીડિયો ક્લિપ્સ અને ચેટ મેસેજીસ અને મોબાઇલ નંબર્સ પણ મોજુદ : ડેટા કાઢવા માટે ઇઝરાઇલથી આવ્યું ટુલ : અર્જુન રામપાલને બીજી વખત પૂછપરછ માટે સમન્સ

મુંબઈ : ગુજરાતના ડાયરેક્ટ્રેટ ઓફ ફોરન્સિક સાયન્સ ગાંધીનગરમાં મહારાષ્ટ્ર નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો (NCB)એ બોલિવુડ સ્ટાર્સના 85 ગેજેટ્સ મોકલ્યા છે. ગત 45 દિવસોમાં મોકલેલા ગેજેટ્સમાં 30 મોબાઇલ ફોન્સનો ડેટા કાઢ્યા પછી એનસીબીને પરત મોકલી દેવામાં આવ્યો છે. દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપુતના મોતના મામલે એનસીબી તપાસ કરી રહી છે. તેના આધારે મુંબઈમાં દરોડા અને ધરપકડ કરવામાં આવી રહી છે

કાઢવામાં આવેલા ડેટામાં ડિલીટ કરાયેલ વોઇસ ક્લિપ્સ, વીડિયો ક્લિપ્સ અને ચેટ મેસેજીસ અને મોબાઇલ નંબર્સ પણ છે. એનસીબી ફોરેન્સિક લેબમાં મુંબઇથી જપ્ત કરાયેલા ડ્રગ્સના સેમ્પલ્સ પણ તપાસ માટે મોકલી રહ્યું છે. આ ડ્રગ્સના સેમ્પલની તપાસ કરીને રિપોર્ટ લેવામાં આવી રહ્યો છે જેથી ડ્રગ્સ નેટવર્ક સાથે જોડાયેલા સપ્લાયર્સ અને ખરીદદારો સુધી પહોંચી શકાય. અત્યાર સુધીમાં ફોરેન્સિક લેબને 25 ડ્રગ્સના સેમ્પલ મોકલાઇ ચૂકયા છે

ફોરેન્સિક તપાસ માટે જે ગેઝેટ્સમાં મોકલવામાં આવ્યા છે તેમાં સૌથી વધુ મોબાઇલ સેલિબ્રિટી, તેમના પરિચિતો અને આરોપી ડ્રગ્સ પેડલર્સના છે. આ સિવાય બે લેપટોપ, ટેબ્લેટ્સ અને પેન ડ્રાઈવ્સ પણ છે. રિપોર્ટ મુજબ જે મોબાઈલ ફોન્સ ફોરેન્સિક લેબમાં મોકલાયા છે તેમાં રિયા ચક્રવર્તી, તેનો ભાઈ શૌવિક, સારા અલી ખાન, અર્જુન રામપાલ, શ્રદ્ધા કપૂર, દીપિકા પાદુકોણ અને તેમની સાથે સંકળાયેલા લોકોના છે

એનસીબી એ ગાંધીનગરની લેબને જણાવ્યું છે કે એકબીજાને મોકલેલા મેસેજીસ અને કરવામાં આવેલા કોલ વચ્ચે લિંક પણ સ્થાપિત કરો, જેથી ડ્રગ્સનો ઉપયોગ કરનારની ચેનને શોધી શકાય. એવું કહેવામાં આવી રહ્યું છે કે જે ડેટા ડીલીટ કરવામાં આવ્યો છે તે ખૂબ જ સિક્યોર હતો, તેથી લેબ ઇઝરાઇલ પાસેથી માંગવામાં આવેલા ખાસ સાધનોનો ઉપયોગ કરી રહ્યું છે જેથી કરીને ડેટા કાઢી શકાય.

આ દરમિયાન એનસીબીએ અભિનેતા અર્જુન રામપાલને બીજી વખત પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું છે. અર્જુને 16 ડિસેમ્બરના રોજ સવારે 11 વાગ્યા સુધી મુંબઈની એક્સચેન્જ બિલ્ડિંગ સ્થિત એનસીબીની ઓફિસમાં હાજર થવાનું છે. આ પહેલાં અર્જુનની 13 નવેમ્બરના રોજ પૂછપરછ કરવામાં આવી હતી. આ દિવસે અર્જુનની લગભગ 7 કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. માનવામાં આવે છે કે હાલમાં જ પકડાયેલા ડ્રગ્સ પેડલર્સની પૂછપરછમાં અર્જુનનું નામ ફરી વાર આવ્યું છે.

(9:38 pm IST)