Gujarati News

Gujarati News

News of Sunday, 15th December 2019

પૂર્વોતરના રાજ્યોમાં હજુ સ્ફોટક પરિસ્થિતી : હિંસક દેખાવોનો દોર

પૂર્વોત્તરથી લઈને મુંબઈ સુધી બિલના વિરોધમાં દેખાવોનો દોર : આસામ, મેઘાલય, ત્રિપુરા અને બંગાળમાં હિંસક વિરોધ પ્રદર્શન : કોહિમામાં બંધ પડાયુ : સંચારબંધીમાં રાહતો : જામિયામાં પાંચમી સુધી રજા જાહેર થઈ

ગુવાહાટી, તા. ૧૪ : ખુબ ચર્ચાસ્પદ અને વિવાદ જગાવનાર નાગરિક સુધારા બિલ પાસ કરવામાં આવ્યા બાદ કાનુનના વિરોધમાં પૂર્વોત્તર રાજ્યોમાંથી ભડકેલી હિંસામાંની આગ હવે સમગ્ર દેશમાં ફેલાઈ ગઈ છે. ઉત્તરપૂર્વના રાજ્યો અને પશ્ચિમ બંગાળમાં વિરોધ પ્રદર્શન જારી છે ત્યારે સ્થિતિ વિસ્ફોટક બનેલી છે. હિંસાની આગ હવે દેશના અન્ય ભાગો સુધી પહોંચી રહી છે. આસામના પાટનગર ગુવાહાટી અને ડિબ્રુગઢમાં લાગુ કરવામાં આવેલી સંચારબંધીમાં રાહત આપવામાં આવી છે પરંતુ સ્કુલ અને કોલેજો બંધ સ્થિતિમાં છે. બીજી બાજુ વિરોધ પ્રદર્શન હવે મુુંબઈમાં પણ જારી છે. જામિયા મિલિયા યુનિવર્સિટીમાં પણ હિંસક વિરોધ પ્રદર્શન જારી છે. આજે આસામના પાટનગરમાં સવારે નવ વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી સંચારબંધીમાં રાહત આપવામાં આવી હતી. છુટછાટ દરમિયાન લોકો જરૂરી ચીજવસ્તુની ખરીદી માટે બહાર નિકળ્યા હતા. વાહનોની લાંબી લાઈનો પણ જોવા મળી હતી.

                  બિલના વિરોધમાં પાંચમી જાન્યુઆરી સુધી જામીયાને બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કરાયો છે. નાગરિક સુધારા બિલને લઈને હિંસક પ્રદર્શન જારી છે. આસામમાં ૧૬મી ડિસેમ્બર સુધી ઈન્ટરનેટ સર્વિસને બંધ કરી દીધી છે. નાગરિક સુધારા બિલ પાસ કરવામાં આવ્યા બાદ પૂર્વાંતરના રાજ્યોમાં સ્થિતી સતત વણસી રહી છે. સ્થિતીને સામાન્ય બનાવવા માટેના તમામ પ્રયાસ કરવામાં આવ્યા હોવા છતાં તંગ સ્થિતી બનેલી છે. ઉત્તરપૂર્વીય રાજ્યોમાં અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હોવા છતાં હિંસક પ્રદર્શન જારી છે. સંચારબંધી હોવા છતાં તેના ભંગ કરીને દેખાવો કરનાર લોકો પોલીસ સાથે તથા સુરક્ષા દળો સાથે હિંસક પ્રદર્શનમાં ઉતરી રહ્યા છે. બંગાળમાં પણ હવે વિરોધ પ્રદર્શન તીવ્ર બનતા જનજીવન પર અસર થઇ રહી છે. આસામના પાટનગર ગુવાહાટીમાં સેના અને આસામ રાઇફલ્સની આઠ ટીમો તૈનાત કરવામાં આવી છેગુવાહાટીમાં સચારબંધી આજે હળવી કરવામાં આવી છે. કોહિમાં પણ બંધની હાકલ કરવામાં આવી છે. કલાકના બંધની શરૂઆત થયા બાદ સુરક્ષા મજબુત કરવામાં આવી છેઆસામના ૧૦ જિલ્લામાં મોબાઇલ ઇન્ટરનેટ સેવા પણ પૂર્ણ રીતે બંધ કરી દેવામાં આવી છે. બીજી બાજુ ત્રિપુરામાં પણ હાલત કફોડી બની રહી છે.

                     ત્રિપુરામાં વિરોધ પ્રદર્શન જારી છે. આસામ રાઇફલ્સના જવાનોને ત્યાં તૈનાત કરવામાં આવ્યા છે. આસામ રાઇફલની એક એક ટુકડીને ત્રિપુરાના કંચનપુરા અને મનુમાં તૈનાત કરવામાં આવી છે. પરીક્ષાને સ્થગિત કરવામાં આવી છે. સાવચેતીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે. આસામમાં તો કેટલીક ફ્લાઇટો રદ કરવામાં આવી છે.નાગરિક સુધારા બિલને લઇને દેશના કેટલાક ભાગોમાં વિરોધ પ્રદર્શન અને હિંસા જારી છે. આસામમાં સૌથી વિસ્ફોટક સ્થિતિ સર્જાઈ ગઈ છે. પ્રદર્શન વધુ તીવ્ર બનતા અનેક ટ્રેનોને રદ કરવામાં આવી છે. સેનાને પણ બોલાવવાની ફરજ પડી છે.જોરહાટ, ગોલાઘાટ, ડિબ્રુગઢ, તીનસુકિયા, શિવસાગર, સોનીતપુર સહિતના વિસ્તારોમાં લોકો હિંસા ઉપર ઉતરી આવ્યા છેઆસામ ઉપરાંત દેશના અન્ય ભાગોમાં પણ વિરોધ પ્રદર્શન જારી છે. ડિબ્રુગઢમાં સ્થિતિ વણસી ગઇ છે. પોલીસે દેખાવકારો ઉપર રબરની ગોળીઓ ચલાવી હતી. લાઠીચાર્જ પણ કર્યો હતો. દરમિયાન કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં તૈનાત કરવામાં આવેલા અર્ધલશ્કરી દળના જવાનોને પરત બોલાવવાની શરૂઆત કરી દીધી છે. જવાનોને આસામ મોકલી દેવામાં આવ્યા છે. જમ્મુ કાશ્મીરમાં તૈનાત રહેલી સીઆરપીએફની ૧૦ કંપનીઓને આસામ મોકલી દેવામાં આવી છે.

               જમ્મુ કાશ્મીરમાંથી ૨૦ કંપનીઓને આસામ મોકલવાનો નિર્ણય કરાયોછે.આસામમાં હિંસા વચ્ચે પોલીસ અધિકારીઓની બદલીઓનો દોર પણ શરૂ થયો છે. પોલીસ કમિશનરને દૂર કરવામાં આવ્યા છે. . ગુવાહાટીમાં પોલીસ કમિશનર દિપકકુમારને દૂર કરવામાં આવ્યાછે તેમની જગ્યાએ મુન્નાપ્રસાદ ગુવાહાટીના નવા પોલીસ કમિશનર બન્યા છે. બીજી બાજુ આસામના એડિશનલ પોલીસ મહાનિર્દેશક મુકેશ અગ્રવાલને એડીજીપી (સીઆઈડી) તરીકે બદલી દેવામાં આવ્યા છે. ઇન્ટરનેટ ઉપર પ્રતિબંધ મુકાયો છે. પોલીસને ગોળીબાર કરવાની પણ ફરજ પડી હતીહિંસા અને દેખાવો દરમિયાન ભાજપના નેતાઓના આવાસ ઉપર પણ હુમલા કરવામાં આવ્યા હતા. ભાજપ અને આસામ ગણ પરિષદના નેતાઓના આવાસ પર હુમલા કરાયા હતાઆસામમાં તો તમામ સ્કુલ અને કોલેજોને ૨૨મી ડિસેમ્બર સુધી બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શાંતિ જાળવી રાખવા માટેની અપીલ કરી હોવા છતાં તેની અસર દેખાઇ નથી. પોલીસ અને સેનાના જવાનોની તૈનાતી હોવા છતાં પણ સંચારબંધીનો સતત ભંગ કરવામાં આવી રહ્યો છે.

(12:00 am IST)