Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

કેમ દુબઈ અને કેનેડામાં મોટી સંખ્યામાં શિફ્ટ થઈ રહ્યા છે પૈસેટકે સદ્ઘર અમદાવાદીઓ?

કોરોનાની અસર ઓછી થતાં જ વિદેશ શિફ્ટ થનારા ગુજરાતીઓની સંખ્યામાં મોટો ઉછાળો : માત્ર વેપારીઓ નહીં, પ્રોફેશનલ્સ પણ સારી તકની શોધમાં વિદેશ જવા માટે તક શોધી રહ્યા છેઃ કવોલિટી લાઈફ, સારી તક અને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય જેવા કારણે વિદેશ જવાનો ટ્રેન્ડ વધ્યો

નવી દિલ્હી, તા.૧૫: ફુડ બિઝનેસ સાથે સંકળાયેલા શહેરના અંકિત છોના કોરોનાની સેકન્ડ વેવની અસર ઓસરતા જ સારી તકોની શોધમાં અને બાળકોને સારું એજયુકેશન મળે તે માટે દુબઈ શિફ્ટ થઈ ગયા. જોકે, તેઓ આવા એકમાત્ર વ્યકિત નથી. કોરોનાકાળ બાદ અમદાવાદમાં પૈસો અને પ્રતિષ્ઠા ધરાવતા દ્યણા પરિવારો વિદેશમાં શિફ્ટ થઈ ગયા છે, અને થઈ રહ્યાં છે.

અંકિત છોનાએ જણાવ્યું હતું કે, દુબઈમાં ઈન્ફ્રાસ્ટ્રકચર સારું છે, તેઓ અહીં બે વર્ષ માટે શિફ્ટ થયા છે, જેથી તેમના બાળકો સારું એજયુકેશન અને જીવન મેળવી શકે. તેઓ HRPL રેસ્ટોરાંસ પ્રાઈવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેકટર અને સહ-સ્થાપક છે. તેમનો બિઝનેસ ભારતમાં પણ સારો ચાલી રહ્યો છે, પરંતુ હવે તેઓ વિદેશમાં પણ તેને વિસ્તારવાની તક શોધી રહ્યા છે. તેમનું કહેવું છે કે, તેમનો પરિવાર દુબઈમાં સેટલ થઈ ગયો છે. હવે તેઓ ફુડ અને બેવરેજિસ ઉપરાંત FMCG સેકટરમાં રોકાણની તકો શોધી રહ્યા છે. તેમનું માનવું છે કે, વૈશ્વિક બજારના ગેટવે તરીકે ઓળખાતું તેમજ સારી કનેકિટવિટી ધરાવતું દુબઈ એક સ્ટ્રેટેજિક લોકેશન બની રહેશે.

કોરોનાની અસર ઓછી થતાં જ અનેક વેપારીઓ અને પ્રોફેશનલ્સ બાળકોના સારા એજયુકેશન અને તકોની શોધમાં પોતાનો બેસ વિદેશમાં શિફ્ટ કરી રહ્યા છે. દુબઈ સિવાય ગુજરાતીઓ કેનેડાને પણ તેના માટે ખાસ્સું મહત્વ આપી રહ્યા છે. છેલ્લા ૨૨ વર્ષથી સોફ્ટવેર, રોબોટિકસ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના બિઝનેસ સાથે સંકળાયેલા પંકજ શાહે પણ કેનેડામાં અઢી વર્ષ પહેલા પોતાની ઓફિસ શરુ કરી હતી. આ ઓફિસનું કામકાજ તેમનો દીકરો સંભાળે છે. જોકે, હવે તેમનો આખો પરિવાર કેનેડા શિફ્ટ થવા જઈ રહ્યો છે. જેનો હેતુ બિઝનેસમાં સારી તકોની શોધ અને સંતાનોને ઈન્ટરનેશનલ માર્કેટનો પણ અનુભવ પ્રાપ્ત કરાવવાનો છે.

ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ્સના જણાવ્યા અનુસાર, દુબઈ, કેનેડા તેમજ સિંગાપોર જેવા દેશોમાં શિફ્ટ થવા માગતા લોકોની ઈન્કવાયરી વધી રહી છે. અમદાવાદ સ્થિત બિઝનેસમેન મિગ્નેશ પરીખ હજુ ગયા વર્ષે જ પોતાના પરિવાર સાથે કેનેડા શિફ્ટ થયા છે. તેમનું કહેવું છે કે તેમને બિઝનેસના કારણે વર્ષમાં ત્રણવાર કેનેડા જવું પડતું હતું. જેથી તેમણે ગયા વર્ષે પરિવાર સાથે કેનેડા જ શિફ્ટ થવાનું નક્કી કર્યું હતું. તેમનું માનવું છે કે, તેમના આ નિર્ણયથી તેમને બિઝનેસમાં ફાયદો તો થશે જ, પરંતુ તેની સાથે બાળકોનું ભવિષ્ય પણ સુધરશે તેમજ તેમના ફિઝિયોથેરાપિસ્ટ પત્નીને પણ ત્યાં સારી તક પ્રાપ્ત થશે.

એક ઈમિગ્રેશન કન્સલ્ટન્ટ ફર્મના સીઈઓ સાજિદ તેલીએ જણાવ્યું હતું કે, ૨૦૨૧ના શરુઆતથી જ વિદેશ સેટલ થવા માગતા લોકોની અરજીની સંખ્યા વધી છે. સારી તક મળતી હોય તો પ્રોફેશનલ્સ પણ વિદેશ જવા માટે તૈયાર છે. હોસ્પિટાલિટી સેકટર સાથે સંકળાયેલા અમન કુમાર જણાવે છે કે, તેઓ આ સેકટરમાં ઘણા વર્ષોથી કાર્યરત છે. જોકે, દુબઈમાં તેમને વધારે સારી તક મળે તેમ હોવાથી તેમણે ત્યાં શિફ્ટ થવાનું નક્કી કર્યું હતું. તેમ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનો અહેવાલ જણાવે છે.

(4:58 pm IST)