Gujarati News

Gujarati News

News of Monday, 15th November 2021

JNUમાં ફરી હિંસા : ડાબેરી વિદ્યાર્થીઓએ ABVP વિદ્યાર્થીઓ સાથે કરી મારપીટ : અનેક ગંભીર

ડાબેરી વિદ્યાર્થીઓએ મહિલાઓ અને દિવ્યાંગો ઉપર પણ હુમલો કર્યો

નવી દિલ્હી તા. ૧૫ : જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં ડાબેરી વિદ્યાર્થીઓએ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) ના વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હોવાની ઘટના સામે આવી છે. એબીવીપીની જેએનયુ યુનિટે દાવો કર્યો છે કે રવિવારે મોડી રાતે થયેલી આ મારપીટમાં તેમના અનેક કાર્યકરો ગંભીર રીતે ઘાયલ થયા છે.

એબીવીપીના જણાવ્યાં મુજબ જેએનયુના સ્ટુડન્ટ એકિટવિટી રૂમમાં તેમની બેઠક થઈ રહી હતી. જેના વિરોધમાં રવિવારે રાતે ૯.૪૫ વાગે ડાબેરી વિદ્યાર્થીઓ ત્યાં પહોંચી ગયા અને એબીવીપીની મીટિંગનો વિરોધ કર્યા બાદ લેફટના વિદ્યાર્થીઓએ મારપીટ કરી.

ABVP દ્વારા બહાર પાડવામાં આવેલા એક નિવેદન મુજબ લેફટના વિદ્યાર્થીઓ દ્વારા કરાયેલા હુમલામાં એબીવીપીના અનેક વિદ્યાર્થી ગંભીર રીતે ઘાયલ થયા છે. જેમાં  વિદ્યાર્થીનીઓ પણ સામેલ છે અને ગંભીર રીતે ઘાયલ વિદ્યાર્થીઓ હાલ એમ્સમાં સારવાર હેઠળ છે.

ABVP ના જણાવ્યાં મુજબ ડાબેરી વિદ્યાર્થીઓએ મહિલાઓ અને દિવ્યાંગો ઉપર પણ હુમલો કર્યો. જેએનયુમાં ભણતી અને એબીવીપી સાથે જોડાયેલી શ્રીદેવીની ગરદન પર ડાબેરી વિદ્યાર્થીઓએ માર્યું, જયારે દિવ્યાંગ વિદ્યાર્થી અંકિતની પણ પીટાઈ કરી. ડાબેરી વિદ્યાર્થીઓના હુમલામાં કન્હૈયા અને અભિષેક નામના વિદ્યાર્થીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે અને બંનેને ફ્રેકચર થયું છે.

અકસ્માત બાદ સ્ટુડન્ટ ફેડરેશન ઓફ ઈન્ડિયા (SFI)ની નેતા અને જેએનયુ વિદ્યાર્થી સંઘની અધ્યક્ષ આઈશી ઘોષે નિવેદન બહાર પાડીને કહ્યું કે ABVP ના ગુંડાઓએ જીએનયુમાં હિંસા ફેલાવી. વારંવાર અપરાધીઓએ વિદ્યાર્થીઓ પર હિંસા કરી છે અને કેમ્પસ લોકતંત્રમાં વિધ્ન પાડ્યું છે. શું જેએનયુ પ્રશાસન હજુ પણ ચૂપ રહેશે? શું ગુંડાઓ પર કાર્યવાહી નહીં થાય? આ સાથે જ તેણે હુમલામાં ઘાયલ વિદ્યાર્થીઓની તસવીર પણ શેર કરી.

(9:48 am IST)