Gujarati News

Gujarati News

News of Friday, 15th October 2021

ધરતીથી ગગન સુધી ગૂંજશે ૧૦૦ કરોડ વેક્સીન ડોઝનો જશ્ન

દેશમાં કોરોના રસીકરણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે : કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૯૬ કરોડથી વધુ ડોઝ અપાયા

નવી દિલ્હી, તા.૧૪ : દેશમાં કોરોના રસીકરણ ખૂબ ઝડપથી ચાલી રહ્યું છે. બધાની નજર રસીકરણના નંબર પર છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે દેશમાં અત્યાર સુધીમાં કોરોના રસીના ૯૬ કરોડથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈ કાલે ૩૨ લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા હતા. ભારત આગામી સપ્તાહ સુધીમાં ૧૦૦ કરોડથી વધુ રસી ડોઝના આંકડા પર પહોંચશે. કેન્દ્ર સરકારે આ પ્રસંગ માટે ખાસ તૈયારીઓ કરી રહી છે. જે સમયે ભારતમાં ૧૦૦ કરોડ કોરોના રસી ડોઝનો આંકડો પૂર્ણ થશે, તે સમયે તમામ જાહેર સ્થળોએ તમામ રેલવે સ્ટેશન, તમામ એરપોર્ટ અને બસ સ્ટેશન પર જાહેરાત એક સાથે કરવામાં આવશે. આ સિવાય દેશના તમામ દરિયાકિનારા અને જહાજો પર આ ખાસ સીમાચિહ્નરૂપ હૂટિંગ થશે.

આરોગ્ય મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટામાં કહેવામાં આવ્યું છે કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં ૧૮-૪૪ વય જૂથમાં રસીકરણના ત્રીજા તબક્કાની શરૂઆત બાદ ૩૮,૯૯,૪૨,૬૧૬ ડોઝ પ્રથમ ડોઝ તરીકે આપવામાં આવ્યા છે. એક આંકડો એ પણ દર્શાવે છે કે અત્યારે ૩૦% લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

બાળકોના રસીકરણ અંગે નિષ્ણાત અભિપ્રાય લેવામાં આવી રહ્યો છે. નિષ્ણાતો માને છે કે બાળકોની રસી અંગે સાવચેતી રાખવાની જરૂર છે.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું  કે આવતા મહિના સુધીમાં દેશમાં વધુ કોરોના રસી ઉપલબ્ધ થશે અને જે રસી આપણા દેશની જરૂરિયાતથી બાકી રહેશે તે અન્ય દેશોમાં નિકાસ કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે ભારતે અત્યાર સુધીમાં નેપાળ, બાંગ્લાદેશ, ઈરાન, મ્યાનમાર જેવા દેશોએ ૧૦ લાખ કોરોના રસીઓ આપી છે.

(12:00 am IST)