Gujarati News

Gujarati News

News of Tuesday, 15th October 2019

સુપ્રિમ કોર્ટમાં સુનાવણી અંતિમ તબક્કામાં

અયોધ્યામાં ૧૦ ડિસે.સુધી ૧૪૪મી કલમ

આ સપ્તાહે બંધ થશે દલીલોના દરવાજાઃ દિવાળી બાદ ફેંસલો

અયોધ્યા, તા.૧૪:ઉત્તરપ્રદેશના અયોધ્યા જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરી દેવામાં આવી છે. જે ૧૦ ડિસેમ્બર સુધી રહેશે. ડીએમ અનુજ કુમાર ઝાએ તેની માહિતી આપતા કહ્યું કે, આ નિર્ણય રામ જન્મભુમિ - બાબરી મસ્જિદ વિવાદ અંગે સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનવણી અંતિમ તબક્કામાં પહોંચવાને ધ્યાને રાખીને લીધો છે. ડીએમે કહ્યું કે, આગામી મહિને આ વિવાદમાં નિર્ણય આવવાની આશા છે. એટલા માટે શાંતિની દ્રષ્ટી જિલ્લામાં કલમ ૧૪૪ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા કેસની સુનવણી દશેરાની રજા બાદ સોમવારે ફરી એકવાર ચાલુ થશે. ગત્ત ૬ ઓગષ્ટથી જ ચાલી રહેલી સુનાવણીમાં હવે મુસ્લિમ પક્ષ પોતાની દલીલ રજુ કરી રહ્યું છે જે ૧૪ ઓકટોબર સુધી ચાલશે. આ મુદ્દે સુનવાણી કરી રહેલા ૫ જજોની સંવિધાન પીઠે નિશ્ચય કર્યો છેકે ૧૪ ઓકટોબરે મુસ્લિમ પક્ષની દલીલ ખતમ થયા બાદ ૧૫ અને ૧૬ ઓકટોબરે હિંદૂ પક્ષોને જવાબ આપવાની તક આપવામાં આવશે. તેમ છતા ૧૭ ઓકટોબર સુધી સુનાવણીની તમામ કાર્યવાહી પુર્ણ કરી દેવામાં આવશે.

આશા વ્યકત કરવામાં આવી રહી છે કે આવતા મહિનાની ૧૭ તારીખ સુધીમાં ૨.૭૭ એકરની વિવાદિત જમીન પર અંતિમ ચુકાદો આવી જશે. ૧૭ નવેમ્બરે જ ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ રિટાયર્ડ પણ થવાનાં છે જેની અધ્યક્ષતામાં સુપ્રીમ કોર્ટની પાંચ સભ્યોની સંવૈધાનિક ખંડપીઠ મુદ્દે સુનવણી કરી રહ્યા છે. હાલ અયોધ્યાનાં ડીએમએ કહ્યું કે, કલમ ૧૪૪ લાગુ કરવાનાં નિર્ણય અલગ અલગ તહેવારી ઉત્સવોને ધ્યાને રાખી લાવવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટ અયોધ્યા જમીન વિવાદ મુદ્દે અલ્હાબાદ હાઇકોર્ટે ૨૦૧૦નાં નિર્ણયની વિરુદ્ઘ ૧૪ અપીલો અંગે સુનાવણી કરી રહ્યા છે. સુનાવણી કરી રહેલી સંવૈધાનિક પીઠના સભ્યોમાં ન્યાયમૂર્તિ એસએ બોબડે, ન્યાયમૂર્તી ડી.વાય ચંદ્રચુડ, ન્યાયમૂર્તિ અશોક ભૂષણ અને ન્યાયમૂર્તિ એસ.એ નઝીરનો પણ સમાવેશ થાય છે. અલ્હાબાદ હાઇકોર્ટે ચાર અલગ અલગ સિવિલ કેસ અંગે ચુકાદો આપતા વિવાદિત ૨.૭૭ એકર જમીનને તમામ ત્રણેય પક્ષ સુન્ની વકફ બોર્ડ, નિર્મોહી અખાડા અને રામલલા વિરાજમાન વચ્ચે સમાન હિસ્સે વહેંચવાનો ચુકાદો આપ્યો હતો.

ડીએમ સીઆરપીસીની કલમ ૧૪૪ હેઠળ નોટિફિકેશન ઇશ્યું કરે છે. જેના હેઠળ આ પ્રાવધાન કરવામાં આવ્યું છે કે આ વિસ્તારમાં નિષેધાજ્ઞા લાગુ કરવામાં આવે છે, અહીં ૫ અથવા તેનાથી વધારે લોકોને એકત્ર થઇ શકશે નહી. સાથે જ હથિયાર લાવવા લઇ જવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ કલમનો ઉપયોગ શાંતિ જાળવી રાખવા માટે કરવામાં આવે છે. જયારે પણ તંત્રને અંદેશો થાય છે કે વિસ્તારમાં શાંતિ વ્યવસ્થા પર ખરાબ પ્રભાવ પડી શકે છે તો આ કલમ લગાવવામાં આવતી હોય છે.

(9:38 am IST)