Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

..તો હવે ડિલીટ નહીં કરી શકો Whatsapp પર મોકલેલા મેસેજ!

વોટ્સએપના આ ફીચરમાં થશે ફેરફાર

નવી દિલ્હી તા. ૧૫ : ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ વ્હોટ્સએપમાં એક મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. જેના પગલે ‘Delete for Everyone’ ફીચરમાં પણ અપડેટ આવશે. આ ફીચરમાં યૂઝર ચેટ દરમિયાન મોકલેલા કોઈપણ મેસેજને ડિલીટ કરી શકે છે, જે બાદ તે મેસેજ કોઈને જોવા મળશે નહીં. આ ફીચર ગયા વર્ષે લોન્ચ કરવામાં આવ્યું હતું અને મેસેજ ડિલીટ કરવા માટે ૭ મિનિટનો સમય આપવામાં આવ્યો હતો. જો કે પાછળથી ટાઈમ લિમિટ વધારીને ૧ કલાક ૧૮ મિનિટ અને ૧૬ સેકંડ કરી દેવાઈ.

રિપોર્ટ પ્રમાણે, વ્હોટ્સએપના ‘Delete for Everyone’ ફીચરમાં જે અપડેટ આવવાનું છે તેમાં મેસેજ રિસીવરને અપાયેલા સમય ૧૩ કલાક ૮ મિનિટ અને ૧૬ સેકંડમાં ડિલીટ રિકવેસ્ટ ન મળે તો ત્યાર બાદ મેસેજ ડિલીટ નહીં થઈ શકે. ધારો કે, વ્હોટ્સએપ ચેટ વખતે તમે કોઈ ફ્રેંડને મેસેજ મોકલ્યો અને પછી તમે તે મેસેજ ડિલીટ કરવા માગો છો પરંતુ તમારા મિત્રને નિર્ધારિત સમયમાં વ્હોટ્સએપ પર ડિલીટ રિકવેસ્ટ ન મળી તો તે મેસેજ ડિલીટ નહીં થાય. બની શકે કે તમે જેને મેસેજ મોકલ્યો હોય તેનો ફોન બંધ હોય તો તે યૂઝરને મોકલેલો મેસેજ ડિલીટ નહીં થાય.

જો કે આ ફીચર કયારે રોલ આઉટ થશે તે વિશે હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી નથી મળી. પરંતુ આજકાલ વ્હોટ્સએપમાં જે ફેરફારો જોવા મળી રહ્યા છે તેને જોઈને લાગે છે કે આગામી અઠવાડિયાઓમાં આ ફીચર લોન્ચ થઈ જશે.

ટૂંક સમયમાં તમને વ્હોટ્સએપ પર એડ પણ જોવા મળશે. વ્હોટ્સએપના એન્ડ્રોઈડ વર્ઝન પર એડવર્ટિઝમેન્ટ આવશે. જો કે એડ આવવાથી તમને ચેટિંગમાં ખલેલ પહોંચી શકે છે. રિપોર્ટ્સ પ્રમાણે, વ્હોટ્સએપની એડ યૂઝર્સની સ્ટોરીમાં આવશે, ઈન્સ્ટાગ્રામ પર આવે છે તે પ્રકારે. આ સિવાય પણ ઘણાં નવા ફીચર્સ આવવાના છે.

(4:29 pm IST)