Gujarati News

Gujarati News

News of Monday, 15th October 2018

ભારત વિરૃદ્ધ ૧૦ સર્જિકલ સ્ટ્રાઇક કરવા પાકની ધમકી

અંકુશરેખા પર પાકિસ્તાન દ્વારા ફરી ગોળીબાર :પાકિસ્તાનની ક્ષમતાને લઇને કોઇ શંકા ન રાખવા સલાહ

શ્રીનગર, તા. ૧૪ : જમ્મુ કાશ્મીરમાં અંકુશરેખા ઉપર પાકિસ્તાની ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરીને આજે ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં ભારતે જોરદારરીતે જવાબી કાર્યવાહી કરી હતી. જેના કારણે સરહદ ઉપર થોડાક સમય માટે તંગદિલીપૂર્ણ સ્થિતિ સર્જાઈ ગઈ હતી. પૂંચ જિલ્લામાં દિગવાર સેક્ટરમાં પાકિસ્તાની સેનાએ ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કર્યો હતો. પાકિસ્તાને ભારતીય ચોકીઓને ટાર્ગેટ બનાવવા નાના અને ઓટોમેટિક હથિયારોનો ઉપયોગ કર્યો હતો. જવાબમાં ભારતીય જવાનોએ જોરદાર કાર્યવાહી કરી હતી. આમાં કોઇપણ નુકસાન કે ખુવારી થઇ નથી.

બીજી બાજુ ભારત દ્વારા બે વર્ષ અગાઉ કરવામાં આવેલા સર્જિકલ હુમલાને લઇને પાકિસ્તાન હજુ પણ પરેશાન છે. આના પુરાવા હજુ પણ મળી રહ્યા છે. પાકિસ્તાનના એક મેજર જનરલ આશીફ ગફુરે પાકિસ્તાન તરફથી ભારતને ૧૦ સર્જિકલ સ્ટ્રાઇક કરવાની ધમકી આપી છે. આશીફ ગફુર સેનાની ઇન્ટર સર્વિસના જનસંપર્ક વિભાગના પ્રવક્તા પણ છે. લંડનમાં મિડિયા સાથે વાતચીત કરતા તેમણે કહ્યું હતું કે, જો ભારત દ્વારા પાકિસ્તાનની અંદર સર્જિકલ હુમલા કરવામાં આવશે તો તેની પ્રતિક્રિયામાં ૧૦ સર્જિકલ હુમલા કરવામાં આવશે. તેમણે કહ્યું હતું કે, જો કોઇપણ અમારી સામે હુમલા માટે કાવતરા ઘડશે તેને પહેલા બે વખત વિચારવું પડશે. પાકિસ્તાનની ક્ષમતાઓને લઇને ભારત સહિતના દેશો કોઇ શંકા ન રાખે તે જરૃરી છે. સૈન્ય પ્રવક્તાએ કહ્યું હતું કે, પાકિસ્તાની સેના ૫૦ અબજ ડોલરના ચીન પાકિસ્તાન આર્થિક કોરિડોરના સંરક્ષક તરીકે છે અને વિશાળ યોજના દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવશે. સેના પાકિસ્તાનમાં લોકશાહીને મજબૂત કરવા માટે ઇચ્છુક છે. જુલાઈ મહિનામાં યોજાયેલી ચૂંટણી સૌથી પારદર્શક ચૂંટણી રહી હતી.

(12:00 am IST)