Gujarati News

Gujarati News

News of Wednesday, 15th September 2021

૭૩૬ અફઘાનોના ભારતમાં આશ્રય માટે નવા રજિસ્ટ્રેશન

સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદના હેવાલમાં ઘટસ્ફોટ : યુનો દ્વારા અફઘાની સમૂહો સાથે સીધા જોડાવા માટે વધારાની ૨૪/૭ હેલ્પલાઈનની સ્થાપના કરવામાં આવી

નવી દિલ્હી, તા.૧૫ : સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (યુએનએચઆરસી)ના અહેવાલ પ્રમાણે પહેલી ઓગષ્ટથી ૧૧મી સપ્ટેમ્બર સુધીમાં કુલ ૭૩૬ અફઘાનીઓએ ભારતમાં શરણાગતિ માટે નવું રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ભારતમાં અફઘાનોની નોંધણી અને સહાયતા માટે વધી રહેલા અનુરોધના પગલે તેઓ પોતાની ક્ષમતા વધારી રહ્યા છે. સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી એજન્સીના કહેવા પ્રમાણે તેઓ વીઝા આપવા અને સમય મર્યાદા વધારવા, સહાયતા અને સમાધાન સહિત અફઘાન નાગરિકો સાથે સંબંધીત મામલાઓ મુદ્દે સરકાર સાથે સતત વાતચીત કરી રહ્યા છે.

અહેવાલ પ્રમાણે ભારતમાં યુએનએચઆરસી સાથે સંબંધીત શરણાર્થીઓની કુલ સંખ્યા ૪૩,૧૫૭ છે. તેમાં ૧૫,૫૫૯ રેફ્યુજી અને શરણ માગનારા અફઘાનિસ્તાનના લોકો છે. સંયુક્ત રાષ્ટ્ર એકમના અહેવાલ પ્રમાણે ૧ ઓગષ્ટથી ૧૧મી સપ્ટેમ્બર દરમિયાન યુએનએચઆરસી દ્વારા નવી નોંધણી માટે ૭૩૬ અફઘાનીઓએ અરજી કરી છે. જે લોકોએ યુએનએચસીઆરનો સંપર્ક કર્યો છે તેમાં ૨૦૨૧માં આવેલા અફઘાની નાગરિકોનો સમાવેશ થાય છે.

સંસ્થાના કહેવા પ્રમાણે તે અફઘાનિસ્તાનથી આવેલા લોકો માટે પોતાની માનવીય પ્રતિક્રિયા કાર્યક્રમને વધારી રહ્યા છે. આ લોકોને ભોજન, રોકડ આધારીત સહાયતા અને મુખ્ય રાહત સામગ્રી જેવી પાયાની સહાયતા પ્રદાન કરવામાં આવી રહી છે.

અફઘાની સમૂહો સાથે સીધા જોડાવા માટે અને ૨૪ કલાક સવાલોના જવાબ આપવા માટે વધારાની ૨૪/૭ હેલ્પલાઈનની સ્થાપના કરવામાં આવી છે. તેમાં દરરોજ ૧૩૦ કરતા વધારે કોલ આવી રહ્યા છે. તેમાં મુખ્યત્વે સહાયતા અને રજિસ્ટ્રેશન અંગે પુછપરછ કરવામાં આવી રહી છે.

(7:28 pm IST)