Gujarati News

Gujarati News

News of Saturday, 15th September 2018

તેલની કિંમતોનો પણ યોગ્ય ઉકેલને શોધી કઢાશે : શાહ

પેટ્રોલિયમ પેદાશોની કિંમતને લઈને ચિંતાઃ ચંદ્રાબાબુ નાયડુ-સાથીઓની વિરૂદ્ધ ધરપકડ વોરંટ જારી થવાને લઈને ભાજપ સાથે આના લેવા દેવા નથી : શાહ

હૈદરાબાદ,તા. ૧૫: ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે પેટ્રોલિયમ પેદાશોની વધતી જતી કિંમતો માટે આંતરરાષ્ટ્રીય કારણોને જવાબદાર ઠેરવ્યા છે. સાથે સાથે એવી ખાતરી પણ આપી છે કે પેટ્રોલિયમ પેદાશોની કિંમત અને ઘટી રહેલા રૂપિયાને કાબુમાં લેવા માટે ટૂંક સમયમાં જ યોગ્ય પગલાં લેવાશે અને સમાધાન શોધી કાઢવામાં આવશે. ઓગસ્ટ મહિનાથી ડોલરની સરખામણીમાં રૂપિયામાં ઘટાડો થઈ રહ્યો છે. જેથી પેટ્રોલ અને ડિઝલની કિંમતમાં સતત વધારો થઈ રહ્યો છે. પેટ્રોલિયમ પેદાશોની કિંમતો આસમાને પહોંચી ગઈ છે. હૈદરાબાદમાં પત્રકાર પરિષદને સંબોધતા અમિત શાહે કહ્યું હતું કે ડિઝલ અને પેટ્રોલની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે. ડોલરની સરખામણીમાં રૂપિયો નબળો પડી રહયો છે. ભાજપ અને સરકાર માટે આ ચિંતાની બાબત છે. ચીન-અમેરિકા વચ્ચે ટ્રેડવોર, અમેરિકાના તેલ ઉત્પાદક દેશોની સાથે નિરાશાજનક સંબંધોના લીધે આ સ્થિતિ સર્જાઈ છે પરંતુ સરકાર નિષ્ક્રિય રીતે રહેશે નહીં. આનો પણ ઉકેલ શોધી કાઢવામાં આવશે. સરકાર ટૂંક સમયમાં જ યોગ્ય નિર્ણય લેશે. અમિત શાહે કહ્યું હતું કે રૂપિયાની કીંમતો ઉપર જે અસર થઈ છે તે અન્ય દેશોની સરખામણીમાં ઓછી છે. પેટ્રોલ અને ડિઝલની વધતી જતી કિંમતો અને અન્ય જરૂરી ચીજવસ્તુઓના વધી રહેલા ભાવના પરિણામ સ્વરૂપે વિરોધ પરોક્ષે ૧૦મી સપ્ટેમ્બરના દિવસે ભારત બંધની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રમાં ધર્માબાદ કોર્ટ દ્વારા આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ અને તેમના સાથીઓ સામે ધરપકડ વોરંટ જારી થવાના મામલામાં અમિત શાહે કહ્યું હતું કે આનાથી અમારા કોઈ લેવા દેવા નથી. અત્રે ઉલ્લેખનિય છે કે ૨૦૧૦માં સંયુક્ત આંધ્રપ્રદેશની ગોદાવરી નદીના બબલી પ્રોજેક્ટ પર કબજો કરવાના મામલામાં આ વોરંટ જારી કરવામાં આવ્યું છે. કોંગ્રેસ સરકાર દરમિયાન કેસ કરવામાં આવ્યો હતો. અમિત શાહે કહ્યું હતું કે તે સમયે મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશ બંને જગ્યાએ કોંગ્રેસની સરકાર હતી. હવે ચંદ્રબાબુ નાયડુ આ લોકોની સાથે જ મળેલા છે. તે વખતે તેઓ લોકોની સહાનુભૂતિ મેળવવાના પ્રયાસ કરી રહ્યા હતા. આ કેસ ૨૦૧૦માં દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે ૨૦૧૩માં ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટ દ્વારા અનેક વખત સમન્સ પણ જારી કરવામાં આવ્યા હતા છતાં નાયડુએ કોઈ જવાબ આપ્યા ન હતા. હવે આ મામલામાં ફરીવાર તપાસ ચાલી છે. જેથી તેમની સામે ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યા છે.

(9:59 pm IST)