Gujarati News

Gujarati News

News of Saturday, 15th August 2020

હવે છોકરીઓના લગ્નની ઉંમર નવેસરથી નક્કી કરશે સરકાર : કમિટીના રિપોર્ટ બાદ લેવાશે નિર્ણંય:પીએમ મોદીની જાહેરાત

શિક્ષણ અને સ્વાસ્થ્ય પર પોતાની સરકારની પ્રાથમિક્તા ગણાવતા વડાપ્રધાન મોદીએ સ્ત્રી શક્તિને નમન કર્યા.

નવી દિલ્હી: વડાપ્રધાનર મોદીએ 74માં સ્વતંત્રતા દિવસ પર લાલ કિલ્લાની પ્રાચીરથી સતત સાતમી વખત રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. આ અવસરે રાષ્ટ્રના નામે પોતાના સંબોધનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છોકરીઓના લગ્નની ન્યૂનત્તમ ઉંમર બદલવાની જાહેરાત કરી છે.

 પીએમ  મોદીએ જણાવ્યું કે, બદલાતા જતાં વૈશ્વિક વાતાવરણમાં છોકરીઓની લગ્નની ચોક્કસ ઉંમર નક્કી કરવા માટે એક કમિટી બનાવાયી છે. જેનો રિપોર્ટ મળતા જ સરકાર તેના પર નિર્ણય લેશે. શિક્ષણ અને સ્વાસ્થ્ય પર પોતાની સરકારની પ્રાથમિક્તા ગણાવતા વડાપ્રધાન મોદીએ સ્ત્રી શક્તિને નમન કર્યા.

વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે,આપણો અનુભવ કહે છે કે, ભારતમાં સ્ત્રી શક્તિને જ્યારે-જ્યારે અવસર મળ્યા, તેમણે દેશનું નામ રોશન કર્યું છે. દેશને સશક્ત બનાવ્યો છે. આજે ભારતમાં મહિલાઓ અંડરગ્રાઉન્ડ કોલસાની ખાણોમાં કામ કરી રહી છે, તો ફાઈટર જેટ ઉડાવીને આકાશને આંબી રહી છે.

 અત્રે ઉલ્લેખનીય છે કે, આ વર્ષના બજેટ ભાષણમાં પણ નાણામંત્રી નિર્મલા સીતારમણે તેના સંકેત આપ્યા હતા. ત્યારે તેમણે સ્વાસ્થ્ય, સબલ અને સક્ષમ નારી પર ભાર મૂક્યો હતો. મોદી સરકારે પોતાના ગત કાર્યકાળમાં દીકરીઓને બચાવવા અને ભણાવવા માટે “બેટી બચાવો, બેટી પઢાવો” અભિયાન ચલાવ્યું હતું. આ વખતે મહિલાઓના સ્વાસ્થ્ય અને કુપોષણ સામે લડવા માટે ભાર મૂકાઈ રહ્યો છે. છોકરીઓના લગ્નની ઉંમરમાં વધારો કરીને સરકાર તેમના માતૃત્વ દરમાં કમી લાવીને તેમના પોષણ સ્તરને સુધારવા ઈચ્છે છે.

 હાલના સમયમાં દેશમાં છોકરીઓના લગ્નની ઉંમર મર્યાદા 18 વર્ષ અને છોકરાઓની 21 વર્ષ છે. વર્ષ 1929માં શારદા એક્ટ આવ્યો હતો. જેમાં છોકરીઓના લગ્નની ન્યૂનતમ વય 15 વર્ષ નક્કી કરવામાં આવી હતી. જો કે 1978માં આ કાયદામાં સંશોધન થયું હતું. જેમાં છોકરીઓના લગ્નની ઉંમર 15 વર્ષથી વધારીને 18 વર્ષ કરવામાં આવી હતી

(10:04 pm IST)