Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

વરિષ્ઠ પત્રકાર આશુતોષે આમ આદમી પાર્ટીમાંથી આપ્યુ રાજીનામું

આપ પાર્ટી છોડવા પાછળ પોતાનું અંગત કારણ જવાબદાર ગણાવ્યું

સ્વતંત્રતા દિવસે જ વરિષ્ઠ પત્રકાર આશુતોષ પણ રાજકારણમાંથી આઝાદી મેળવશે. એક મળતા અહેવાલ મુજબ આશુતોષે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે. જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવે તેવી શક્યતા છે.

જો કે આશુતોષે પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલને થોડા મહિન અગાઉ પોતાનું રાજીનામું સોંપી દીધુ હતું. જો કે આશુતોષનું રાજીનામું હજી સુધી મંજૂર કરવામાં આવ્યું નથી. જેના કારણે આશુતોષ હવે સાર્વજનિક રીતે પાર્ટી છોડવાની જાહેરાત કરશે.

આશુતોષે આપ પાર્ટી છોડવા પાછળ પોતાનું અંગત કારણ જવાબદાર ગણાવ્યું છે. જો કે આશુતોષના નજીકના વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે ભ્રષ્ટાચારની વિરુધ્ધ જંગ માટે બનાવામાં આવેલી પાર્ટી પોતાનો રસ્તો ભટકી ગઇ હોવાનો અહેસાસ થઇ રહ્યો હતો.

જો કે આશુતોષ આપ પાર્ટીમાંથી રાજીનામું આપી સંપૂર્ણ રાજકારણમાંથી નિવૃત્તિ જાહેર કરે તેવી શક્યતા છે. જ્યારે સૂત્રોને મળતી જાણકારી મુજબ આશુતોષ ફરી પત્રકારિતામાં સક્રિય થાય તેવી શક્યતા છે.

આમ આપ પાર્ટી માટે લોકસભાની 2019ની ચૂંટણીને લગભગ આઠ મહિના બાકી હોય ત્યારે દિગ્ગજ નેતાના પક્ષ છોડી જવાથી મોટો ઝટકો લાગ્યો છે.

(11:26 am IST)