Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

શાંઘાઈ ઘોષણાપત્ર : અંતે ત્રાસવાદને મુદ્દો બનાવાયો

ત્રાસવાદ સામે અભિયાનમાં ભારતની જીત : ઇમરાન ખાન ની ઉપસ્થિતિમાં તમામ સભ્ય દેશો તરફથી સંમતિ સાથે ત્રાસવાદનો ઘોષણાપત્રમાં સમાવેશ કરવામાં આવ્યો

નવી દિલ્હી, તા. ૧૪  : ભારતના આતંકવાદ વિરોધી અભિયાનને મોટી સફળતા મળી છે. શાંઘાઈ કો-ઓપરેશન ઓર્ગેનાઇઝેશનના તમામ સભ્ય દેશો તરફથી ઘોષણાપત્ર જારી કરવામાં આવ્યો છે જેમાં આતંકવાદને મુદ્દો બનાવવામાં આવ્યો છે. ભારત તરફથી વારંવાર ઉઠાવવામાં આવતા સરહદ પારથી આતંકવાદને પણ ઘોષણાપત્રમાં જગ્યા આપવામાં આવી છે.

આ પહેલા મોદીએ સમિટમાં પોતાના નિવેદનમાં આતંકવાદને મદદ કરવાવાળા દેશોને જવાબદાર ઠેરાવવાની અપીલ કરી હતી. વિદેશ મંત્રાલયના પ્રવક્તા રવિશકુમારે માહિતી આપતા કહ્યું હતું કે, તમામ સભ્ય દેશોએ સર્વસંમતિ સાથે આતંકવાદની સામે નિવેદન જારી કર્યું છે. તમામ સભ્ય દેશો તરફથી ઘોષણાપત્રમાં આ બાબતનો સમાવેશ કરવામાં આવ્યો છે. આતંકવાદની સામે કઠોર સંદેશો આપવામાં આવ્યો છે. મોદીએ સમિટમાં આતંકવાદની સામે જોરદાર પ્રહાર કર્યા હતા. પરોક્ષ અને પ્રત્યક્ષરીતે આતંકવાદના મુદ્દા ઉપર પ્રહાર કર્યા હતા. આતંકવાદનું સમર્થન, પ્રોત્સાહન અને આર્થિક મદદ આપનાર રાષ્ટ્રોને જવાબદાર ઠેરવવાની જરૂર છે. એસસીઓ સભ્યોને આતંકવાદના સફાયા માટે એક મંચ ઉપર આવવા મોદીએ અપીલ કરી હતી. મોદીએ પોતાના સંબોધનમાં ટેરેરિઝમ ફ્રી સોસાયટીનો નારો આપીને કહ્યું હતું કે, શ્રીલંકામાં આતંકવાદના ખતરનાક ચહેરાને લોકો જોઇ ચુક્યા છે. આતંકવાદની સામે ભારત આંતરરાષ્ટ્રીય બેઠક બોલાવવામાં આવે તેની પણ તરફેણ કરે છે. આતંકવાદની સામે ભારતમાં હાલ જોરદાર કાર્યવાહી ચાલી રહી છે ત્યારે શાંઘાઈ બેઠકમાં આતંકવાદના મુદ્દાને સામેલ કરવામાં આવતા ભારતને પોતાના અભિયાનમાં સફળતા મળી છે. ખાસ બાબત એ છે કે, આ શિખર બેઠકમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન પણ ઉપસ્થિત રહ્યા હતા.

(12:00 am IST)