Gujarati News

Gujarati News

News of Saturday, 15th June 2019

તબીબોની હડતાળથી દેશના જુદા જુદા ભાગોમાં દર્દીઓ મુશ્કેલીમાં

મુંબઈ, કોલકાતા, નાગપુર, હૈદરાબાદ, વારાણસીમાં પણ અસર : બે જુનિયર તબીબોને નિર્દયરીતે માર મારવાના વિરોધમાં તબીબોની હડતાળ બંગાળમાં ૪૩ તબીબોના રાજીનામા : હડતાળથી દર્દીઓ-સગાસંબંધી પરેશાન

નવીદિલ્હી,તા. ૧૪  : પશ્ચિમ બંગાળના પાટનગર કોલકાતાના એનઆરએસ મેડિકલ કોલેજમાં બે જુનિયર ડોક્ટરોને જોરદાર અને નિર્દયરીતે માર મારવામાં આવ્યા બાદ દેશના કેટલાક રાજ્યોમાં આજે મોટી સંખ્યામાં તબીબો હડતાળ ઉપર જતા રહ્યા હતા. તબીબોની હડતાળના કારણે દર્દીઓ બેહાલ રહ્યા હતા. દર્દીઓના સગાસંબંધીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. તબીબોની હડતાળથી મુંબઈ, કોલકાતા, નાગપુર, પટણા, હૈદરાબાદ, વારાણસી સહિત અનેક શહેરોમાં તબીબી સેવા ઠપ થઇ ગઇ હતી. ઘટનાના વિરોધમાં બંગાળમાં ૪૩ ડોક્ટરોએ સામૂહિકરીતે રાજીનામા આપી દીધા છે. રાજીનામુ આપનાર તબીબોની સંખ્યા સતત વધી રહી છે. તબીબોની હડતાળ આજે બંગાળમાં ચોથા દિવસે જારી રહી હતી. બીજી બાજુ દેશના અન્ય રાજ્યોમાં પણ તબીબો તેમના સમર્થનમાં આગળ આવ્યા હતા. ૪૩ ડોક્ટરોએ સામૂહિક રાજીનામા આપી દીધા છે. રાજીનામુ આપી ચુકેલા તબીબોમાં ૪૩ પૈકી ૧૬ આરજી કાર મેડિકલ કોલેજ અને હોસ્પિટલ કોલકાતાના છે જ્યારે ૨૭ અન્ય ડોક્ટરો નોર્થ બંગાળ મેડિકલ કોલેજ અને હોસ્પિટલ દાર્જીલિંગના છે. રાજીનામુ આપનાર તબીબોનું કહેવું છે કે, વર્તમાન સ્થિતિમાં કામ કરવું તેમના માટે મુશ્કેલ બની ગયું છે. મુખ્યમંત્રી મમતા બેનર્જી પાસેથી માફીની માંગ કરવામાં આવી છે. સાથે સાથે અનેક શરતો પણ મુકી દીધી છે. તબીબોનું કહેવું છે કે, મુખ્યમંત્રીએ જે કહ્યું છે તેને લઇને તેમને અપેક્ષા ન હતા. સરકારી હોસ્પિટલમાં સુરક્ષા સંબંધિત માંગ પુરી થશે નહીં ત્યાં સુધી હડતાળ જારી રહેશે.

બીજી બાજુ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દેખાવકારો ઉપર પ્રહાર કરતા કહ્યું છે કે, વિપક્ષી ભાજપ અને સીપીએમ દ્વારા ભડકાવવામાં આવ્યા બાદ તબીબો હડતાળ પાડી રહ્યા છે. તબીબોની માંગ છે કે, યોગ્ય સુરક્ષા મળે તે જરૂરી છે. તમામ હોસ્પિટલમાં સશસ્ત્ર પોલીસ દળ તૈનાત કરવામાં આવે તે જરૂરી છે. ઉપરાંત એનઆરએસ હોસ્પિટલમાં શનિવારના દિવસે કરવામાં આવેલા હુમલામાં સામેલ રહેલા અપરાધીઓને બિનજામીનપાત્ર હેઠળ પકડી પાડવાની પણ માંગ કરવામાં આવી છે. દેશના અન્ય રાજ્યોમાં પણ તબીબો હડતાળ ઉપર ઉતરી ગયા છે. ઉત્તરપ્રદેશ, છત્તીસગઢ જેવા રાજ્યોમાં તબીબો હડતાળ ઉપર ઉતરી ગયા છે. વારાણસીમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ બીએચયુના તબીબો હડતાળ ઉપર છે. મહારાષ્ટ્ર એસોશિએશન રેસિડેન્ટ ડોક્ટર દ્વારા પણ હડતાળને સમર્થન અપાયું છે. રાજસ્થાનના તબીબો પણ હડતાળમાં આગળ આવ્યા છે. કર્ણાટક અને તેલંગાણામાં પણ તબીબો હડતાળ ઉપર ઉતર્યા છે. બીજી બાજુ મમતા બેનર્જીને લઇને જોરદાર નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. બંગાળના તબીબોએ મમતા પાસેથી માફીની માંગ કરી છે. સાથે સાથે સોમવારના દિવસે રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા રાષ્ટ્રવ્યાપી હડતાળની જાહેરાત કરવામાં આવી છે. જુદા જુદા રાજ્યોના જુનિયર ડોક્ટરો પણ હડતાળમાં જોડાયા છે.

(12:00 am IST)