Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

લોન માટેનાં ફોર્મ સહકારી મંડળી અને સહકારી બેન્કોમાંથી નિઃશુલ્ક મળશેઃ ત્રણ વર્ષની અવધિમાં પરત ચૂકવણી કરવાની રહેશેઃ કોઈ જ પ્રકારની સિકયુરિટીની જરૂર નહિ રહે

આત્મનિર્ભર ગુજરાત યોજનાની ગાઈડલાઈન જાહેર થઈ મધ્યમ વર્ગ, ઇલેકિટ્રશિયન, બાંધકામ શ્રમિકો, નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો વગેરેને ૧ લાખ સુધીની લોન માત્ર ૨ ટકા વાર્ષિક દરે લોન મળશે : કોઈ જ પ્રકારની સ્ટેમ્પ ડ્યૂટી નહિ લાગેઃ૬ મહિના સુધી EMI નહિ

રાજકોટ,તા.૧૫: ગઈકાલે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આત્મનિર્ભર ગુજરાત યોજનાની અંતર્ગત રૂપિયા એક લાખની લોન આપવાની જાહેરાત કર્યા બાદ આજે એ વિશેની વિગતવાર ગાઈડલાઈન જાહેર થઈ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આત્મનિર્ભર ભારતની વાત કર્યા બાદ અને કેન્દ્રિય નાણમંત્રી દ્વારા વિવિધ પેકેજની જાહેરાત કરવામાં આવ્યા બાદ સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા આત્મનિર્ભર ગુજરાત સહાય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો લાભ ૧૦ લાખ લોકોને મળશે. યોજના હેઠળ બેન્કો પાસેથી લોનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. બેન્કો માત્ર અરજીના આધારે લોન પાસ કરશે. ૧ લાખ રૂપિયાની લોન ૨ ટકાના વાર્ષિક વ્યાજે મળશે. જયારે ૬ ટકા વાર્ષિક વ્યાજ રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવશે, પ્રથમ છ મહિના વ્યાજ અને મુદ્દલ ચૂકવવું નહીં પડે તેમ મુખ્યમત્રીએ જણાવ્યું છે. આ લોન મધ્યમ વર્ગ, ઇલેકિટ્રશિયન, બાંધકામ શ્રમિકો, નાનાં વેપારીઓ, વ્યવસાયીઓને, ફેરિયાઓ, રિક્ષાચાલકો મળી શકશે. લોન માટેનાં ફોર્મ સહકારી મંડળી અને સહકારી બેન્કોમાંથી નિઃશુલ્ક મળશે. આ લોન પર કોઈ જ પ્રકારની સ્ટેમ્પ ડ્યૂટી નહિ લાગે. જે લોકો કોઈ વ્યવસાયમાં ૧ જાન્યુઆરી ૨૦૨૦થી પ્રવૃત્ત હોય તેમને આ લોન મળી શકશે.

(4:20 pm IST)