Gujarati News

Gujarati News

News of Friday, 15th May 2020

સાળાના મોતથી આઘાતમાં સરી પડેલા જીજાનું પણ મોત

૧પ કલાક ટ્રેનમાં મુસાફરી કરતો મૃતદેહ

મુંબઈ, તા. ૧૫: લોકડાઉનમાં મુંબઈથી નીકળતી સમયે એક દુર્ઘટના ઘટી અને તેની અસર અયોધ્યા નિવાસી વિનોદકુમાર પર પડી અને આઘાતમાં ટ્રેનમાં જ તેમનું મોત થઈ ગયું. આખી રાત ટ્રેનમાં તેમનો શબ મુસાફરી કરતો રહ્યો. ટ્રેન લખનઉ પહોંચી તો જીઆરપીએ શબને ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો. આ પહેલા બે અલગ અલગ દુર્ઘટનામાં શ્રમિકોના મોતની ખબર આવી હતી.

મૂળ અયોધ્યાના મેનપુરના નિવાસી વિનોદકુમાર ઉપાધ્યાય પરિવાર સાથે મુંબઈ આવીને રહેતા હતાં. અહીં તેઓ પોતાના સાળા સાથે ગેટ વે ઓફ ઇન્ડિયા પર ફોટોગ્રાફી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતાં. લોકડાઉનમાં કામ બંધ થઈ ગયું અને ખાવા-પીવાના પણ ફાંફાં પડવા લાગ્યા. જે થોડા રૂપિયા પાસે હતા તે પણ ખતમ થઈ ગયા. પરિવાર અને સાળા સાથે વિનોદકુમારે વતન પાછા જવા રજિસ્ટ્રેશન કરાવ્યું.

મુંબઈથી ટ્રેન સોમવારે બપોરે દોઢ વાગ્યે રવાના થઈ હતી. મુંબઈમાં બસથી રેલ્વે સ્ટેશન સુધી લઈ જવામાં આવ્યા. વિનોદકુમાર તો પરિવાર સાથે બસમાં બેસી ગયા. તેમનો સાળો બસમાં ચઢવા ગયો પરંતુ પગ લપસી જતાં નીચે પડવાથી તેનું મોત થઈ ગયું. વિનોદકુમાર બસમાંથી નીચે ઉતરવા ઇચ્છતા હતા પરંતુ પોલીસે તેમને ઉતરવા ન દીધા. મૃત સાળાને ત્યાં જ છોડીને તેમને જવું પડયું. સોમવારે રાત્રે આ આઘાતમાં ટ્રેનમાં જ તેમનું મોત થઈ ગયું. વિનોદકુમારના મોત બાદ લખનઉમાં જ તહેનાત હોમગાર્ડની નોકરી કરનારા વિનોદના ભાઈ વિરેન્દ્રને જાણ કરવામાં આવી. આ બાદ ભાઈનો મતૃદેહ તેને સોંપી દેવામાં આવ્યો.

(3:42 pm IST)