Gujarati News

Gujarati News

News of Tuesday, 15th May 2018

પીએનબી કાંડ : નિરવ સામે પ્રથમ ચાર્જશીટ દાખલ થઇ

સીબીઆઈ દ્વારા ખાસ અદાલતમાં ચાર્જશીટ દાખલ : સીએમડી પાસે સત્તા આંચકી લેવા બોર્ડ ઓફ અલ્હાબાદ બેંક દ્વારા આદેશ કરાયો : કૌભાંડમાં તપાસનો દોર જારી

નવીદિલ્હી, તા. ૧૪ : કરોડો રૂપિયાના પંજાબ નેશનલ બેંક કૌભાંડના મામલામાં ઉંડી તપાસનો દોર જારી રહ્યો છે. બોર્ડ ઓફ અલ્હાબાદ બેંકે હવે બેંકના સીએમડી પાસેથી સત્તાઓ લઇ લેવા માટે સૂચના આપી છે. ફાઈનાન્સિયલ સર્વિસ સેક્રેટરી દ્વારા આજે આ મુજબની માહિતી આપવામાં આવી હતી. બેંક કૌભાંડના સંદર્ભમાં માહિતી આપતા તેમણે કહ્યું હતું કે, વર્ષ ૨૦૧૫થી ૨૦૧૭ના ગાળા દરમિયાન બેંકના સીઈઓ અને એમડી તરીકે ઉષા અનંતર સુબ્રમણ્યમ રહ્યા હતા. ૨૦૧૫થી લઇને ૨૦૧૭ના ગાળા દરમિયાન તેઓ એમડી હતા તે વેળા જ આ વિવાદ સપાટી ઉપર આવ્યો હતો. આ કેસના સંદર્ભમાં સીબીઆઈ દ્વારા હાલમાં જ પુછપરછ પણ કરવામાં આવી હતી. અલ્હાબાદ બેંક દ્વારા બોર્ડ બેઠક બોલાવવામાં આવી રહી છે ત્યારબાદ ચીફ મેનેજિંગ ડિરેક્ટરની સત્તાને લઇને નિર્ણય લેવામાં આવશે. હાલમાં આરોપી રહેલા લોકો પાસેથી સત્તાઓ આંચકી લેવા માટે કહેવામાં આવ્યું છે. ઉષા ઉપરાંત સરકારે પીએનબીના બે ઇડી ઓફિસરો અને ત્રણ બોર્ડ લેવલના અધિકારીઓને દૂર કરવામાં આવી ચુક્યા છે. અગાઉ આજે ઘટનાક્રમમાં સીબીઆઈએ પીએનબી કૌભાંડના સંદર્ભમાં તપાસ ચાલ્યા બાદ ફરાર રહેલા આરોપી નિરવ મોદી અને અન્યો સામે કોર્ટમાં તેની પ્રથમ ચાર્જશીટ દાખલ કરી હતી. આ ચાર્જશીટ મુંબઈમાં સ્પેશિયલ કોર્ટમાં દાખલ કરાઈ છે જેમાં ઉષા સહિત બેંકના અનેક ટોપના અધિકારીઓના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચાર્જશીટમાં તપાસ સંસ્થાએ પીએનબીના કારોબારી ડિરેક્ટર કેવી બ્રહ્માજી રાવ, સંજીવ શરણ અને જનરલ મેનેજર (ઇન્ટરનેશનલ ઓપરેશન) નેહલનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ ચાર્જશીટમાં સીબીઆઈએ નિરવ મોદી, તેમના નિશાલ મોદી અને સુભાષ પરબની ભૂમિકાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જુદી જુદી તપાસ સંસ્થાઓ સીબીઆઈ, ઇડી, ઇન્કમટેક્સ દ્વારા નિરવ મોદી અને મેહુલ ચોક્સી સામે તપાસ કરવામાં આવી રહી છે. સત્તાવાળાઓએ હજુ સુધી જુદી જુદી ભૂમિકા બદલ ૨૦ લોકોની ધરપકડ કરી છે. આરોપી જ્વેલર્સ નિરવ મોદી અને મેહુલ ચોક્સી સામે બિનજામીનપાત્ર વોરંટ પણ જારી કરવામાં આવ્યા છે. અલબત્ત વિદેશમાં રહેલા આ બંને આરોપીઓએ તેમી સામે કરવામાં આવેલા આક્ષેપોને રદિયો આપ્યો છે. બીજી બાજુ સત્તાવાળાઓનું કહેવું છે કે, કૌભાંડનો પર્દાફાશ થાય તે પહેલા બંને શખ્સો દેશ છોડીને ફરાર થઇ ગયા હતા. ઇડી અને સીબીઆઈ દ્વારા નિરવ મોદી અને મેહુલ ચોક્સીની સંપત્તિ જપ્ત કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. ૧૩૦૦૦ કરોડથી પણ વધુનો ચુનો પંજાબ નેશનલ બેંકને નિરવ મોદી અને મેહુલ ચોક્સીએ લગાવ્યો હોવાના અહેવાલ આવી ચુક્યા છે. પીએનબી કાંડમાં હજુ નવી વિગત ખુલી રહી છે.

(12:00 am IST)