Gujarati News

Gujarati News

News of Monday, 15th April 2019

બાબા સાહેબ આંબેડકર આજે પણ દેશ માટે પ્રાસંગિક બનેલા છે

બાબા સાહેબ આંબેડકર આજની રાજનીતિના કેન્દ્રબિન્દુ બન્યા : બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરનો જન્મ ૧૪ એપ્રિલે થયો

નવીદિલ્હી,તા. ૧૪ : બાબા સાહેબ આંબેડકરની જન્મજ્યંતિની આજે દેશભરમાં ઉજવણી કરવામાં આવી હતી. જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત તમામ મોટા નેતાઓએ બાબાસાહેબની સિદ્ધિઓને યાદ કરીને તેમના યોગદાનની પ્રસંશા કરી હતી. બંધારણના ઘડવૈયા ડોક્ટર દાદાસાહેબ ભીમરાવ આંબેડકર આજે પણ રાજનીતિના કેન્દ્રમાં રહેલા છે. પોતાના જન્મના ૧૨૮ વર્ષ બાદ પણ તેઓ દેશ માટે પ્રાસંગિક બનેલા છે. દેશના દલિત અને પછાત સમુદાય ખાસ કરીને આ સમુદાયના વોટબેંક તરીકે ઉપયોગ કરનાર રાજકીય પક્ષો આંબેડકરને પોતાના માર્ગદર્શક ગણીને તેમના વિચારો પર ચાલવાની વાત કરે છે અને રાજકીય આંદોલન કરે છે. બીજી બાજુ સત્તારુઢ પક્ષો પણ આંબેડકર જ્યંતિના બહાને દેશને એવો સંદેશ આપવાના પ્રયાસ કરી રહ્યા છે કે, શાસન અને સરકારને પણ દલિત અને પછાત સમુદાયની ચિંતા છે. સાથે સાથે આંબેડકરના વિચારો પર ચાલીને રાષ્ટ્ર નિર્માણની ભૂમિકામાં જોડાવવાના પ્રયાસ થઇ રહ્યા છે. ડોક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ ૧૪મી એપ્રિલ ૧૮૯૧ના દિવસે થયો હતો. તત્કાલિન બ્રિટિશ ભારતના કેન્દ્રીય વિસ્તાર મધ્યપ્રદેશના ઇન્દોર નજીક મહૂ છાવણીમાં એક મહાંત પરિવારમાં થયો હતો. ભારતીય સામાજિક વ્યવસ્થામાં મહાર જાતિને અશ્યપૃશ્ય તરીકે ગણવામાં આવતી હતી જેથી આંબેડકરની શરૂઆતની લાઇફ ખુબ મુશ્કેલમાંથી પસાર થઇ હતી. આંબેડકરની માતાનું નામ ભીમાબાઈ અને પિતાનું નામ રામજી માલોજી રાખવામાં આવ્યું હતું. તેમના પરિવારના સભ્યો કબીરપંથી હતા. તેમના પિતા સેનામાં સુબેદાર હતા અને માતા ધાર્મિક વિચાર ધરાવનાર ગૃહિણી તરીકે હતી. આ લોકો મૂળભૂતરીતે મહારાષ્ટ્રના રત્નાગીરી જિલ્લાના અંબાવડી ગામના હતા અને મરાઠી હતા. માતા-પિતા અને ગામના નામ ઉપર બાળકનું નામ ભીમરાવ રામજી આંબેડકર પડ્યું હતું. ભીમ બાળપણથી જ યોદ્ધા અને કુશળ  હતા. ભણવામાં ખુબ જ અભૂતપૂર્વ હતા. અશ્યપૃશ્ય પ્રથાના કારણે આંબેડકરને ક્લાસની બહાર રહીને વાંચવાની ફરજ પડતી હતી. આંબેડકર પોતાના માતા-પિતાના ૧૪માં સંતાન તરીકે હતા. આંબેડકરે વર્ષ ૧૮૯૭માં અશ્યપૃશ્ય તરીકે મુંબઈની એલ્ફીનસ્ટોન હાઈસ્કુલમાં પ્રવેશ લીધો હતો. ૧૯૦૭માં મેટ્રિકની પરીક્ષા પાસ કરી હતી. મેટ્રિકની પરીક્ષા પાસ કરતા પહેલા ૧૫ વર્ષની વયમાં ૧૯૦૬માં ૯ વર્ષની રમાબાઈ સાથે તેમના લગ્ન થયા હતા. ૧૯૧૨માં બોમ્બે યુનિવર્સિટીથી અર્થશાસ્ત્ર અને રાજનીતિ વિજ્ઞાનમાં ડિગ્રી હાસલ કરી હતી. બાબાસાહેબની જન્મજ્યંતિ જોરદારરીતે ઉજવવામાં આવી હતી.

આંબેડકર પ્રોફાઇલ.....

નવીદિલ્હી,તા. ૧૪ : બાબાસાહેબ ભીમરાવ આંબેડકરને મરણોપરાંત ૧૯૯૦માં ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. તેમની પ્રોફાઇલ નીચે મુજબ છે.

જન્મ તારીખ  : ૧૪મી એપ્રિલ ૧૮૯૧

જન્મસ્થળ     : મહૂ (હાલમાં મધ્યપ્રદેશ)

મૃત્યુ તારીખ  : છઠ્ઠી ડિસેમ્બર ૧૯૫૬

મૃત્યુ સ્થળ    : દિલ્હી (ભારત)

રાજકીય પાર્ટી : શેડ્યુઅલ કાસ્ટ ફેડરેશન

અન્ય પાર્ટી    : સ્વતંત્ર લેબર પાર્ટી

પત્નિ         : રમાબાઈ

પત્નિ         : સવિતા આંબેડકર

શિક્ષણ        : મુંબઈ યુનિવર્સિટી, કોલંબિયા યુનિવર્સિટી

                લંડન સ્કુલ ઓફ ઇકોનોમિક્સ

પ્રોફેશન       : અર્થશાસ્ત્રી, સમાજ સુધારક અને

                જ્યુરિસ્ટ

એવોર્ડ        : ભારત રત્ન (૧૯૯૦)

 

 

 

 

 

 

 

 

 

(12:00 am IST)