Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ઇપીએફ પર ૮.૫૫ ટકાના વ્યાજ અંગે અસહમતિ નથી

નાણા મંત્રાલય સાથે કોઇ વિખવાદ નથી : અમેરિકાના હુમલા બધા નીતિનિયમોનો ભંગ કરી કરાયા છે : હુમલાઓ યુદ્ધમાં ફેરવાઈ શકે છે : રશિયાની ચેતવણી

નવીદિલ્હી, તા. ૧૫ :શ્રમ મંત્રી સંતોષકુમાર ગંગવારે આજે કહ્યું હતું કે, રિટાયર્ડમેન્ટ ફંડ બોડી ઇપીએફઓના પાંચ કરોડથી વધુ ધારકોને ૨૦૧૭-૧૮ માટે ૮.૫૫ ટકાના વ્યાજદર આપવાને લઇને નાણામંત્રાલય સાથે કોઇપણ પ્રકારનો વિખવાદ નથી. ઇપીએફ ઉપર ૮.૫૫ ટકાના વ્યાજદરના મુદ્દે નાણાં મંત્રાલય સાથે કોઇપણ પ્રકારે ખેંચતાણ હોવાનો ગંગવારે ઇન્કાર કર્યો છે. તેમણે કહ્યું છે કે, મિડિયામાં આવેલા અહેવાલ આધારવગરના છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીને એમ્પ્લોઇઝ પ્રોવિડંડ ફંડ ઓર્ગેનાઇઝેશનની સર્વોચ્ચ બેંક તરીકે ગણવામાં આવે છે. સીબીટીએ ૨૧મી ફેબ્રુઆરી ૨૦૧૮ના દિવસે છેલ્લા નાણાંકીય વર્ષ માટે ઇએફએફ પર ૮.૫૫ ટકાનો વ્યાજદર રાખવાનો નિર્ણય કર્યો હતો. આ દરખાસ્ત મંજુરી માટે નાણા મંત્રાલયને મોકલવામાં આવી હતી. ગંગવારે ઉમેર્યું હતું કે, ૨૦૧૭-૧૮ માટે ઇપીએફ ડિપોઝિટ ઉપર ૮.૫૫ ટકાના વ્યાજદરના મુદ્દે અમારી દરખાસ્ત ફગાવી દેવામાં આવી નથી. અમારી દરખાસ્ત ઉપર નાણા મંત્રાલય ચોક્કસપણે સલાહ સુચન કરી શકે છે. તેમણે ઉમેર્યું હતું કે, વ્યાજ પર સૂચિત રેટને મે અથવા જૂન સુધી લીલઝંડી આપવામાં આવી શકે છે. સૂચિત વ્યાજદરના મુદ્દે કોઇ વિખવાદની સ્થિતિ નથી. તેમણે એમ પણ કહ્યું છે કે, ૨૦૧૭-૧૮ માટે ઇપીએફ ઉપર ૮.૫૫ના વ્યાજદરને નાણામંત્રાલય મંજુરી આપશે નહીં તેવી અટકળો ચાલી રહી છે. ૨૦૧૬-૧૭માં ૮.૬૫ ટકાનો વ્યાજદર હતો. વર્ષ ૨૦૧૭-૧૮ માટે ૮.૫૫ ટકાનો વ્યાજદર આપવામાં આવ્યા બાદ ઇપીએફઓ પાસે ૫૮૬ કરોડ રૃપિયાની સરપ્લસ રકમ રહેશે. વ્યાજ ૮.૫૫ ટકા રાખવાની સ્થિતિ ગ્રાહકો માટે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચી સપાટી રહી શકે છે. એમ્પ્લોઇઝ પેન્શન સ્કીમ જે ઇપીએફઓ દ્વારા ચલાવવામાં આવી રહી છે તે હેઠળ લઘુત્તમ માસિક પેન્શનના વધારા અંગે વાત કરતા ગંગવારે કહ્યું હતું કે, લઘુત્તમ માસિક પેન્શનમાં વધારાની કોઇ દરખાસ્ત નથી. સરકારે ૨૦૧૪-૧૫ માટે ૮૦૦ કરોડ રૃપિયા ચુકવ્યા હતા. સેન્ટ્રલ ટ્રેડ યુનિયનો દ્વારા તાજેતરના સમયમાં માસિક પેન્શનને વધારી ૩૦૦૦ રૃપિયા કરવાની માંગ કરી છે. આ ઉપરાંત આ લોકોએ ફુગાવાની સાથે આને જોડી દેવાની પણ માંગણી કરી છે. એક્સચેંજ ટ્રેડેડ ફંડ (ઇટીએફ)માં રોકાણને વધારવાના સંદર્ભમાં વાત કરતા મંત્રીએ કહ્યું હતું કે, નાણા મંત્રાલયે પહેલાથી જ એક પદ્ધતિ અમલમાં મુક છે જેના ભાગરુપે પ્રાઇવેટ પ્રોવિડંડ ફંડ દ્વારા ઇક્વિટી લિક્ડ સ્કીમ અથવા તો ઇક્વિટીમાં પાંચ ટકાથી લઇને ૧૫ ટકા રોકાણ માટે જોગવાઈ કરવામાં આવી છે. ઇપીએફઓએ ઓગસ્ટ ૨૦૧૫માં રોકાણની શરૃઆત કરી હતી. ૨૦૧૫-૧૬માં રોકાણ કરી શકાય તેવા થાપણમાં પાંચ ટકાનું રોકાણ કરાયું હતું. ઇપીએફઓ દ્વારા ૧૭.૨૩ ટકાના રિટર્ન ઇટીએફમાં ૪૧૯૬૭.૫૧ કરોડ રૃપિયાનું રોકાણ કર્યું હતું.

(7:42 pm IST)