Gujarati News

Gujarati News

News of Sunday, 15th April 2018

ડો. બાબા સાહેબ આંબેડકર ઉપર જેટલો હક્ક તેમનો છે તેટલો જ હક્ક અમારો પણ નથીઃ જિજ્ઞેશ મેવાણી ઉપર નિશાન ટાંકતા ભાજપ સાંસદ પૂનમ મહાજન

અમદાવાદઃ આજે બંધારણના ઘડવૈયા આજે ડો. બાબા સાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ નિમિતે કોંગ્રેસના ધારાસભ્‍ય જિજ્ઞેશ મેવાણીઅે ભાજપના નેતાઓને ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્‍પાંજલિ અર્પણ ન કરવા દેવાની જાહેરાત સામે ભાજપના સાંસદ પૂનમ મહાજને આક્રોશ વ્‍યક્ત કર્યો હતો.

ભાજપ યુવા મોરચાના પ્રમુખ તેમજ બીજેપીના સાંસદ પૂનમ મહાજન ગુજરાતના પ્રવાસે આવ્યા છે. આ દરમિયાન તેમણે અમદાવાદ ખાતે ડો. બાબા સાહેબ ઓપન યુનિવર્સિટીના સેમિનારમા હાજરી આપી હતી. આ દરમિયાન પૂનમ મહાજને મીડિયા સાથે વાતચીત કરતા દલિત નેતા તેમજ વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પર નિશાન સાધ્યું હતું.

પૂનમ મહાજને જીગ્નેશ મેવાણી પર નિશાન સાધતા કહ્યું હતું કે બાબા સાહેબ આંબેડકર કોઈ એક વ્યક્તિ કે નેતાની જાગીર નથી. તેઓ આખા ભારત દેશની તાકાત છે. કોઈની ધમકીથી કંઇ ફરક નહીં પડે. અમે બધા યુવાનો સાથે મળીને બાબા સાહેબને પુષ્પાંજલિ આપીશું. બાબા સાહેબ પર જેટલો હક તેમનો છે એટલો જ અમારો છે.

નોંધનીય છે કે દલિત નેતા જીગ્નેશ મેવાણીએ 14મી એપ્રિલના રોજ એટલે કે ડોક્ટર આંબેડકરની જન્મ જયંતિએ બીજેપી નેતાઓનો વિરોધ કરવાની જાહેરાત કરી છે. મેવાણીએ જાહેરાત કરી હતી કે જે બીજેપી નેતા આજના દિવસે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પાંજલિ અર્પણ કરવા આવે તેમનો કાળા વાવટા બતાવી શાંતિપૂર્વક વિરોધ કરવો.

ઉત્તર પ્રદેશના ઉન્નાવ અને જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં આઠ વર્ષની બાળકીની રેપ બાદ હત્યાના બનાવ પર નિવેદન આપતા સાંસદ પૂનમ મહાજને કહ્યું હતું કે, 'બળાત્કાર એ બળાત્કાર છે. તેને કોઈ ધર્મ કે સમાજમાં વિભાજીત ન કરી શકાય. પોલીસે પોતાનું કામ કરવું જોઈએ. જે લોકો દોષી છે તેમને કડક સજા થવી જોઈએ.' આ બંને કેસમાં પૂનમ મહાજને સરકારથી કોઈ ભૂલ થઈ હોવાનો ઇન્કાર કર્યો હતો.

(6:28 pm IST)