Gujarati News

Gujarati News

News of Friday, 15th March 2019

દેશના ખેડૂતો નક્કી કરે તેની બનશે સરકાર

ખેડૂતોના હાથમાં રહેશે સત્તાની ચાવી : લોકસભાની ૫૪૩ બેઠકોમાંથી ૩૪૨ બેઠકો ગ્રામિણ વિસ્તારોમાં : શહેરી વિસ્તારની માત્ર ૫૭ બેઠકોઃ ૧૪૪ બેઠકો અર્ધશહેરી : કૃષિ સંકટ ચૂંટણીનો મુખ્ય મુદ્દો : ખેડૂતોને રીઝવવા ભાજપ - કોંગ્રેસે કરવી પડશે મહેનત

નવી દિલ્હી તા. ૧૫ : લોકસભા ચૂંટણીમાં પક્ષોનું ભાવિ ગ્રામ્ય મતદારોના વલણ પર નિર્ભર રહેશે. કુલ ૫૪૩ સંસદીય બેઠકોમાંથી ફકત ૫૭ બેઠકો શહેરી વિસ્તારોમાં આવે છે, જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં બેઠકોની સંખ્યા ૩૪૨ છે. જેમાં ૧૪૪ અર્ધશહેરી બેઠકો છે.

૨૦૧૪માં ભાજપાએ આમાંથી ૧૭૮ બેઠકો જીતી હતી. આ વખતે કૃષિ સંકટ બહુ મોટો મુદ્દો બની શકે છે. ખેતી પર આધારિત ૧૨૦ બેઠકોવાળા યુ.પી. બિહાર દ્વારા સત્તા સુધી પહોંચવાની ભાજપાની કોશિષો સરળ નહીં હોય કેમકે બંને રાજ્યોમાં કૃષિ સંકટનો માર વધારે પડયો છે.

૨૦૧૪માં મોદી સરકાર સત્તામાં આવ્યા પછી સતત બે વર્ષ વરસાદ ઓછો થવાથી દેશને દુકાળના સંકટનો સામનો કરવો પડયો. ૨૦૧૬ થી ૨૦૧૮ વચ્ચે સારો વરસાદ થવાથી ખાદ્ય અન્નોનું ઉત્પાદન રેકોર્ડ સ્તરે પહોંચી ગયું. જેના કારણે તેની કિંમતોમાં બહુ ઘટાડો થયો અને ખેડૂતોને ભારે નુકસાન થયું. કેન્દ્રએ ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાની યોજના તો શરૂ કરી પણ ઘટી રહેલી કિંમતોના કારણે તે શકય બને તેવું નથી દેખાતું. ડિસેમ્બર ૨૦૧૮ સુધી સરેરાશ ગ્રામ્ય મજૂરી ફકત ૩.૮ ટકાના દરે વધી જે બતાવે છે કે કૃષિ રહિત ગ્રામ્ય ભથ્થામાં પણ વધારો નથી થયો.

સ્વરાજ ઇન્ડિયા પાર્ટીના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં ખેડૂતો કમાણી ઘટવી એ ચિંતાનું સૌથી મોટું કારણ છે. તેની સાથે જ દેવાનો વધી રહેલો બોજ અને રખડું જાનવરો દ્વારા ખેતીને નુકસાન થવાની સમસ્યા પણ બહુ મોટી છે.

પીએમ - આશા યોજના સફળ નથી થઇ. ફેબ્રુઆરી-૧૯માં પીએમ કિસાન સમ્માન નિધિ યોજના શરૂ કરાઇ. જેમાં નાના ખેડૂતોને દર વર્ષે ૬૦૦૦ રૂપિયાની આર્થિક મદદ આપવાની જોગવાઇ છે. ભાજપા આ યોજનાના આધારે જ ખેડૂતો પાસે મત માગવા જશે.

ખેડૂતોની ઋણ માફીનો મુદ્દો લઇને કોંગ્રેસે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપા પાસેથી સત્તા છીનવી હતી. પણ ભાજપાને આશા છે કે, પીએમ - કિસાન યોજનાના સહારે ચૂંટણીમાં તેને સફળતા મળશે. તેનું અનુમાન છે કે ૧૨ કરોડ ખેડૂતોને આ યોજનાથી લાભ મળશે. આ આંકડો ૮૬ ટકા ખેડૂત પરિવારોને સમાવી લે છે. વડાપ્રધાને આ યોજનાનું વિસ્તરણ કરવાના સંકેતો આપ્યા છે.

(9:53 am IST)