Gujarati News

Gujarati News

News of Saturday, 15th February 2020

શાંતિપૂર્વક રીતે CAAનો વિરોધ કરનારા 'ગદ્દાર-દેશદ્રોહી' નથી

બોમ્બે હાઇકોર્ટની મહત્વની ટિપ્પણીઃ એક કાયદાનો વિરોધ કરે એટલે દેશદ્રોહી નથી બની જતાં: ભારતને આઝાદી અહિંસક આંદોલનોથી મળી છેઃ આપણે ભાગ્યશાળી છીએ કે હજુ પણ અહિંસામાં ભરોસો રાખીએ છીએ

ઔરંગાબાદઃ બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ બેંચે ગુરુવારે CAA વિરુદ્ઘ શાંતિપૂર્ણ રીતે આંદોલન કરનારા લોકોને લઈને ટિપ્પણી કરી કે 'તેમને માત્ર એટલા માટે ગદ્દાર અને દેશદ્રોહી ન કહી શકાય કારણ કે તે એક કાયદાનો વિરોધ કરવા ઈચ્છે છે.' બેંચે સીએએના વિરોધમાં આંદોલન માટે પોલીસ દ્વારા અનુમતિ ન આપવા વિરુદ્ઘ કરાયેલી અરજી પર સુનાવણી કરતા આ વાત કહી.

બેંચે કહ્યું, આ પ્રકારના આંદોલનથી CAAના કાયદાને અવગણવાનો કોઈ સવાલ પેદા નથી થતો. કોર્ટ તરફથી આવા વ્યકિતઓના શાંતિપૂર્ણ રીતે આંદોલન શરૂ કરવાના અધિકાર પર વિચાર કરવાની અપેક્ષા કરાય છે. ખંડપીઠે કહ્યું કે, કારણ કે કોઈ એક કાયદાનો વિરોધ કરવા ઈચ્છે છે, માત્ર આટલા માટે તેને દેશદ્રોહી અને ગદ્દાર ન કહી શકાય. CAAના કારણે આ સરકાર વિરુદ્ઘ માત્ર એક વિરોધ પ્રદર્શન હશે.

બેંચે બીડ જિલ્લાના એડિશનલ ડિસ્ટ્રીકટ મેજિસ્ટ્રેટ અને મજલગાંવ સિટી પોલીસ દ્વારા અપાયેલા બે આદેશોને રદ કરી નાખ્યો. પોલીસે ADMના આદેશનો હવાલો આપતા વિરોધ પ્રદર્શનની અનુમતિ આપવાથી ઈનકાર કર્યો હતો. બેન્ચે કહ્યું કે, ભારતને આઝાદી તેવા આંદોલનોના કારણે મળી જે અહિંસક હતા અને અહિંસાનો આ માર્ગ આજે સુધી આ દેશ દ્વારા અપનાવાયો છે. અમે ભાગ્યશાળી છીએ કે આ દેશના મોટાભાગના લોકો હજુ પણ અહિંસામાં વિશ્વાસ કરે છે.

બેંચે કહ્યું, આ મામલામાં પણ અરજીકર્તા અને તેના સાથી પોતાનો વિરોધ નોંધાવા માટે શાંતિપૂર્ણ રીતે આંદોલન કરવા ઈચ્છે છે. બેંચે આગળ કહ્યું કે, બ્રિટિશ કાળમાં અમારા પૂર્વજોએ સ્વતંત્રતા અને માનવ અધિકારો માટે સંદ્યર્ષ કર્યો હતો અને તે આંદોલન પાછળની ફિલોસોફીથી આપણે આપણું સંવિધાન બનાવ્યું. આ કહી શકાય કે આ દુર્ભાગ્યપૂર્ણ છે પરંતુ લોકો પોતાની સરકાર વિરુદ્ઘ આંદોલન કરી શકે છે અને માત્ર આ આધાર પર તેમના આંદોલનને દબાવી શકાય નહીં.

તમને જણાવી દઈએ કે ADMના આદેશમાં બીડના પોલીસ અધીક્ષકની રિપોર્ટનો ઉલ્લેખ કરાયો. રિપોર્ટમાં કહેવાયું કે જુદા જુદા કારણોથી આંદોલનના કારણે કાયદો-વ્યવસ્થાની સ્થિતિ ખરાબ થાય છે. આ કારણે અરજીકર્તા ઈફ્તેખાર જકી શેખને માજલગાંવની જુની ઈદગાહ મેદાનમાં સીએએ અને એનઆરસી વિરુદ્ઘ શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનની અનુમતિ આપવાથી ઈનકાર કરી દેવાયો.

(10:00 am IST)