Gujarati News

Gujarati News

News of Wednesday, 15th January 2020

1984 શીખ રમખાણ મામલે SIT ના રિપોર્ટના આધારે બેદરકારીના દોષિત પોલીસવાળા સામે કાર્યવાહી કરાશે

કેન્દ્ર સરકારે સુપ્રીમકોર્ટમાં કહ્યું એસઆઇટીના રિપોર્ટ આધારે કાર્યવાહી કરશું

નવી દિલ્હી : 1984ના શીખ રમખાણ મામલે કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે, SIT રિપોર્ટના આધારે બેદરકારીના દોષીત પોલીસવાળાઓ પર કાર્યવાહી કરવામાં આવશે. કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં કહ્યું કે, અમે પૂર્વ હાઈકોર્ટ જજ એસએન ઢીંગરાના નેતૃત્વવાળી એસઆઈટીના રિપોર્ટને સ્વીકારી લીધી છે, હવે તેના આધારે જ કાર્યવાહી કરવામાં આવશે.

    રમખાણ દરમિયાન 186 બંધ કેસની સમીક્ષા કરનારી એસઆઈટીએ રિપોર્ટ આપ્યો છે કે, મોટા ભાગના મામલામાં નીચલી કોર્ટે કેસ ફગાવ્યા બાદ ફરીથી અપીલ કરવામાં આવી નથી. તેમાં તપાસ કરતા અધિકારીઓની ભૂમિકા શંકાસ્પદ છે. કોર્ટે અરજદારને તે વાતની મંજૂરી આપી છે કે, તેઓ બંધ કેસને ફરી શરૂ કરાવવા માટે પોલીસને આવેદન આપી શકે છે. આ મામલે સુપ્રીમ કોર્ટે જ એસઆઈટીની રચના કરી હતી.

  કેન્દ્ર તરફથી સોલિસીટર જનરલ તુષાર મહેતાએ બેચને કહ્યું હતું કે, અમે અહાવાલમાં આપેલી ભલામણોને સ્વીકારી લીધી છે અને અમે કાયદા મુજબ જ કાર્યવાહી કરીશું. આ મામલે અનેક પગલા ભરવાની જરૂર છે અને તેવું કરવામાં પણ આવશે.

(8:20 pm IST)