Gujarati News

Gujarati News

News of Tuesday, 15th January 2019

કુંભનો શંખનાદ : પ્રથમ શાહી સ્નાન : કરોડોની આસ્થાની ડુબકી

પ્રયાગરાજ કુંભમાં મકર સંક્રાંતિ પર પ્રથમ શાહી સ્નાનનો પ્રારંભ : સૌ પહેલા મહાનિર્વાણ અખાડાનું શાહી સ્નાનઃ કુંભમાં કુલ ૬ શાહીસ્નાન : ૫૫ દિવસ ચાલશે કુંભ : ૧૫ કરોડ લોકો આસ્થાની ડુબકી લગાવી પુણ્યનું ભાથુ બાંધશે

પ્રયાગરાજ તા. ૧૫ : ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભ ૨૦૧૯નો પ્રારંભ થયો છે. પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતી ત્રણેયના સંગમ સ્થળ પર નાગા સાધુઓ અને પછી અન્ય અખાડાના સાધુઓ - સંતોના શાહી સ્નાન બાદ શ્રધ્ધાળુઓનો ક્રમ આવ્યો છે. આજે પ્રથમ શાહી સ્નાનમાં દોઢ કરોડ ભાવિકો આસ્થાની ડુબકી લગાવી પુણ્યનું ભાથુ બાંધવાના છે.

આજે શાહી સ્નાન સાથે કુંભ મેળાની શરૂઆત થઈ ગઈ છે. મકર સંક્રાંતિના પર્વ પર એક તરફ આખાડાના સાધુઓ શાહી સ્નાન કરી રહ્યા હતા ત્યારે બીજી તરફ હજારો શ્રદ્ઘાળુઓએ પણ ત્રિવેણી સંગમ સ્થાન ડૂબકી લગાવી હતી. પરંપરા પ્રમાણે સૌપ્રથમ મહાનિર્વાણી અખાડાએ સવારે ૬.૧૫ વાગ્યે શાહી સ્નાન કર્યું હતું. જે બાદમાં અટલ અખાડાના મહામંડલેશ્વર, મંડલેશ્વર, મહંત તેમજ શ્રીમંહતે શાહી સ્નાન કર્યું હતું.

બીજા ક્રમે નિરંજની અને આનંદ આખાડા સ્નાન કરે છે. ત્રીજા ક્રમે જૂના અખાડા તેમજ અગ્ની અને આવાહન આખાડાના સાધુ-સંતો શાહી સ્નાન કરે છે. જે બાદમાં દિગમ્બર, નિર્મોહી અને નિર્વાણી અખાડાના સાધુએ શાહી સ્નાન કરે છે. બાદમાં બંને વૈરાગી અખાડા નવા ઉદાસીન અને બડા ઉદાસીન આખાડા સ્નાન કરે છે. અંતમાં નિર્મલ અખાડાના સંતો શાહી સ્નાન કરે છે.

એક અંદાજ પ્રમાણે આશરે દોઢ કરોડ શ્રદ્ઘાળુઓ ગંગા, જમુના અને સરસ્વતીના ત્રિવેણી સંગમ ખાતે ડૂબકી લગાવશે. નોંધનીય છે કે કુંભમાં છ શાહી સ્નાન હોય છે, જે ૫૫ દિવસ સુધી ચાલશે. આ દરમિયાન આશરે ૧૫ કરોડ લોકો સંગમ ખાતે આસ્થાની ડૂબકી લગાવીને પુણ્યનું ભાથું કમાશે. બીજી તરફ વારણસી ખાતે પણ દશાસ્વમેઘ ઘાટ ખાતે લાખોની સંખ્યામાં શ્રદ્ઘાળુઓ સ્નાન, ધ્યાન અને દાન કરી રહ્યા છે.

૧૫ અને ૧૬ જાન્યુઆરીના રોજ શ્રદ્ઘાળુઓ અક્ષયવટના દર્શન નહીં કરી શકે. શ્રદ્ઘાળુઓની ભીડને ધ્યાનમાં રાખીને પોલીસે આ નિર્ણય લીધો છે.

પ્રયાગ ઉપરાંત હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં પણ કુંભ મેળાનું આયોજન થાય છે, પરંતુ પ્રયાગરાજ જેટલું કુંભનું મહત્વ અન્ય જગ્યાએ નથી. પ્રયાગમાં ગંગા, યમુના અને સરસ્વતીના ત્રિવેદી સંગમ ખાતે કુંભનું આયોજન થાય છે એ એક કારણ તો છે, પરંતુ આ ઉપરાંત પણ કંઈક ખાસ છે. એવું કહેવામાં આવે છે કે પ્રયાગરાજમાં જે જગ્યાએ કુંભનું આયોજન થયું છે ત્યાં જ બ્રહ્માન્ડનો ઉદ્બવ થયો હતો તેમજ પૃથ્વીનું કેન્દ્ર બિન્દુ પણ અહીં છે. કહેવામાં આવે છે કે બ્રહ્માંડની રચના કર્યા પહેલા બ્રહ્માજીએ અહીં અશ્વમેઘ યજ્ઞ કરાવ્યો હતો. આ યજ્ઞની સાબિતી માટે અહીં દશ્વમેઘ ઘાટ અને બ્રહ્મેશ્વર મંદિર હયાત છે. આ બંનેને યજ્ઞનના પ્રતિક તરીકે જોવામાં આવે છે.

કુંભ મેળા દરમિયાન છ શાહી સ્નાન યોજાય છે. કહેવામાં આવે છે કે શાહી સ્નાન અથવા ત્રિવેણીમાં ડૂબકી લગાવવાથી અમર થવાનું વરદાન પ્રાપ્ત થાય છે. આજ કારણ છે કે કુંભ દરમિયાન શાહી સ્નાન કે ડૂબકી લગાવવાની હોડ લાગે છે.

કુંભ મેળો ૧૫મી જાન્યુઆરી એટલે કે મકર સંક્રાંતિના દિવસથી શરૂ થઈને ચોથી માર્ચના રોજ મહાશિવરાત્રી સુધી ચાલશે. ૧૫મી જાન્યુઆરીએ પ્રથમ તો ચોથી જાન્યુઆરીના રોજ આખરી શાહી સ્નાન થશે.(૨૧.૭)

(10:06 am IST)