Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

તા.૨૦મીથી ચેક પોસ્ટ નાબુદઃ કર ઓનલાઇન

ટ્રાફિક અને પ્રદુષણ ઘટશેઃ ધંધા રોજગારમાં ઝડપ વધશેઃ મુખ્યમંત્રી રૂપાણીની જાહેરાત : તમામ ૧૬ ચેકપોસ્ટ બંધ થશેઃ માલ અને વાહનની માહિતી ખોટી સાબિત થાય તો બમણો દંડઃ ફલાઇંગ સ્કવોડ ઘુમતી રહેશે

 ગાંધીનગર તા.૧૪: રાજય સરકારે ભ્રષ્ટાચાર સહિતના મુદ્દે વગોવાયેલી ચેક પોસ્ટ પ્રથા આવતા બુધવારે તા.૨૦ થી બંધ કરવાનું નક્કી કર્યુ છે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ આ આજે પત્રકાર પરિષદમાં આ જાહેરાત કરી છે.

મુખ્યમંત્રી શ્રી રૂપાણીએ જણાવેલ કે ચેકપોસ્ટ નાબુદીના ઐતિહાસિક નિર્ણયથી વેપાર-ઉદ્યોગોમાં Ease of Doing Business ઉત્તેજન મળશે. વાહન વ્યવહારની ઝડપ વધશે. ઇંધણ અને સમયનો બગાડવામાં ઘટાડો થશે.

તા.૨૦-૧૧-૨૦૧૯ થી રાજયની તમામ ૧૬ ચેકપોસ્ટો નાબુદ કરવામાં આવશે.

વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો કર અને ફ્રી ચૂકવણું parivahan.gov.in ઓનલાઇન કરી શકશે. ચેકપોસ્ટ ઉપર કર અને ફીના ચૂકવણાંની આવક રૂ.૩૩૨ કરોડ હતી જે હવે ઓનલાઇન સ્વીકારવામાં આવશે. ઓવરડાયમેન્શન કાર્ગો માટે વાહન અને માલની Exemptionની જોંગવાઇ કરવામાં આવી છે. જે મુજબ વાહન માલિક, વાહન અને માલની ફી ચૂકવીને ઓનલાઇન Exemption મેળવી શકશે. પરવાનગી ફકત વાહનના માપ અને માલના ઓવરડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડયુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે.

ઓડીસી મોડયુલ ઉપર કોઇપણ વાહનમાલિક વાહન અને માલ સંબંધિત ફી અને કર ભરીને મુકિત મેળવેલ ન હોય તેમજ માલ અને વાહન સંબંધિત ખોટી

માહિતી આપશે તો બમણો દંડ ફલાઇંગ સ્કવોર્ડ દ્વારા વસુલ કરવામાં આવશે. આ નિર્ણયથી ટ્રાફીક પ્રદુષણ ઘટશે, ધંધા-રોજગારમાં ઝડપ અને કાર્યક્ષમતામા વધારો થશે. ચેકપોસ્ટ પર કર અને ફી વસુલવાની કામગીરી બંધ થશે.

વાહન માલિકો માર્ગદર્શન અને ફરીયાદ માટે નીચેના ફોન નંબર ઇ-મેઇલ, વેબસાઇટ ઉપર રજુઆત કરી શકશે.

- બે હેલ્પલાઇન નંબર. (૦૭૯) ૨૩૨૫૭૮૦૮ તથા ૨૩૨૫૧૩૬૯

- ઇ-મેઇલ cot-trans-complain@gujarat.gov.in

- વધારાની વિગતો માટે વેબસાઇટ cot.gujarat.gov.in પર મેળવી શકાશે.

(3:22 pm IST)