Gujarati News

Gujarati News

News of Thursday, 14th November 2019

'ચોકીદાર ચોર હૈ'... નિવેદન પર સુપ્રિમ કોર્ટે રાહુલને આપી માફીઃ સંભાળીને બોલવા સલાહ

સુપ્રિમ કોર્ટે રાહુલની માફીનો સ્વીકાર કરી તેમને આપી રાહત : કોર્ટે કેસ બંધ કર્યોઃ રાહુલ સામે નહિ ચાલે માનહાનીનો કેસઃ કોર્ટની ટિપ્પણી .. રાજકીય નિવેદન બાજુમાં કોર્ટને ન સંડોવો

નવી દિલ્હી,તા.૧૪: સુપ્રીમ કોર્ટે આજે રાહુલ ગાંધીને 'ચોકીદાર હી ચોર હૈ' મામલે થયેલી અરજીમાં રાહત આપી છે. રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીને લઈને ટીપ્પણી કરી હતી જેને પરિણામે ભાજપ તરફથી કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી સામે સુપ્રીમમાં અરજી કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીને ટાર્ગેટ કરીને આવી ટીપ્પણી કરવા બદલ રાહુલ પર કેસ થયો હતો.

રાહુલ ગાંધીના 'ચોકીદાર હી ચૌર હૈ 'ના નિવેદન પર ભાજપના સાંસદ મીનાક્ષી લેખીએ સુપ્રીમ કોર્ટમાં અવમાનના અરજી દાખલ કરી હતી. આ અરજી પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે રાહુલ ગાંધીએ નિવેદન જાણીજોઇને વારંવાર આપ્યું હતું. પોતાના નિવેદનને લઇને રાહુલ ગાંધીએ માફી માગી હતી. રાહુલ ગાંધીની માફીને મંજૂર કરતા સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે ભવિષ્યમાં આવા મામલા પર સાવચેત રહેવું.

ચીફ જસ્ટિસ રંજન ગોગોઇ, ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ અને ન્યાયમૂર્તિ કે.એમ.જોસેફની બેન્ચે રાહુલ ગાંધીની વિરૂદ્ઘ માનહાનિની કાર્યવાહી માટે પેન્ડિંગ આ કેસ પર ૧૦મી મેના રોજ સુનવણી પૂરી કરી હતી. ત્યારે આજે ગુરૂવારના રોજ સુનવણી દરમ્યાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે મિસ્ટર રાહુલ ગાંધીએ ભવિષ્યમાં સંભાળીને બોલવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને કહ્યું કે ભવિષ્યમાં કોર્ટ સાથે જોડાયેલા કોઇપણ કેસમાં કોઇ પણ પ્રકારના રાજકીય ભાષણ આપવામાં સાવચેતી રાખો.

રાહુલ ગાંધી એ સમયે કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ હતા અને તેમણે બેન્ચને કહ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી સંબંધિત પોતાની ટિપ્પણી ભૂલ તરીકે સુપ્રીમ કોર્ટના હવાલાથી કહેવા પર તેઓએ શરત વગર માફી માંગી ચૂકયા છે. રાહુલ ગાંધીની તરફથી વરિષ્ઠ વકીલ અભિષેક મનુ સિંદ્યવીએ બેન્ચને કહ્યું હતું કે કોંગ્રેસ નેતાએ સુપ્રીમ કોર્ટનો ખોટી રીતે ઉપયોગ કરીને કરેલી ટિપ્પણી માટે તેમણે ખેદ વ્યકત કરી દીધો છે. જો કે ભાજપ સાંસદ મીનાક્ષી લેખીની તરફથી વરિષ્ઠ અધિવકતા મુકુલ રોહતગીએ કહ્યું હતું કે ગાંધીની ક્ષમા યાચના અસ્વીકારવી જોઇએ અને તેની વિરૂદ્ઘ કાયદા પ્રમાણે કાર્યવાહી થવી જોઇએ.

(3:24 pm IST)