Gujarati News

Gujarati News

News of Wednesday, 14th November 2018

૧૦ એકની વિરૂદ્ધ તો કોણ મજબૂત તે સમજવું જોઇએ

રજનીકાંતે નિવેદન કરી નવી ચર્ચા જગાવી : ભાજપ વિપક્ષ માટે ખતરનાક હોવાની વાત પણ કરી છે

નવીદિલ્હી, તા. ૧૩ : અભિનેતામાંથી નેતા બનેલા રજનીકાંતના નિવેદનને લઇને અટકળો વધારે તીવ્ર બની ગઈ છે. ૨૦૧૯માં યોજાનારી ચૂંટણીમાં તેઓ વડાપ્રધાન મોદીની સાથે જશે કે કેમ તેને લઇને હજુ ચિત્ર સ્પષ્ટ થયું નથી પરંતુ મોદીને મજબૂત બતાવીને રજનીકાંતે અટકળોને વેગ આપી દીધો છે. રજનીકાંતે કહ્યું છે કે, જો ૧૦ પાર્ટી કોઇ એકની સામે મળીને ગઠબંધન કરે છે તો સમજવું જોઇએ કે વધારે શક્તિશાળી કોણ છે. જો કે રજનીએ એવો ખુલાસો કર્યો છે કે, ભાજપ વિપક્ષ માટે ખતરનાક છે. આજે પોએસ ગાર્ડન સ્થિત પોતાના આવાસ પર મિડિયા સાથે વાતચીત કરતા રજનીકાંતે કહ્યું હતું કે, ગઈકાલે તેમને કેટલાક પ્રશ્નો કરવામાં આવ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે, તમામ વિરોધ પક્ષો સંગઠિત થઇ રહ્યા છે. તેમને પ્રશ્નો કરવામાં આવ્યો હતો કે શું ભાજપ ખતરનાક પાર્ટી છે. તે વખતે તેમણે કહ્યું હતુ ંકે, જો રાજકીય પક્ષો આવું વિચારે છે તો આવું હશે. ભાજપ વિપક્ષી પાર્ટીઓ માટે ખતરનાક છે. તેઓ આ મુદ્દે પોતાનું અંગત વલણ સ્પષ્ટ કરવા માંગતા નથી. રજનીકાંતને શ્રેણીબદ્ધ પ્રશ્નો કરવામાં આવ્યા હતા. રજનીકાંતે કહ્યું હતું કે, હાલના સમયે તેઓ ભાજપ અને મોદીને લઇને કોઇ નિવેદન કરવા ઇચ્છતા નથી પરંતુ જો ૧૦ પાર્ટીઓ કોઇ એકની સામે એકત્રિત થઇ રહી છે તો કોણ વધારે પાવરફુલ છે તે સમજી શકાય છે. મોદી ખરેખર તાકાતવર છે તેવા પ્રશ્નના જવાબમાં રજનીકાંતે કહ્યું હતું કે, ચોક્કસપણે મોદી તાકાતવર છે. ભાજપ સાથે સમજૂતિ કરાશે કે કેમ તે અંગે પૂછવામાં આવતા રજનીકાંતે કહ્યું હતું કે, મોડેથી આ અંગે નિર્ણય લેવાશે.

(12:00 am IST)