Gujarati News

Gujarati News

News of Thursday, 14th October 2021

પાકિસ્તાન નહીં સુધરે તો ફરીવાર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે

કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે આપી ચેતવણી : ગોવાના એક કાર્યક્રમમાં અમિત શાહે કહ્યું કે જો પાકિસ્તાન કાશ્મીરમાં નાગરિકોની હત્યા કરવાનું બંધ નહિ કરે તો વધુ આકરા પગલા લેવામાં આવશે'

નવી દિલ્હી, તા.૧૪ : સરહદ પર નાપાક પાકિસ્તાનની અવળચંડાઈ બંધ થવાનું નામ નથી લઈ રહી. સરહદ પર સેનાની જવાનો પર છુપાઈને હુમલો કરનારા પાકિસ્તાનને ભારતે સ્પષ્ટ ચેતવણી આપી દીધી છે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ગોવામાં પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, પાકિસ્તાન નહીં સુધરે તો ફરી એકવાર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે. અમિત શાહે પાકિસ્તાનને ચેતવણી આપતા કહ્યું કે, *પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સર્જિકલ સ્ટ્રાઈક એક મહત્વનું પગલું હતું. આ સ્ટ્રાઈક દ્વારા અમે સંદેશ આપ્યો હતો કે કોઈ પણ ભારતની સરહદો પર હુમલા કરશે તો સહન કરવામાં નહી આવે.*

ગોવાના એક કાર્યક્રમમાં અમિત શાહે પાકિસ્તાનને ચેતવણી આપી હતી કે, જો તે કાશ્મીરમાં નાગરિકોની હત્યા કરવાનું બંધ નહિ કરે તો વધુ સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવશે.વધુમાં જણાવ્યુ કે" સર્જિકલ સ્ટ્રાઇકે સાબિત કર્યું છે કે અમે દેશની સીમા પર હુમલાઓ સહન કરતા નથી, જો તમે ઉલ્લંઘન કરશો તો વધુ સ્ટ્રાઈક કરવામાં આવશે"

વધુમાં શાહે કહ્યું કે, "પીએમ મોદીના નેતૃત્વ હેઠળ સર્જિકલ સ્ટ્રાઈક એક મહત્વનું પગલું હતું. આ સ્ટ્રાઈક દ્વારા અમે સંદેશ આપ્યો હતો કે કોઈ પણ ભારતની સરહદો પર હુમલા કરશે તો સહન કરવામાં નહી આવે. વાતચીતનો સમય પૂર્ણ થયો, હવે વળતર આપવાનો સમય આવી ગયો છે." દેવેન્દ્ર ફડણવીસના જણાવ્યા અનુસાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગોવાની મુલાકાત દરમિયાન કેટલાક સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે અને પાર્ટી સાથે બેઠકો પણ કરશે. તમને જણાવી દઈએ કે, ભાજપે ગોવામાં ચૂંટણી પ્રભારી તરીકે દેવેન્દ્ર ફડણવીસની નિમણૂક કરી છે.

તમને જણાવી દઈએ કે, અમિત શાહ આ મુલાકાત દરમિયાન ગોવાના ધારબંદોરામાં નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. તેમજ તેલીગાંવમાં ભાજપના કાર્યકરોને સંબોધિત કરશે અને ભાજપના ધારાસભ્યો અને વરિષ્ઠ નેતાઓને મળશે.ઉપરાંત આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને પણ ચર્ચા-વિચારણા કરશે.

અમિત શાહની ગોવાની મુલાકાત પર દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે, "તેઓ આજે કેટલાક સત્તાવાર કાર્યક્રમોમાં હાજરી આપશે અને પછી તેઓ પક્ષની બેઠકો પણ કરશે. વધુમાં કહ્યુ કે, અમિત શાહ રાજકીય વ્યૂહરચનાકાર તરીકે જાણીતા છે. તેમનું રાજકીય માર્ગદર્શન અમને ખૂબ મદદ કરશે."

દેવેન્દ્ર ફડણવીસે આગામી વિધાનસભાની ચૂંટણી અંગે સ્પષ્ટતા આપતા કહ્યુ કે, સત્તાધારી ભાજપ ૨૦૨૨ ની ચૂંટણી દરમિયાન ગઠબંધન માટે મહારાષ્ટ્રવાડી ગોમાંતક પાર્ટી સાથે કોઈ વાતચીત કરી રહી નથી.વધુમાં તેમણે કહ્યું કે, "એમજીપી સાથે જોડાણ અંગે અત્યારે કોઈ વાટાઘાટો નથી અને આવો કોઈ પ્રસ્તાવ પણ નથી. અમે હંમેશા અમારા દમ પર લડીએ છીએ અને આગામી સમયમાં પણ લડીશુ"

(7:28 pm IST)